Gujarat

12મી મેના રોજ પીએમ મોદી ગુજરાતમાં 2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી તા. 12 મેના રોજ ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે રૂપિયા 2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ. 25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. રાજયના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
શહેરી વિકાસ વિભાગ દ્વારા મહેસાણાના કસ્બામાં 18.46 MLD ક્ષમતાના અને નાગલપુરમાં 23.18 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP) તેમજ અમદાવાદમાં બાપુનગર સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 30 MLD ક્ષમતાના STP તેમજ રાઇઝિંગ મેઇનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, દહેગામ ખાતે ઓડિટોરિયમનું લોકાર્પણ તેમજ અમદાવાદમાં એસપી રિંગ રોડ અને મુમદપુરા ક્રોસિંગ પાસે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.

આ સાથે જ શહેરી વિકાસ વિભાગ હેઠળ અમદાવાદમાં ગોતા ખાતે તેમજ અમરાઇવાડી ખાતે નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગેલેક્સી સિનેમા જંક્શન, દેવી સિનેમા જંક્શન અને નરોડા પાટિયા જંક્શનને જોડતો ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, વાડજ તેમજ સતાધાર જંક્શન ખાતે ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, AMCના વિવિધ TP રોડ્સનું રિગાર્ડેશન અને રિસર્ફેસિંગ તેમજ અન્ય વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવશે.

પાણી પુરવઠા વિભાગના 734 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
પાણી પુરવઠા વિભાગ હેઠળ SIPU ઓગમેન્ટેશન પ્રાદેશિક પાણી પુરવઠા યોજના પેકેજ- 1, 2 અને 3નું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ ચેસણ બ્યુલ પાઇપલાઇન તેમજ લાભોર અને જલુન્દ્રા જૂથ પ્રાદેશિક પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે.

આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ હેઠળ પાલડી નવાપુરા સરોડા ધોળકા રોડ પર રૂ.39 કરોડના ખર્ચે તૈયાર થયેલા રિવર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે ખાણ અને ખનિજ વિભાગ હેઠળ રૂ.25 કરોડના ખર્ચે નરોડા GIDC ખાતે ડ્રેનેજ કલેક્શન નેટવર્કનું લોકાર્પણ કરવામાં આવશે.

Most Popular

To Top