Gujarat

‘ભાજપના કાર્યકરોને 14 ટકા અનામત આપો’, ભરતી મેળા વચ્ચે પાટીલને ઉદ્દેશીને લખાયેલો લેટર વાયરલ

સુરત: સુરત: છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં પક્ષ પલ્ટાના કિસ્સા બની રહ્યાં છે. કોંગ્રેસ અને આપ છોડી નેતા, કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યાં છે, તેના લીધે ભાજપનું જ કોંગ્રેસીકરણ થઈ ગયું હોવાની ચર્ચા ઉઠી છે. કોંગ્રેસીઓના ભાજપ પ્રવેશથી ભાજપના કાર્યકરોમાં પણ છુપી નારાજગી ઉભી થઈ છે. શિસ્તને વરેલી પાર્ટી હોવાના લીધે કોઈ જાહેરમાં વિરોધ કરી રહ્યું નથી, પરંતુ ખાનગીમાં વિરોધ શરૂ થયો છે.

ભાજપમાં ચાલી રહેલાં ભરતી મેળા પર કટાક્ષ કરતા મેસેજ અને મીમ્સ છેલ્લાં કેટલાંક દિવસથી સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે, ત્યારે હવે સી.આર. પાટીલને ઉદ્દેશીને લખાયેલો એક લેટર વાયરલ થયો છે. કટાક્ષ કરતા આ પત્રમાં લખનારે ભાજપમાં ભાજપના જૂના કાર્યકરો માટે 14 ટકા અનામત રાખવી જોઈએ એવો કટાક્ષ કરાયો છે. આ પત્રએ ગુજરાત ભાજપમાં ભારે ચર્ચા જગાવી છે.

સોશિયલ મીડિયામાં કટાક્ષ રીતે ફરતો આ પત્ર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ઉદ્દેશી લખવામાં આવ્યો છે. લેટરમાં લખ્યું છે કે, કેટલાક વર્ષોથી ભાજપ પક્ષમાં કોંગ્રેસના નેતાઓને ભેળવીને રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, મંત્રીમંડળ અને બોર્ડ નિગમ સહિત પાર્ટી સંગઠનમાં પણ મહત્વના હોદ્દાઓ આપવામાં આવી રહ્યાં છે તેના લીધે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓને ખુરશીને ગાભા મારવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. ભાજપના જુના કાર્યકર્તાઓને લોકો સોશિયલ મિડિયામાં “ગાભા મારૂ” તરીકે સંબોધી મશ્કરી કરતા જોવા મળે છે ત્યારે ભાજપના કાર્યકર્તાના હક્ક માટે કેટલીક રજુઆત કરવામાં આવી છે.

આ પત્રમાં કટાક્ષ કરતાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત ભાજપના સંગઠનમાં તેમજ ટિકિટ ફાળવણીમાં ભાજપના જ વર્ષો જુના મુળ કાર્યકર્તા માટે 14% અનામતની જોગવાઈ કરવામાં આવે. ટુંકમાં ભાજપના સંગઠનના તમામ સ્તરે 14% જગ્યાઓમાં ફરજીયાત ભાજપના જુના કાર્યકરને જ હોદ્દા આપવાના એવી જ રીતે ટીકીટમાં પણ 14% ટીકીટ મુળ ભાજપીને આપવાનો નિર્ણય કરવા વિનંતી છે. ઉપરાંત ભાજપ દ્વારા સંગઠનમાં તેમજ સરકારમાં અને ટિકિટમાં નીચે મુજબની જોગવાઈ માગણી કરવામાં આવી છે.

વધુ કટાક્ષમાં જણાવ્યું છે કે, ટિકિટ વહેચણીમાં 40 ટકા ક્વોટા કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ માટે, અને જેને લોકો ગાભા મારુ કહે છે તેવા કાર્યકરો માટે 14 ટકા અનામત રાખવી તેવી માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત કૌભાંડમાં સંડોવાયેલા માટે 30 ટકા, નવા જોડાયેલા સેલિબ્રિટી કે જુના ભાજપી અથવા ઘરવાપસી થયેલાઓ 16 ટકા રાખવામા આવે તે જરુરી છે. આવો કટાક્ષનો પત્ર વાઈરલ થતાં રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top