હજારીગલ, સેવંતી અને ઓર્કિડના મિશ્ર ફૂલોથી અલૌકિક શણગાર કરાયો – દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન
અમદાવાદ
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું ભવ્ય રાજોપચાર પૂજન અને દિવ્ય શણગારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દર્શનનો લાભ લઈ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો.
મંદિર સંચાલન દ્વારા આયોજિત આ વિશેષ ઉજવણીમાં દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા દિવ્ય વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. સાથે હજારીગલ, સેવંતી અને ઓર્કિડના મિશ્ર ફૂલોથી અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે 5:45 કલાકે પૂજારી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ દિવસભર ભક્તોએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.
મંદિર દ્વારા પારિવારિક શાંતિ અને કલ્યાણ માટે 17 મે થી 15 જૂન, 2026 સુધી શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ યજ્ઞ દરરોજ સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 વાગ્યા દરમિયાન યોજાઈ રહ્યો છે.
સાંજે 5 વાગ્યે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન યોજાયું હતું. આ પ્રસંગે દાદાને વિવિધ ફળ, પુષ્પ, ડ્રાયફ્રૂટ અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સાંજે 7 વાગ્યે પૂજારી દ્વારા દિવ્ય સંધ્યા આરતી ઉતારવામાં આવી હતી.
મંદિર તરફથી જણાવાયું હતું કે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી મહારાજ પોતાના ભક્તોના દુઃખો દૂર કરતા રાજાધિરાજ સમાન છે. તેથી સાળંગપુરધામ ખાતે વિવિધ અવસરો પર રાજોપચાર પૂજનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. રાજોપચાર પૂજામાં ચારેય વેદોના મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો તથા ભજન-કીર્તન દ્વારા હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવામાં આવે છે. આ પ્રસંગે શાસ્ત્રીય સંગીત અને વિવિધ વાદ્યોના સ્વરો વચ્ચે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું,