World

કરાચીના સેફ હાઉસમાં ઘુસી ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની છાતીમાં હુમલાખોરોએ ચાર ગોળી ધરબી દીધી

નવી દિલ્હી: ભારતનો (India) વધુ એક મોસ્ટ વોન્ટેડ (Most Wanted) આતંકવાદી (Terrorist) પાકિસ્તાનમાં (Pakistan) માર્યો ગયો છે. લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનને (Adnan Ahmed Hanjala Adnan) કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો છે.

વર્ષ 2016માં પમ્પોરમાં સીઆરપીએફ પર હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકવાદી હંજલા ભારતમાં મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટની યાદીમાં સામેલ હતો. પમ્પોરના હુમલામાં ભારતના 8 જવાનો શહીદ થયા હતા, જ્યારે 22 ઘાયલ થયા હતા. એટલું જ નહીં, હંજલાએ વર્ષ 2015માં જમ્મુના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલાનું આયોજન કર્યું હતું. આ હુમલામાં BSFના 2 જવાન શહીદ થયા હતા જ્યારે 13 BSF જવાનો ઘાયલ થયા હતા. આ હુમલાની તપાસ NIA દ્વારા કરવામાં આવી હતી અને 6 ઓગસ્ટ 2015ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આ બંને હુમલામાં હંજાલા પાકિસ્તાનમાં બેસીને આતંકીઓને સૂચના આપી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામા વિસ્તારમાં થયેલા આત્મઘાતી હુમલામાં હંજલાએ મોટી ભૂમિકા ભજવી હતી. નવા ભરતી થયેલા આતંકવાદીઓ, ખાસ કરીને એવા આતંકવાદીઓ કે જેઓ ભારતમાં ઘૂસણખોરી કરીને આતંકવાદી હુમલા કરવાના હતા તેમને ગેરમાર્ગે દોરવા માટે હંજલાને પીઓકેના લશ્કર કેમ્પમાં મોકલવામાં આવ્યો હતો. અદનાનને લશ્કર કોમ્યુનિકેશન એક્સપર્ટ પણ કહેવામાં આવતો હતો.

હંજલાના મોતને લશ્કર ચીફ હાફિઝ સઈદ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાન લશ્કર ચીફ હાફિઝની ખૂબ નજીક હતો.

સેફ હાઉસમાં ઘુસીને અજાણ્યા હુમલાખોરોએ હંજલા પર ગોળીઓ ચલાવી
ગઈ તા. 2-3 ડિસેમ્બરની રાત્રે અજાણ્યા હુમલાખોરોએ 4 ગોળીઓ ચલાવીને હંજલાને ઠાર માર્યો છે. કડક સુરક્ષા વચ્ચે અદનાનની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સાંપડી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અદનાન અહેમદને તેના સેફ હાઉસની બહાર ગોળી મારી દેવામાં આવી હતી, ગોળી માર્યા બાદ તેને પાકિસ્તાની સેના દ્વારા ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરે તેનું અવસાન થયું. હાફિઝ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. હંજલાએ તાજેતરમાં તેનું ઓપરેશન બેઝ રાવલપિંડીથી કરાચી શિફ્ટ કર્યું હતું.

Most Popular

To Top