Comments

ગુજરાત કોંગ્રેસમાં કેવા નેતાઓ છે?

ગુજરાતમાં એમાંય મોદીના ગુજરાત આવ્યા પછી કોંગ્રેસની જે સ્થિતિ થઇ છે એવી સ્થિતિ કદાચ 1990 પહેલાં નહોતી. દર ચૂંટણીએ, પછી સ્થાનિક સ્વરાજ્યની હોય કે વિધાનસભાની કે પછી લોકસભાની, ગુજરાતમાં એક પરિણામ નક્કી હોય છે અને એ છે કોંગ્રેસની હાર.

ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ત્રીજા કોઈ પક્ષનું કોઈ વજૂદ નથી રહ્યું ત્યાં કોંગ્રેસ હંમેશા બીજા જ નંબરે કેમ રહે છે? સીધી રીતે આ પ્રશ્નનો જવાબ શોધીએ તો એક જ જવાબ મળે છે કે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ ક્યારેય પાર્ટી માટે નહિ, પણ પોતાના માટે જ વધારે લડતા હોય એવું લાગે છે.

ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લાં 30 વર્ષોથી સત્તા બહાર છે, છતાં કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ સત્તા જ ભોગવતા હોય એવું લાગે છે. મોટી ગાડીઓ,મોટા બંગલાઓ,મોંઘા મોબાઈલ,એ વર્ષોથી સત્તા પર ન રહેનાર પક્ષના નેતાઓ પાસે આવે છે ક્યાંથી? કેટલાક કહેશે કે એ તો એમની કમાણી અને વેપાર ધંધામાંથી આવે છે?

ચાલો માની લઈએ કે એમના વેપાર ધંધામાંથી આવે છે તો પછી ગુજરાતમાં રહેતા કોંગ્રેસના નેતાઓનો વેપાર ધંધો તો ગુજરાતમાં જ થતો હશે? અને ગુજરાતમાં જ થતો હોય તો મોટા વેપાર ધંધા કરતા લોકોને સરકાર અને સરકારી અધિકારીઓનુંય કામ પડતું હશે? ગુજરાતમાં તો ભાજપની સરકાર છે?

તો પછી વર્ષોથી સહજતાથી કોંગ્રેસના કહેવાતા મોટા નેતાઓના વેપાર ધંધા મોટા પાયે ચાલે છે કઈ રીતે? અહીં કોંગ્રેસના કોઈ નેતાનો માનભંગ કરવાનો કે એમને નીચા દેખાડવાનો સવાલ નથી.સવાલ એટલો છે કે જે લોકોના સરકારમાં વેપાર ધંધા રહેલા હોય,સરકાર સાથે અવારનવાર કામ પડતું હોય એ સરકાર સામે કામ કઈ રીતે કરી શકે? સરકારનો વિરોધ કઈ રીતે કરી શકે?

ઘણા નેતાઓ આ વાંચીને એવું પણ કહેશે કે અમારે તો કોઈ એવા વેપાર ધંધા નથી પણ એવા નેતાઓએ એક વખત સમજવું અને વિચારવું જોઈએ કે પોતાના જ નામે થાય એ વેપારધંધો નથી હોતો,પોતાના સગા વ્હાલા,માનીતા,રખોપા કરનાર લોકોના નામે પણ ધંધા વેપાર થઇ શકે છે અને ગુજરાતનાં લોકોને આ બધી ટેક્નિક વર્ષોથી ખબર છે.

એટલે એ વાત કે મુદ્દો આગળ અહીં ચર્ચતા નથી.મૂળ મુદ્દાની વાત કરીએ તો જે કોંગ્રેસના નેતાઓના વેપાર ધંધા ગુજરાત સરકાર સાથે સંકળાયેલા છે. એ લોકો કયારેય સરકાર સામે પડવાનું જોખમ નહીં લે. વળી સરકાર માટે પણ આવાં લોકોનું કામ કરી આપવાનું કે એમના વેપાર ધંધાને નહિ અડકવાનાં કારણો છે કે જો આવા નેતાઓના વેપાર ધંધા ચાલતા રહેશે તો ચૂંટણી સમયે એમને દબાવી શકાશે? એમના ખભે બંદૂક ફોડી શકાશે.આખી સ્થિતિ જોઈને કોઈ પણ સામાન્ય વ્યક્તિને ખ્યાલ આવી જાય કે ગુજરાતમાં  કોંગ્રેસના નેતાઓ નહિ, પણ ભાજપના નેતાઓ ચલાવે છે.હવે જે પ્રદેશની કોંગ્રેસ જ ભાજપ ચલાવતી હોય ત્યાં કોંગ્રેસ 23 નહિ 300 વર્ષ સત્તામાં નહિ આવે.આ તો થયો એક મુદ્દો.

બીજો મહત્ત્વનો મુદ્દો ગુજરાતમાં કોંગ્રેસની ટિકિટનો છે કે ગુજરાતમાં કોંગ્રેસની ટિકિટ કોને અને કેવી રીતે મળે છે? ગુજરાતમાં ચૂંટણી પછી એ જિલ્લા પંચાયત હોય,કોર્પોરેશન હોય કે વિધાનસભા કે લોકસભા, દરેકમાં કહેવાતા સિનિયર નેતાઓ પોતાના મળતિયા જે ક્યારેય કોંગ્રેસમાં દેખાતા નથી,જેમને કોંગ્રેસના કોઈ કાર્યક્રમ સાથે લેવા દેવા નથી એમને ટિકિટ અપાવવા માટે આ નેતાઓ જે  પોતાના પગે ચાલી નથી શકતા,ભર દિવસે સ્પષ્ટ જોઈ નથી શકતા એ ટિકિટ માંગવા દિલ્હી દરબારમાં ભેટ સોગાદો લઇને હાજરી આપવા પહોંચી જાય છે.

દિલ્હીમાં ગજ ન વાગે તો ગુજરાતના પ્રભારીને ત્યાં,ગુજરાતના પ્રભારીને ત્યાં ગજ ન વાગે તો પછી પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાઓની પગચંપી કરવાની અને ટિકિટ માટે જે યોગ્ય દાવેદાર હોય એનું નામ કપાવી પોતાના મળતિયાઓ ટિકિટ અપાવી દેવાની. સરવાળે વર્ષોથી કામ કરતા કોંગ્રેસમાં રહી સામા પ્રવાહે લડતા ઉમેદવારો સાઈડ લાઈન થઇ મુખ્ય પ્રવાહમાં કહેવાતા નેતાઓના મળતિયા આવી જાય છે અને જેવી ચૂંટણી પતે અને કહેવાતા આ ઉમેદવારો હારે એટલે આવનાર બીજાં પાંચ વર્ષ કે બીજી ચૂંટણી સુધી ગાયબ થઇ જાય છે. હવે તમે વિચારો કે આવા નેતાઓ કે આવા ઉમેદવારોને પ્રજા કેમ અને શું કામ મત આપે?

ત્રીજો મહત્ત્વનો મુદ્દો ગુજરાત કોંગ્રેસમાં છે ટિકિટિયા નેતાઓનો. ગુજરાત કોંગ્રેસમાં કેટલાક કહેવાતા નેતાઓને ખબર છે કે કોંગ્રેસમાં ચૂંટણીના માત્ર છ મહિના પહેલાં મહેનત કરવાની છે.આવા ટિકિટવાંછુ કોંગ્રેસી નેતાઓની એક ખાસ મોડ્સ ઓપરેન્ડી છે.પહેલાં એક મોટી ગાડી લઇને ગુજરાત કોંગ્રેસ ભવનના આંટા ફેરા મારવાના શરૂ કરશે,પછી કોંગ્રેસ ભવનમાં જાણી લેશે કે કયો નેતા ટિકિટ અપાવી શકે છે, એટલે ધીમે રહીને ટિકિટ અપાવનાર નેતાની સેવા શરૂ કરી દેશે અને આ સેવા એ કોઈ નાની મોટી નહિ, પણ ટિકિટ અપાવી શકનાર કોંગ્રેસી નેતા મનમાં જે ધારે એ દરેક પ્રકારની ઈચ્છા પૂરી કરનાર સેવા હોય છે.

ટૂંકમાં ચૂંટણીના છ મહિના પહેલાં શરૂ થયેલી આ સેવામાં પેલા ટિકિટ આપનાર કોંગ્રેસી નેતા એવા ભોળવાઈ જાય છે કે વર્ષોથી ખરા અર્થમાં કોંગ્રેસ માટે કામ કરનાર કોંગ્રેસી નેતાને ટિકિટ આપવાની જગ્યા છે.માત્ર છ મહિનાથી દેખાતા બની બેઠેલા નેતાને ટિકિટ આપી દે છે.હવે ખરો ખેલ શરૂ થાય છે.પેલો છ મહિનાથી બની બેઠેલો નેતા ટિકિટ આવી ગયા પછી લાગતાવળગતા પાસે ટિકિટ અને ચૂંટણી ખર્ચના નામે ફંડ ઉઘરાવવાનું શરૂ કરે છે,જેમ જેમ ચૂંટણી નજીક આવે એટલે ફંડના ભાવતાલ શરૂ થાય,કેટલાક કોંગ્રેસી સિનિયર આગેવાનો કે નેતાઓ વિરોધ કરે તો એમને ફંડમાં અમુક હિસ્સો નક્કી થઇ જાય એટલે બધા જ ચૂપ,અરે કેટલાક એવી પણ ડીલ કરે છે કે ઉમેદવારના નામે ફંડ આવશે તો એના કેટલા ટકા કોના?

હવે આ ત્રણે મુદ્દાઓ સમજ્યા પછી એટલું સમજાય છે કે આખી સ્થિતિમાં કોંગ્રેસ ક્યાંય નથી.કોંગ્રેસના કાર્યકરો ક્યાંય નથી? કોંગ્રેસ કઈ રીતે જીતશે એની રણનીતિ ક્યાંય નથી? અરે જીતવા જ કોણ માંગે છે? આ તો ધંધો કરવા કોંગ્રેસમાં આવેલા લોકો છે એવું ચિત્ર ક્યારેક દેખાય છે.

આ સ્થિતિ માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી,નીચેથી ઉપર સુધી મોટા ભાગના કોંગ્રેસી નેતાઓ સંડોવાયેલા છે,એટલે કોઈ કાંઈ બોલતું નથી,બસ પરિણામ આવે એટલે છેલ્લાં 30 વર્ષોથી માત્ર હાર્યા કઈ રીતે એની ચર્ચાઓ કરે છે.પ્રદેશ પ્રમુખ રાજીનામું આપે છે.બીજા એક નેતા એમનું સ્થાન લેવા લોબિંગ કરે છે.પોતે પ્રમુખ બની જાય છે ને બધા પછી પોતપોતાના ઘરે જઈ હસી ખુશીથી જીવન વ્યતીત કરે છે,જ્યાં સુધી બીજી ચૂંટણી ન આવે ત્યાં સુધી.

આ સ્થાનિક સ્વરાજ્યનાં ચૂંટણી પરિણામો પછી મારો છેલ્લો ફકરો યાદ રાખજો.

          – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top