National

અરવિંદ કેજરીવાલ, સંજય સિંહને માનહાનિના કેસમાં સમન્સ, ગુજરાત યુનિવર્સિટીએ નોંધાવી ફરિયાદ

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી (CM) અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ એક પછી એક વધી રહી છે. દિલ્હીમાં લીકર પોલીસી અંગે આજે CBI તેમની પૂછપરછ કરી રહી છે ત્યારે હવે અમદાવાદની (Ahmedabad) એક કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહને સમન્સ જારી કર્યા છે. આ સમન માનહાનિના કેસમાં જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ અને સંજય સિંહે વડાપ્રધાન મોદીની ડિગ્રીના મુદ્દે યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીએ ફરિયાદ નોંધાવી હતી
પોલીસે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલની ફરિયાદ પરથી આઈપીસીની કલમ 500 હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં અને ટ્વિટર હેન્ડલ પર યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આનાથી પ્રતિષ્ઠિત સંસ્થાની છબીને નુકસાન પહોંચ્યું છે. જેના પર અમદાવાદ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશભાઈ ચોવટિયાએ શનિવારે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ જારી કરીને 23મી મેના રોજ હાજર થવા જણાવ્યું હતું.

કેજરીવાલે આ વાતો કહી હતી
ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે ‘ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 70 વર્ષ પહેલાં થઈ હતી અને લોકોમાં તેની પ્રતિષ્ઠા છે. આ આક્ષેપોએ લોકોમાં યુનિવર્સિટીની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે. કેજરીવાલે કહ્યું હતું કે ‘જો ડિગ્રી છે અને તે સાચી છે તો શા માટે આપી શકાતી નથી?’ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ‘તેઓ ડિગ્રી નથી આપી રહ્યા કારણ કે તે નકલી હોઈ શકે છે’. વડાપ્રધાને દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે તો ગુજરાત યુનિવર્સિટીએ એ વાતની ઉજવણી કરવી જોઈએ કે આપણો વિદ્યાર્થી દેશના વડાપ્રધાન બન્યો છે. તે જ સમયે, સંજય સિંહે કહ્યું કે ‘તેઓ પીએમની નકલી ડિગ્રીને વાસ્તવિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે’. કોર્ટની પૂછપરછ દરમિયાન ચાર સાક્ષીઓને પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના વકીલે કહ્યું કે આ નિવેદનોએ એવો સંદેશ આપ્યો છે કે યુનિવર્સિટી નકલી ડિગ્રી બહાર પાડે છે.

Most Popular

To Top