National

સુખદેવ સિંહની હત્યાના વિરોધમાં કરણી સેના દ્વારા બુધવારે રાજસ્થાન બંધનું એલાન, શપથગ્રહણને લઈ કહી આ વાત

જયપુરમાં મંગળવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના કારણે સમગ્ર રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે પરંતુ કરણી સેના સતત આક્રોશ વ્યક્ત કરી રહી છે. હવે કરણી સેના ઉત્તર પ્રદેશની યોગી સરકારની તર્જ પર ગોગામેડીના હત્યારાઓ સામે કાર્યવાહીની માંગ કરી રહી છે અને કહ્યું છે કે જ્યાં સુધી હત્યારાઓ વિરૂદ્ધ કાર્યવાહી ન થાય ત્યાં સુધી કોઈ શપથગ્રહણ થવા દેશે નહીં. કરણી સેનાએ તેના પ્રમુખની હત્યાના વિરોધમાં આવતીકાલે રાજસ્થાન બંધનું એલાન આપ્યું છે.

કરણી સેનાનું કહેવું છે કે પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી છેલ્લા બે વર્ષથી સુરક્ષા માંગી રહ્યા હતા પરંતુ કોંગ્રેસ સરકાર દ્વારા તેમને કોઈ મદદ કરવામાં આવી નથી. કરણી સેનાના નેતા મહિપાલ સિંહે કહ્યું છે કે જ્યાં સુધી સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ સામે ન આવે ત્યાં સુધી રાજ્યમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે નહીં. આપને જણાવી દઈએ કે કરણી સેનાએ તેના પ્રમુખની હત્યાના વિરોધમાં આવતીકાલે રાજસ્થાન બંધનું એલાન આપ્યું છે. મહિપાલ સિંહે આરોપ લગાવ્યો છે કે ગેહલોત સરકારે ગોગામેડીને સુરક્ષા પૂરી પાડી નથી તેથી જ આજે આ ઘટના બની છે.

હત્યાકાંડમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ગ્રુપનું નામ ફરી એકવાર સામે આવ્યું છે. ગોગામેડીની હત્યા પછી તરત જ રોહિત ગોદારા કપૂરીસર નામની પ્રોફાઇલમાંથી એક પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વાયરલ થઈ રહી છે જેમાં કરણી સેના પ્રમુખની હત્યાની જવાબદારી લેવામાં આવી છે.

Most Popular

To Top