Gujarat

ફ્રન્ટલાઇન અને હેલ્થકેર વર્કર્સને પ્રિકોશન ડોઝ આપવા 28 થી 30 જુલાઇ સુધી ખાસ ઝુંબેશ

ગાંધીનગર : રાજ્યમાં “કોવિડ વેક્સિનેશન અમૃત મહોત્સવ” અભિયાન શરૂ કરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગત તા. ૧૫મી જુલાઇ, ૨૦૨૨થી ૧૮-૫૯ વર્ષની વયજૂથના લાભાર્થીઓને સરકારી કોવિડ રસીકરણ (Covid Vaccine) કેન્દ્રો પર વિનામૂલ્યે કોવિડ વેક્સિનનો પ્રિકોશન ડોઝ (Precautionary dose) આપવામાં આવી રહ્યો છે. રાજ્યના ફ્રન્ટ લાઇન વર્કર્સ અને હેલ્થ કેર વર્કર્સને કોવીડ વેક્સિનેશનના પ્રિકોશન ડોઝ આપવા માટે આગામી ત્રણ દિવસ તા.૨૮ થી ૩૦ જુલાઈ દરમિયાન ખાસ ઝુંબેશ યોજાશે. જે અંતર્ગત આશા બહેનો, આંગણવાડી વર્કર્સ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ફ્રન્ટ લાઇન વર્કર્સ અને હેલ્થ કેર વર્કર્સના લાભાર્થીઓને વિવિધ વિભાગો સાથે સંકલન કરી જે તે વિભાગની કચેરીમાં જ વેક્સિનેશન સેશનનું આયોજન કરી ફ્રન્ટ લાઇન વર્કર્સનું વેક્સિનેશન કરવામાં આવશે.

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યના તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર ૧૫મી જુલાઇ, ૨૦૨૨થી શરૂ કરી ૭૫ દિવસ સુધી એટલે કે આગામી તા.૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી આ કોવિડ રસીકરણનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. ૧૮થી ૫૯ વર્ષ વયજૂથના અને બીજા ડોઝના ૬ મહિના પૂર્ણ કરી ચૂક્યાં છે તેમના માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે. તા. ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી રાજ્યમાં તમામ જિલ્લા-કોર્પોરેશનમાં આ વયજૂથના અંદાજિત ૪ કરોડ પાત્ર લાભાર્થીને આ પ્રિકોશન ડોઝનો લાભ મળશે. જેના માટે અંદાજિત દૈનિક ૬ હજાર કોવિડ વેક્સિનેશન કેન્દ્રો પર ૧૨ હજારથી વધુ તાલીમબદ્ધ આરોગ્યકર્મીઓ દ્વારા રસીકરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

પ્રથમ અને બીજા ડોઝની જેમ જ વિવિધ સરકારી સંસ્થાઓ અને જાહેર સ્થળો પર રસીકરણ કેન્દ્રો ઊભા કરી તમામ પાત્રતા ધરાવતા નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે અને આગામી ૭૫ દિવસોમાં મહત્તમ લાભાર્થીઓને આવરી લઈ સ્વસ્થ ગુજરાતના નિર્માણનું આયોજન છે.


Most Popular

To Top