Madhya Gujarat

ગોધરામાં પિતા-પુત્રીએ બ્લેકમેલથી ત્રાસી આપઘાત કર્યો હતો

ગોધરા, તા.૨૨
ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે પિતા અને પુત્રી તળાવમાં ડૂબી જવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે, જેમાં જમીન પ્રકરણમાં બે ઈસમો દ્વારા બ્લેમેઇલ કરીને દુષ્પ્રેરણ કરતા પિતા-પુત્રીએ તળાવમાં પડતું મૂકીને જીવન ટુંકાવ્યું હતું, મૃતક દ્વારા લખવામાં આવેલી 3 સ્યુસાઈડ નોટ્સ પરિવારજનોને મળી આવતા સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો છે,સમગ્ર મામલે હાલ એક ઇસમ સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે દુષ્પ્રેરણા આપી હોવાની ફરિયાદ નોંધાવા પામી છે.ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે રહેતા પિતા અને પુત્રીનું તળાવમાં ડૂબી જવાને કારણે મૃત્યુ નિપજયા હતા, જે અંગેની અકસ્માતે મૃત્યુ થયા હોવાની ફરિયાદ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે નોંધવામાં આવી હતી, સમગ્ર ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે, જેમાં તળાવમાં ડૂબીને મૃત્યુ પામનારા બળવંતસિંહ ઠાકોર દ્વારા ૧૮ ફેબ્રુઆરીએ સવારે નવ વાગ્યાની આસપાસ પોતાના કુટુંબી ભત્રીજા અભિજિતસિંહ ગોપાલસિંહ રાઠોડને ફોન કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તું ક્યાં છે, જેથી અભિજિતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે હું ઉંડવા ચીખલી ગામે લગ્નમાં જઈ રહ્યો છું, તેમ કહેતા બળવંતસિંહ ઠાકોરે, તું વધારે આગળ નીકળી ગયો છે, તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો, જેની થોડીવાર બાદ મૃતક પ્રજ્ઞાબેનના મોબાઈલ ફોન નંબર પરથી ફોન આવતા અભિજિત રાઠોડે વાત કરતા બળવંતસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે મંદિરના પાછળના ભાગમાં મંદિરના હિસાબ કિતાબ લખેલી ચિઠ્ઠીઓ મૂકી છે, એ ચીઠ્ઠી તું અને સુનીલ બંને જોઈ લેજો, તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો, જેની થોડીવાર બાદ બળવંતસિંહ ઠાકોર અને તેઓની પુત્રી પ્રજ્ઞા તળાવમાં ડૂબીને મૃત્યુ પામ્યા હોવાની જાણ અભિજિતને થઈ હતી, જેથી તેઓ તાબડતોબ દોડી આવ્યા હતા, જે બાદ ગત ૧૯ ફેબ્રુઆરીએ અભિજિત રાઠોડે પોતાના પરિવારજનોને સાથે રાખીને બળવંતસિંહ ઠાકોરના જણાવ્યા મુજબ મહાદેવના મંદિર પાછળ હિસાબ કિતાબની ચિઠ્ઠીઓની શોધખોળ હાથ ધરી હતી, જેમાં મંદિર પાછળ આવેલી સ્ટીલની કોઠીમાંથી હાથથી લખેલી ત્રણ ચિઠ્ઠીઓ મળી આવી હતી, જેમાં એક ચીઠ્ઠી લાલાભાઈ ઉર્ફે કેશરીસિંહને ઉદ્દેશીને લખવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું હાર્દિક નામનો ઇસમ ઘરે આવતો અને પૈસાની માંગણી કરતો, ભારે સંકટ હોવાથી મે આ પગલું ભર્યું છે, તેમ શ્વેતાના લગ્ન કરજો, હું અને મારા સગા જ નહિ આવી શકે, જો મે પૈસા ન આપ્યા હોત તો નાના ભાઈને આપવા પડત,હું લગ્નમાં ગયા પછી પણ પૈસા માટે ફોન આવતો હતો, લારી પર આવીને ધમકી પણ આપી હતી, તેમ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.જ્યારે બીજી ચીઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું કે સંજયભાઇ સોનીને જણાવાનુ કે હાર્દીક અને ગુગલાભાઈ એ કઈ મારા દુશ્મન નથી પીપળા નીચે લારી જોડે હતી, ત્યારબાદ પાંચ વર્ષ આજુબાજુ મંદીરની દિવાલે હતી પરંતુ મગનભાઈ સુંદરભાઇ વણકર પાસે મારી જમીન સંપાદન કચેરી ગોધરા સને-૧૯૯૪ નો પત્ર હતો તે હાર્દિક પાસે આવતા જ તેને પુરપુરી માહીતી મેળવ્યા બાદ મને બ્લેકમેલ કરવાનુ શરૂ કર્યુ મગનભાઇ દરભાઇનો ફોન હાર્દીક પાસે છે અને હાર્દિકનો ફોન મગન પાસે છે, અને છેલ્લા ત્રણ-ચાર દિવસમાં હાર્દિકના મારા ઉપર દશ ફોન આવ્યા તથા રૂબરૂ ધમકી પણ આપી હતી, ત્રણ દિવસનો ધંધો પણ ઘરે લઇ ન લઈ જઈ શકયો હતો, પણ મે તેનુ નામ નથી આપ્યુ અને જો મે દશ દિવસ લારી ચાલુ રાખી હોત તો જમીનના નવ કરોડ મેળવ્યા હતા તેવી રીતે વર્તણૂક કરેલ હતી, આ કોપી સંજયભાઇને બતાવી પાછી લેવી તેમ ઉલ્લેખ કરવામાં આવતી હતો, જ્યારે ત્રીજી ચીઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું કે, ભામૈયાના અને ગોધરા ખાતે રહેતા મગનભાઇ સુંદરભાઇ વણકરએ મારી પાસે છ મહીના પહેલા એફસીઆઇ ગોડાઉન ભામૈયામાં જમીન સંપાદન કરી હતી, તેની કોપી હોય તો મને આપ જેથી મે તેમને આલઇ ૧૯૯૪ ની સાલની જમીન સંપાદન કચેરીનો પત્ર આપ્યો હતો ત્યારબાદ આ પત્ર ગોધરામાં કાળુસિંહ કોદરસિંહ ઠાકોરની જમીન એફસીઆઇ ગોડાઉનમાં ગઇ છે તેની માહીતી આ જમીન મારી હતી તેવી કોઇને પણ ખ્યાલ ન હતો, જેથી મગનભાઇ સુંદરભાઈએ મારી માહીતી લીક કરીને સામેવાળી વ્યકિતને આપી હતી, જેથી મને બ્લેકમેલ કરવાનુ ચાલુ કર્યું હતું, તેમ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે મગનભાઈ સુંદરભાઈ વણકર નામના ઇસમ સામે દુષ્પ્રેરણા આપી હોવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે ચીઠ્ઠીમાં ઉલ્લેખ કરાયેલ હાર્દિક અને ગુગલા નામના ઇસમોની શું ભૂમિકા છે, તેની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top