Comments

ચીન સાથેના સંબંધમાં ભારત ખૂબ સાવચેતી રાખી ચાલી રહ્યું છે

યુએન જનરલ એસેમ્બલીના વાર્ષિક સત્રમાં હાજરી આપવા ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કોલંબિયા યુનિવર્સિટીમાં વાતચીત દરમિયાન ચીન અને ભારતના સંબંધો વિષે વાત કરી. તેમણે કહ્યું કે ભારત અને ચીનના પરસ્પર હિતમાં છે કે બંને એકબીજાને સમાયોજિત કરવાનો માર્ગ શોધે કારણ કે જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો તેની એશિયાના વિકાસ પર અસર થશે. એશિયાનો વિકાસ આ મહાદ્વીપની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પર જ નિર્ભર છે. જયશંકરે કહ્યું કે આપણા સમયમાં, આપણે વિશ્વમાં સૌથી મોટો જે બદલાવ જોયો છે તે ચીનનો ઉદય છે. એક જ સમયગાળામાં ચીન ભારત કરતાં વધુ ઝડપથી આગળ વધ્યું છે. આજે આપણા માટે મુદ્દો એ છે કે કેવી રીતે બે ઉભરતી શક્તિઓ, સાંપ્રત પરિસ્થિતિમાં એકબીજા સાથે તાલમેળ બેસાડે છે.

છેલ્લાં ત્રણેક વર્ષથી અવારનવાર આપણે પેંગોંગ લેક અને સિયોક તેમજ ગલવાન નદીના ખીણ પ્રદેશમાં ચીન સાથે લશ્કરી અથડામણના સમાચાર સાંભળતા રહીએ છીએ. થોડા સમય પહેલાં જ ભારતની સરહદ નજીક અથવા કેટલાક કિસ્સાઓમાં તો ભારતની જમીન ઉપર ચીને ૬૨૪ ગામડાં બાંધી દીધાં, જે સરસ મજાના રસ્તા અને આંતર માળખાકીય સુવિધાઓથી સુસજ્જ છે. વર્ષ ૨૦૨૨ ની શરૂઆતમાં ચીની સૈનિકોએ ગલવાન ખીણ વિસ્તારમાં ચીનનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં ૧૫ જગ્યાઓનાં નવા નામ રાખી દેવામાં આવ્યાં હતાં. ભારત સાથે પૂર્વીય લદ્દાખમાં સંઘર્ષ વચ્ચે ચીનની અવળચંડાઈ સતત ચાલુ જ રહે છે. સરહદ પર શાંતિ માટે વાટાઘાટોનું નાટક કરવાની સાથે ચીન હિમાલયમાં ભારતની સરહદ નજીક એક પછી એક ગામો વસાવતું રહે છે.

પેંગોંગ લેક વિસ્તારોમાં હિંસક અથડામણને પગલે પ મે, ૨૦૨૦ ના રોજ પૂર્વી લદ્દાખ સીમા પર સ્ટેન્ડઓફની પરિસ્થિતિ સર્જાઈ હતી. બંને પક્ષોએ ધીમે ધીમે હજારો સૈનિકો અને ભારે શસ્ત્રોની આ વિસ્તારમાં જમાવટ વધારી હતી. લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટો પછી બંને પક્ષો ગયા વર્ષે પેંગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ કાંઠે અને ગોગરા વિસ્તારમાં પાછા હટવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

શું ચીન ચેન્નાઈમાં વાણિજ્ય દૂતાવાસ ખોલી શકે છે તે પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે હાલમાં ચીન સાથે ભારતના સંબંધો સામાન્ય નથી. ઉલ્લેખનીય છે કે આ મહિનાના મધ્યમાં જ ભારત-ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ખાતેના હોટ સ્પ્રિંગ્સ-ગોગરા પર સંઘર્ષની સ્થિતિ સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે તેમાં ડેપસાંગ અને દેમચોકમાં યથાસ્થિતિ છે. ઓગસ્ટ ૨૦૨૧ પછી કમાન્ડર સ્તરની ૧૬ વાટાઘાટો પછી પ્રથમ વખત LAC પર આવો નિર્ણય લેવાયો. જો કે આ નિર્ણયને SCO સમિટમાં ભારતનું સમર્થન સુનિશ્ચિત કરવાના ભાગરૂપે પણ જોવામાં આવે છે. અગાઉ પણ ચીન બ્રિક્સ સંમેલન પહેલાં આવું કરી ચૂક્યું છે. ગયા મહિને પણ જયશંકરે બેંગકોકમાં કહ્યું હતું કે ચીને સરહદ પર જે કર્યું છે તે પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો અત્યંત મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જો બંને પડોશીઓ હાથ નહીં મિલાવે તો ‘એશિયન સેન્ચ્યુરી’નહીં બને.

આમ ભારત અને ચીન દ્વારા પૂર્વી લદ્દાખના ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારમાં પોતાના સૈનિકોને પાછા ખેંચવા અને અસ્થાયી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવાની પ્રક્રિયાની સંયુક્ત ચકાસણી હાથ ધર્યાના એક અઠવાડિયા પછી જયશંકરની ચીન વિષેની ટિપ્પણી ઘણી સૂચક છે. તાજેતરમાં યોજાયેલી SCO સમિટમાં પણ ભારતના વડા પ્રધાને શી જિનપિંગ સાથે અંતર રાખ્યું હતું, દ્વિપક્ષીય મુલાકાત પણ તેમની વચ્ચે યોજાઇ નથી. ચીન અને ભારતીય સૈન્ય વચ્ચે સરહદે ભલે સમજૂતી થઈ પણ હકીકત એ છે કે ચીન સાથેના સંબંધમાં ભારત ખૂબ સાવચેતી રાખી ચાલી રહ્યું છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top