Gujarat

ગુજરાતમાં 2022-23 દરમિયાન 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના મંજૂર

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વર્ષ 2022-23 દરમિયાન રૂ. 3,193.53 કરોડના ખર્ચે 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા મંજૂર અથવા સ્વીકૃત કરવામાં આવી છે, અથવા મંજૂરી હેઠળ છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ રૂ.50,013 કરોડના ખર્ચે અને કુલ 2077.46 કિલોમીટરની લંબાઇને આવરી લેતી 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની સાથે નદી ઉપરના પૂલ, નાના અને મોટા પૂલ અને બ્લેક સ્પોટ રેટીફિકેશન પ્રોજેક્ટ જેવા 15 પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા છે, અથવા નિર્માણ હેઠળ છે, કેટલાકના કામ આપી દેવામાં આવ્યાં છે, તેવું રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના લેખિત જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન જે. ગડકરીએ જણાવ્યું હતું.

આગામી ત્રણથી પાંચ વર્ષ માટે પ્રસ્તાવિત યોજનાઓ પરના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ અને જાળવણી એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ડીપીઆર, ટ્રાફિકનું પ્રમાણ, અગ્રતાક્રમ અને સંસાધનોની ઉપલબ્ધતાના આધારે ક્રમિક વર્ષોમાં હાથ ધરવામાં આવનાર યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.

આગામી સમયની મહત્વની યોજનાઓઃ

  • સાબરમતી નદી પર 820 કરોડના ખર્ચે ફોર લેન એલિવેટેડ કોરિડોર, શાસ્ત્રી બ્રિજ સહિત
  • સાબરમતી નદી પર રૂ. 68.42 કરોડના ખર્ચે વધારાનો ફોર લેન બ્રિજ અને તેના એપ્રોચીસ
  • એનએચ – 68ના પાટણ-ગોઝારિયા વિભાગના કુલ 76.94 કિમી લંબાઈના માર્ગનું રૂ. 1181.34 કરોડના ખર્ચે અપગ્રેડેશન
  • એનએચ – 927ડી પર ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનના કુલ 58.115 કિમી લંબાઈના માર્ગને પહોળો કરવા તથા તેનું મજબૂતીકરણ કરવા માટે રૂ. 246.6 કરોડના ખર્ચે થશે.

Most Popular

To Top