Gujarat

વડોદરામાં વડાપ્રધાન મોદીનો રોડ શો રદ, આ છે મોટું કારણ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 જુને ફરી ગુજરાત આવવાના હતા. જેમાં તેઓ વડોદરામાં રોડ શો કરવાના હતા. જો કે તેઓનો આ રોડ શો રદ કરવામાં આવ્યો છે. જોકે, તેમના 18 જૂનના કાર્યક્રમો રાબેતા મુજબ રહેશે. જેમાં તેઓ પાવાગઢ મંદિરે ધજારોહણ કાર્યક્રમમાં હાજરી આપશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષે ટ્વીટ કરી આપી જાણકારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં રોડ શો અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, દેશનાં નાગરિકોની પડખે રહી સદાય એમની કાળજી લેતા આપણાં યશસ્વી અને વંદનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18મી જૂને વડોદરા ખાતે બપોરે 12 કલાકે યોજાનારો રોડ શો શહેરનાં નાગરિકોને તકલીફ ના પડે એ ધ્યાનમાં રાખીને રદ કરવાની સૂચના આપી છે. પ્રજાની પડખે રહી, પ્રજાની સુખાકારીને સદાય કેન્દ્રમાં રાખી નિર્ણય લેનારા પ્રધાનમંત્રીનો હું આભાર વ્યક્ત કરું છું.

ગુજરાત પર આતંકી હુમલાની દહેશત
પયગંબર વિરુદ્ધ કરાયેલી ટીપ્પણી મામલે ગુજરાત(Gujarat) સહિત અનેક રાજ્યોમાં આતંકી હુમલા(Terrorist Attack)ની ધમકી આપવામાં આવી છે. અલકાયદા દ્વારા એક લેટર લખીને ગુજરાત, યુપી(UP), મુંબઈ(Mumbai) અને દિલ્હી(Delhi)મા મોટાપાયે આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપવામાં આવી છે. ધમકીના પગલે ગુજરાત પોલીસ પણ એકશનમાં આવી ગઈ છે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાતની જનતાને વિનંતી કરી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરે.

ગુજરાતના મોટા મંદિરોમાં સુરક્ષા વધારાઈ
આતંકી હુમલાના પગલે ગુજરાત રાજ્યના મોટા મંદિરોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ગુજરાતમાં આવતા તમામ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને, અંબાજી નજીક છાપરી બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે. છાપરી બોર્ડર પર હથિયારધારી પોલીસ તૈનાત છે. હાઈ અલર્ટને પગલે દ્વારકા મંદિરમાં થ્રી લેયર સુરક્ષા રાખવાનો નિર્ણય કરાયો છે. હાલમાં દ્વારકા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ બાજ નજર રાખી રહી છે. દ્વારકા મંદિરમાં CCTVથી પણ વોચ રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. મંદિરની સુરક્ષા માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આતંકી હુમલાના અલર્ટને પગલે ઠેર ઠેર પોલીસ તૈનાત થઈ ગઈ છે.

બોર્ડર પર ચેકિંગ
ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અરવલ્લી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અરવલ્લી SP દ્વારા SOG સહિતના પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ વધારવા પણ સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત શંકાસ્પદ લોકો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહિ ગેસ્ટ હાઉસ સહિતની જગ્યાઓ પર તપાસ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. વધુમાં SP એ સબંધિત પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ વધારવા સુચના આપી છે.

Most Popular

To Top