Comments

કાંદો મરદનો બાંધો પણ કાંદાનો ખેડૂત માંદો

સૌરાષ્ટ્રમાં કહેવત છે ‘‘કાંદાનો ખેડૂ માંદો.’’પરંતુ દેશભરમાં ••લિટર પેટ્રોલ અને ••કિલો ડુંગળીના ભાવ રૂ.૧૦૦/- થઈ જાય એટલે લાગે કે ખેડૂ માલામાલ થઈ ગયા. પરંતુ જમીન ઉપરની સ્થિતિ ભ્રમ ભાંગે છે. દુનિયામાં ચીન, પાકિસ્તાન, હિન્દુસ્તાન અને કંઈક અંશે દક્ષિણ અમેરિકામાં ડુંગળીનો પાક થાય છે. પરંતુ વિશ્વના કુલ ઉત્પાદન પૈકી ૬૫ ટકા ડુંગળી માત્ર હિન્દુસ્તાનમાં પાકે છે અને ૬૫ ટકાનો લગભગ ૩૮ ટકા જેવો હિસ્સો માત્ર ભાવનગર અને રાજકોટ જિલ્લામાંથી ઉત્પન્ન થાય છે. સફેદ અને લાલ ડુંગળીની બે મુખ્ય જાતો, પરંતુ તેના ઉત્પાદનના સમયગાળામાં કે તેના સ્વાદમાં કશો ફરક હોતો નથી. જુલાઈ ઊતરતાં ચોમાસે ડુંગળીના રોપનું વાવેતર થાય. આથી ડિસેમ્બર માસના બીજા- ત્રીજા અઠવાડિયાથી ફેરિયાઓ લીલી ડુંગળી લઈ ઘરે ઘરે ફરવા લાગે છે. પરંતુ નાસિકનો લાઇટરેડ પ્રકારનો ૨૨થી ૨૭ એમ.એમ.નો બલ્બ (ડુંગળી) કે પછી સૌરાષ્ટ્રનું લોદર પરિપકવ સ્થિતિમાં તૈયાર થતાં માર્ચ મહિનો આવી પહોંચે છે.

વિશ્વમાં સહુથી વધુ માત્રામાં ખવાતી ડુંગળી શાકભાજીની હરોળનો ખોરાક છે. પરંતુ તેમાં ૯૨ ટકા પ્રવાહી અને ૮ ટકા ઘન સ્વરૂપે મિનરલ્સ, ફૉસ્ફેટિક કંપાઉન્ડ જેવા કે પોટૅશિયમ, મૅગ્નેશિયમ રહેલાં હોય છે. ડુંગળી આંખમાંથી આંસુ પાડનારી હોય છે તેનું કારણ તેમાં રહેલ અમોનિયમ છે. ડુંગળીમાં ભેજનું પ્રમાણ અત્યંત વધુ હોઈ જમીનમાંથી બહાર ખુલ્લા તાપ નીચે તેનાં વજન અને કદમાં રોજ ૬થી ૭ ટકાની ઘટ થાય છે. સૂર્યના તાપથી બચાવવા ખેડૂત જો ડુંગળીને હવા-પ્રકાશથી દૂર રાખે તો તેમાં મોલ્ડ નામની ફૂગ થઈ જાય છે અને આઠ-દસ દિવસમાં ડુંગળી પોતાની જ ગરમીથી બફાઈ જાય છે. પછી ગંધ મારતી ડુંગળી તો પશુઓ પણ ખાતાં નથી. આવી રોગયુકત ડુંગળીને ખેડૂતે પોતાના હાથે જ બાળી દેવી પડે છે.

ગોરાડુ કે મીઠી કાળી જમીનમાં ઊગતી ડુંગળીની યોગ્ય માવજત થાય તો ખેડૂત હેકટરે ૩૦થી ૩૫ હજાર કિલોનો ઉતારો મેળવી શકે છે. વીજળીની તંગી અને જમીનનાં ઊંડાં તળનાં પાણીની સ્થિતિ વચ્ચે ખેડૂતોને ડુંગળી પકવવાની હોય છે. યુરિયા અને ડી.એ.પી. પ્રકારના ખાતરનાં ઊંચા ખર્ચ પછી મળતા પાકની જોખમી જાળવણીનો પ્રશ્ન ખેડૂતોના માથે સળગતો જ રહે છે. આવી સ્થિતિમાં જ્યારે માર્ચથી મે મહિના સુધીમાં ડુંગળીનું સામટું ઉત્પાદન બજારમાં આવે છે, ત્યારે માર્કેટયાર્ડમાં ડુંગળીનું કોઈ ધણીધોરી થતું નથી. પાછલાં વર્ષોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો ખેડૂતોને પોતાનાં ખેતરની ડુંગળી બહાર ખેંચવાની મજૂરી પણ ન પોસાતાં ગામમાં ઢોલ પીટી ડુંગળીની મફત લહાણી કર્યાના બનાવ નોંધાયા છે. દૂધ માફક ડુંગળી લાંબો સમય સુધી ન ટકે તેવી ખેત પેદાશ છે. બને છે એવું કે રાજકોટ અને ભાવનગરના બજારમાં ડુંગળીના ભાવ પડી ગયા હોય પણ કલકત્તા, મદ્રાસ અને દિલ્હીનાં બજાર ઊંચકાયેલાં હોય, આથી ટેલિફોનથી જાણેલ બજારભાવ આધારે ખેડૂત સિમલા કે ચંદીગઢ સુધી સોદો કરી નાખે છે.

પરંતુ ૨૦-૨૨ ટન ભરેલી ડુંગળીના થેલાઓમાં હવાની અવરજવર ન થાય તો •• ટ્રકમાં ૬-૮ દિવસની મુસાફરી દરમ્યાન ગરમીથી ડુંગળીમાં ફંગસ લાગી જાય છે. ડુંગળી પોતાનું પાણી છોડી દે છે અને માર્કેટયાર્ડમાં પહોંચતી ડુંગળીની કિંમત ટ્રક ભાડા જેટલી પણ રહેતી નથી. ડુંગળીના બજારની બીજી વિચિત્રતા એ છે કે ડુંગળીની દલાલી કરતા વ્યાપારીઓ ખેડૂતો પાસે ૬% દલાલી વસૂલે છે તેમ માલ ખરીદનાર વ્યાપારી પાસેથી પણ ૬% દલાલી પડાવે છે. આમ ડુંગળીના વપરાશકારો માથે બિનજરૂરી ૧૨%નો બોજો આવી પડે છે. શાકભાજીની નિકાસમાં સૌરાષ્ટ્રની ડુંગળીનો હિસ્સો ૯૦% હોવા છતાં ખેડૂતોના હિત માટે ભારત સરકારે બનાવેલ સંસ્થા નાફેડ વરસે ૫૦ હજાર ટન પણ ડુંગળી ખરીદ કરતી નથી.

ટેકાના ખરીદભાવ જાહેર કરતું નથી અને જ્યારે બજારમાં ડુંગળીની ખેંચ ઊભી થાય ત્યારે ખેડૂતો ઉપર રોક લગાવી મિડલઇસ્ટ અને યુરોપમાં ડુંગળીની નિકાસ અટકાવી દેવામાં આવે છે. દેશનું સંચાલન કરતાં અર્થશાસ્ત્રીઓ માને છે કે નિકાસ બંધ કરતાં બજાર દબાશે. પણ રાજકારણ અને વહીવટી તંત્રના નિર્ણયો સુખી લોકોના સુખ માટે અનામત હોય છે. તેમાં હવે ડુંગળીના વ્યાપારીઓનો સમાવેશ પણ થયો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોના હિત માટે સંગઠિત ગુજરાત ડુંગળી ઉત્પાદક સંઘને રાજ્ય સરકારે ૨૭ લાખનું શેરભંડોળ આપ્યું છે અને ધોરાજી, જામજોધપુર, રાજકોટ, તળાજા, મહુવા, અમરેલી અને જૂનાગઢ જિલ્લાની ૫૬ સહકારી મંડળીઓના સંઘના ખેડૂત સભ્યોને ટેકો આપ્યો છે. આ બાબત કંઈક અંશે સારી છે. આમ છતાં સૌરાષ્ટ્રના ડુંગળી ઉગાડતા દોઢ-પોણા બે લાખ ખેડૂતો હજુ નિરાધાર અવસ્થામાં છે.

કુદરતના આશ્રયે બે પાંદડે થવા આશાની મીટ માંડતા ખેડૂતોને નથી કોઈ સુધારેલ બિયારણ પહોંચાડતા કે નથી ડુંગળીના સુકારા રોગ સામે રક્ષણ અપાતું. અને આજે તો ડુંગળીના બિયારણના ભાવ ૧ કિલોના રૂ.૨૭૦૦/- થયા છે તો પણ ખાતરીબદ્ધ બિયારણ તો નહીં જ.  ગરીબ માણસ •દાલ રોટી સાથે સાથ દેતી ડુંગળી કસ્તૂરી સમાન છે અને હિબ્રૂ ભાષામાં ઓનીઓ (મોતી) તરીકે જાણીતી અનિયન (Onion)ના ભાવ આસમાને ચડે છે ત્યારે શાસક પક્ષની ખુરશીઓના સાંધા હલવા લાગે છે. ડુંગળીના વધતા ભાવ દેશભરની સમસ્યા બને છે. પણ તેનો અડધો ઇલાજ કાઠિયાવાડની જમીન ઉપર ઉપલબ્ધ છે. ઉપાય તરીકે ભાવનગર જિલ્લાના ગામ તળાજાના સીડ ફાર્મની ૫૮ એકર પડતર જમીન ઉપર સંશોધન વિસ્તરણ કેન્દ્ર પ્રસ્થાપિત કરવાની તાતી જરૂર છે.

ખેતી વિભાગ અને ગુજરાત ગ્રોઅર્સ ફેડરેશન જેવી સંસ્થાઓના ઉપક્રમે નાના ખેડૂતોને ત્યાં નિદર્શન યોજાતાં થાય તો સૌરાષ્ટ્રના ખેડૂતોની ડુંગળીની ગુણવત્તા નાસિકની લાઇટરેડની સરખામણીમાં ટકકર લઈ શકે. ડુંગળીનો પાક બટાકા માકફ કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય તેવી ટેકનોલોજી હજુ આપણા દેશમાં પહોંચી નથી, ત્યારે ગ્રેડિંગ થયા પછીના નબળા માલને ડીહાઇડ્રેટ કરી પાઉડર સ્વરૂપમાં લાવવાનું કામ મહુવામાં ૧૪૭ ઉદ્યોગો કરે છે. ગ્રાહકોમાં ડુંગળી અને લસણના પાઉડરના વપરાશને પ્રચલિત કરવા અને ડુંગળીના ભાવે જ ડુંગળી-લસણની પેસ્ટ ઉપલબ્ધ બને માટે સરકારે ડુંગળીનાં પ્રોસેસિંગ યુનિટને વધુમાં વધુ સુવિધા આપી જૂનાગઢ, અમરેલી અને રાજકોટના ત્રિભેટે વિકસાવવાં જોઈએ.

આસામથી હિમાલય પ્રદેશ અને છેક મદ્રાસના બજારમાં ફરતી સૌરાષ્ટ્રની ડુંગળી અને તેના ખેડૂતોને વ્યાપારીઓની ચુંગાલમાંથી છોડાવવા અને આમ પ્રજાને વાજબી ભાવે ડુંગળી પહોંચાડવા, મહારાષ્ટ્રના નાસિક પ્રદેશની પદ્ધતિ પ્રમાણે ખેડૂતોને લઘુઉદ્યોગ સહાય યોજના હેઠળ રૂ.૪૦ થી રૂ.૬૦ હજારની લોન આપી ખેતરોમાં •ડુંગળીના નાના સ્ટેક (મેડા) તૈયાર કરવાની સવલત પહોંચાડવી જોઈએ. આથી ખેડૂતની સંગ્રહ કરવાની શક્તિ વધશે. ઉપરાંત મોટા (સ્ટોરેજ)માં ડુંગળી લાવવા, મૂકવા અને ઉપાડવાનો ખર્ચ બચશે. એટલું જ નહીં પણ ડુંગળી એકસાથે અસર કરતા ફૂગના રોગથી થતો બગાડ અટકશે.

આજે સ્થિતિ એ છે કે મહારાષ્ટ્રનાં ગામડાંઓનો ખેડૂત પોતાના ટ્રેકટરમાં છૂટી ડુંગળી બજારોમાં પોતાને પરવડતા ભાવે વેચી શકે છે. તેની સામે સૌરાષ્ટ્રનો ખેડૂત રૂ.૫૦થી ભાવનું એક બારદાન (શણની ગુણી) ખરીદ કરી ડુંગળી પૅક કરે છે. તે પછી ટ્રૅકટર ભાડે કરી માર્ગ સુધી અથવા માર્કેટયાર્ડમાં લઈ જાય છે, અને પછી ૨૦-૨૨ ટનની ભરતીવાળી વાડની ટ્રકો દ્વારા દૂરનાં બજારોમાં મોકલે છે. પરિણામે ખેડૂત અને ગ્રાહક બંનેને ઘસારો ખમવો પડે છે.

ભુખરી-પથરાળ જમીનના ૬ ઇંચના દળમાં ડુંગળીની ખેતી કરતો સૌરાષ્ટ્રનો ગરીબીવશાત્ ગામના શેઠ પાસેથી દિવાળીમાં ૨૫-૪૦ હજાર રૂપિયા ઉછીના લે અને પોતાની ડુંગળી માંડી દે. તે પછી બૈરાં-છોકરાં સહિત કાળી મજૂરી કરી ડુંગળી પકવે છે ત્યારે ખેડૂતના હાથમાં કિલો ડુંગળીએ રૂ.૧૨થી રૂ.૧૮અઢી આવે છે અને માલની હેરાફેરી અને સંગ્રહ કરતાં વ્યાપારીઓને એક કિલોએ રૂ.૩૮થી રૂ.૪૦ મળે છે ! લોકશાહીની બજારવ્યવસ્થા શાસનકર્તાઓમાં પેસી ગયેલાં અનિષ્ટ તત્ત્વોના કારણે આજે ગરીબ ઉપભોકતા પિસાય છે તો ખેડૂત પણ બે પાંદડે થતો નથી અને હારી-થાકી મોતને શરણે જાય છે. જ્યારે ડુંગળીના સટ્ટાખોરો અને સંગ્રહ કરનારાઓ માલામાલ થઈ જાય છે. આવા કપરા સમયે તો ખેડૂતતરફી સંગઠનો અને ખેડૂતોને ખેતીવિજ્ઞાન શીખવતી યુનિવર્સિટીના માળખાએ બજાર વચ્ચે ઊભા રહી ખેડૂતોની પેદાશને ઉપભોકતાઓ સુધી પહોંચાડવાનું સાહસ દાખવી દાખલો બેસાડવાની જરૂર છે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top