Madhya Gujarat

આણંદમાં દબાણ હટાવવાના બદલે ‘નો પાર્કીંગ ઝોન’ બનાવ્યાં

આણંદ : આણંદ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે તંત્ર દ્વારા મુખ્ય બજારના કેટલાક વિસ્તારને ‘નો પાર્કીંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. નગરપાલિકાના ભ્રષ્ટાચારભરી નીતિના કારણે પહેલેથી જ આડેધડ બાંધકામો થયાં છે. તેમાં પણ દુકાનદારોએ ફુટપાથ પર સામાન ખડકી દીધા છે. રોડ પર લારી – પાથરણાવાળા અડીંગો જમાવીને બેઠા છે. આ સ્થિતિમાં સામાન્ય પ્રજાને પસાર થવા સંઘર્ષ કરવો પડે છે. હવે નો પાર્કીંગ ઝોન જાહેર કરાતાં વધુ હાલાકી ભોગવવી પડશે.

આણંદ શહેરમાં ટ્રાફીકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફીક આયોજન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતકી વ્યાસે શહેરના કેટલાક વિસ્તારોને 24મી જૂન સુધી ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ અન્વયે જુના દાદર, ગુજરાતી ચોક આસપાસ, રેલ્વે ગોદીના ગેટની બહાર રોડ ઉપર, નવા બસ સ્ટેન્ડના બન્ને ગેટની બહાર તથા પાલિકા, સરકારી દવાખાનાના ગેટની બહારના 50 મીટર વિસ્તારમાં વાહનો પાર્ક કરવા પર તેમજ અમુલ ડેરી ખાતે આવેલા પાર્લરની આગળ અને શાક માર્કેટના ગેટની બહારનાં 50 મીટર વિસ્તારમાં ફોર વ્હીલ વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સ૨કારી વાહનો, એમ્બ્યુલન્સ અને ફાયરબ્રીગેડના વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈને આધિન શિક્ષાને પાત્ર થશે.

વાહનો ક્યા પાર્ક કરી શકાશે ?
આણંદના વાહન ચાલકોને ગુરૂદ્વારા સર્કલથી ડી-માર્ટ, તુલસી ગરનાળા સુધી ફોર વ્હીલ વાહનો, રેલ્વે સ્ટેશનનાં એકઝીટ ગેટ પાસે નિયત સંખ્યામાં રીક્ષાઓ, નવા બસ સ્ટેશનનાં બન્ને ગેટની સામેના રોડ ઉપર નિયત સંખ્યામાં વાહનો, બેઠક મંદિર વાળા રોડના કોર્નરમાં તેમજ નવા બસ સ્ટેન્ડના બીજા ગેટ સામે બગીચાની દિવાલે નિયત સંખ્યામાં રીક્ષાઓ પાર્ક કરી શકાશે.

પાર્કીંગ વગરના કોમ્પ્લેક્સ ક્યારે તોડાશે ?
આણંદ નગરપાલિકાની વરસોની ભ્રષ્ટાચાર નીતિના કારણે હાલ ટ્રાફિક સમસ્યા વકરી છે. પાલિકાના નાક નીચે જ અનેક કોમ્પ્લેક્સ પાર્કીંગની જગ્યા વગર જ બાંધી દેવામાં આવ્યાં છે. કાગળ પર રિનોવેશનની મંજુરી લઇ મોટા કોમ્પ્લેક્સ બની ગયાં છે. જે હવે તંત્ર અને પ્રજા માટે માથાનો દુઃખાવો બની ગયાં છે.

Most Popular

To Top