Madhya Gujarat

આણંદના વેપારીઓને તેલનો સ્ટોક જાહેર કલેક્ટરની તાકીદ

આણંદ : તહેવારના પગલે ખાદ્યતેલ અને તેલીબીયામાં કાળાબજારી ન થાય તે માટે બેઠક યોજાઈ હતી. જેમાં કોઈપણ પ્રકારની કાળાબજારી, સંગ્રહખોરી કે ભેળસેળ વેપારી દ્વારા કરવામાં ન આવે તે બાબતે સુનિશ્ચિત કરવા વેપારીઓને તાકીદ કરી હતી. આવનારા સમયમાં તહેવારોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મધ્યમવર્ગ તથા ગરીબ પ્રજાને પરવડે તેવા ભાવે ખાદ્યતેલ મળી રહે તથા કોઈપણ પ્રકારની કાળાબજારી, સંગ્રહખોરી કે ભેળસેળ કોઈપણ વેપારી દ્વારા કરવામાં ન આવે  તે બાબતે આણંદ કલેકટર કચેરી ખાતે  કલેક્ટર એમ.વાય દક્ષિણીની અધ્યક્ષતામાં આણંદ જિલ્લાના ખાદ્યતેલ અને તેલીબીયાના વેપારીઓ સાથે મીટીંગ યોજાઇ હતી.

જેમાં કલેકટર જણાવ્યું કે, તાજેતરના સમયમાં ખાદ્યતેલ અને તેલીબીયાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ખાદ્યતેલ અને તેલીબીયાના ભાવમાં નિયંત્રણ માટે ગુજરાત આવશ્યક ચીજવસ્તુના વેપારીઓનું (નિયમન) કાયદો 1977ની જોગવાઈને આધિન તમામ સંગ્રહકર્તા જેવા કે મીલર્સ,  ટ્રેડર્સ, રીફાઈનર્સ વિગેરે તેમના ખાદ્યતેલ અને તેલીબીયાનો સ્ટોક જાહેર કરવાનો રહેશે અને ચકાસણી તથા ખાદ્યતેલ અને તેલીબીયાના સ્ટોકનું મોનીટરીંગ કરવા માટે કેન્દ્ર  સરકારના https://evegoils.nic.in/eosp/login  નામના નવા પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી હાજર રહેલા જથ્થાનું મેટ્રીક ટનમાં અઠવાડીક ડેટાએન્ટ્રી કરવાનું રહેશે. આ બેઠકમાં આણંદ જિલ્લા પુરવઠા અધિકારી લલિતભાઇ પટેલ, આણંદ જિલ્લાના મીલર્સ,  ટ્રેડર્સ, રીફાઈનર્સ, ખાદ્યતેલ અને તેલીબીયાના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top