Comments

જાહેર પ્રતિનિધિત્વ જવાબદાર હાથોમાં સોંપો

દેશનો જનસામાન્ય માને છે કે રસ્તા પર ફટાકડા ન ફોડવા જોઈએ. ધાર્મિક, સામાજિક કે રાજકીય વરઘોડામાં આખેઆખા રસ્તા રોકી ન લેવા જોઈએ. મોટા ભાગના સમજુ લોકો એ બાબતે સંમત છે કે જાહેરમાં થૂંકવું ન જોઈએ. ખોરાકી કચરો પ્લાસ્ટિકની થેલીમાં ભરીને રસ્તા પર ન નાખવો જોઈએ. ભણેલા-ગણેલા સમ્પન્ન પરિવારોનાં દીકરા-દીકરીઓ યોગ્ય જીવનસાથી ભલે જાતે પસંદ કરે. ટૂંકમાં આપણને સૌને અનુભવ છે કે જો બે ત્રણ મિત્રે નિરાતે પેટછૂટી વાત કરે તો મોટે ભાગે બધા જ અવાજના પ્રદૂષણ, સામાજિક કટ્ટરતા, બેફામ જાહેર જીવન અને દરેક બાબતમાં કિંમત વસૂલવાની સરકારની નીતિની ટીકા જ કરે છે.

કોઈ પણ વસ્તુના અતિરેકનો વિરોધ જ હોય! એ રોડ શો હોય, હડતાળ હોય, ટેક્ષ હોય, ડી.જે. નો ઘોંઘાટ હોય કે ફટાકડાનું પ્રદૂષણ હોય! પણ તો પછી તે ઓછું કેમ નથી થતું! તે ઘટવાના બદલે વધતું કેમ જાય છે? કારણ કે આપણાં સજ્જનો, બૌધ્ધિકો આળસુ છે. જાહેર જીવનની સામુહિક જવાબદારીથી ભાગે છે અને પરિણામે ખોટા લોકોને આગેવાની મળે છે. આવાં લોકો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરતા થઈ જાય છે. નાનકડી આળસ, ઉપેક્ષા અને જવાબદારીથી ભાગવાની વૃતિ આપણને વ્યાપક નુકસાન પહોંચાડે છે. ન જાણે કેમ? પણ જાહેર અને સામુહિક જવાબદારીવાળી બાબતોમાં મોટા-ભાગના સમજદાર, ભણેલા-ગણેલા વર્ગને રસ નથી પડતો. જો હાજર રહેવાનું થાય તો પણ માત્ર ફોટા પાડવા કે જમવા પૂરતા તેઓ ભાગીદારી નોંધાવે છે. અને બાકીની નિર્ણાયક કામગીરી પેલા નેતાઓના હાથમાં આવી જાય છે.

વાત માત્ર તહેવાર કે ઉજવણીના આયોજન પૂરતી નથી. નેતાગીરી, પ્રતિનિધિત્વ આપણાં રોજિંદા જીવનમાં દરેક પગલે જોડાયેલું છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએે કે પ્રતિનિધિત્વ માત્ર રાજકારણમાં જ હોય છે. ના. રાજકીય પ્રતિનિધિત્વ તો ખૂબ મોટી વાત છે અને પીરામીડ વ્યવસ્થાનો ટોચનો ભાગ છે. પ્રતિનિધિત્વ દરેક જગ્યાએ છે. ભારતના બંધારણે સ્વીકારેલા લોકશાહી માળખામાં નાનામાં નાની સંસ્થામાં લોકભાગીદારી અને લોક પ્રતિનિધિત્વના નિયમો છે અને આપણે માત્ર સંસદ કે વિધાનસભા માટે પ્રતિનિધિ નથી પસંદ કરતાં, આપણે શાળા કોલેજોમાં શિક્ષક અધ્યાપક સંગઠન માટે પણ પ્રતિનિધિ નક્કી કરીએ છીએ. શહેરમાં સોસાયટીમાં સંચાલન માટે પણ પ્રતિનિધિ પસંદ કરવાના હોય છે. ટૂંકમાં આપણે કામ કરીએ તે સંસ્થાથી માંડીને સંસદ સુધી આપણે પ્રતિનિધિ પસંદ કરવાના હોય છે, જે આપણા બદલે નિર્ણય લે છે. તેમણે કરેલા નિર્ણયો પરોક્ષ રીતે આપણે કરેલા નિર્ણયો છે.

હવે આપણો રોજિંદો અનુભવ એવો છે કે આપણે સામુહિક સામાજિક પ્રતિનિધિત્વથી દૂર ભાગીએ છીએ. આપણને જવાબદારીઓમાં રસ નથી. સલાહ આપવામાં રસ છે. પણ નિર્ણય કરવામાં અને નિર્ણયની જવાબદારી ઉપાડવામાં બિલકુલ રસ નથી. આ તો સત્તામાં હવે વધારાની આવક ખૂબ છે માટે માત્ર સત્તાપક્ષ કે મુખ્ય વિપક્ષમાં ચૂંટણી લડવા પૂરતી આગેવાની ઘણાને લેવી છે. બાકી ખરેખર તો આપણને રાજકીય પ્રતિનિધિત્વમાં પણ રસ નથી. માટે જ ચૂંટણી પૂરી થયા પછી તો ચૂંટાયેલા કે નહીં ચૂંટાયેલા કોઈ નેતા ભાગ્યે જ નિસ્બતપૂર્વક પ્રજાના પ્રશ્નોની રજૂઆત સાંભળે છે અને ઉકેલ માટે રજૂઆત કરે છે. અહીં સૌ વ્યક્તિગત કામ કરે છે. સામુહિક જવાબદારીવાળી સમસ્યાના ઉકેલનો વિચાર નથી કરવો! પરિણામ! પરિણામ એ છે કે ખોટાં લોકો આગેવાન બનીને ખોટા નિર્ણયો કરે છે. આપણે નથી ઈચ્છતાં તેવું વર્તન કરે છે અને દુનિયા આને જ આપણું પ્રતિનિધિત્વ કરે છે.

જ્ઞાતિ સમૂહોનું સંચાલન કરવા એક સત્તામંડળ રચાય છે. સ્વાભાવિક રીતે જ તે રોજિંદા વહીવટ કરવાના નથી. એટલે આ રોજિંદો વહીવટ કરવા, નિર્ણય કરવા પ્રતિનિધિ નિમવા પડે. હવે બધા ખસી જાય છે અને અમુક ચોક્કસ રસિક લોકો આ સ્થાને બિરાજી જાય છે. વળી જ્ઞાતિમંડળ આર્થિક સધ્ધર હોય તો તો રૂપિયાનો વહીવટ કરવા પડાપડી થાય છે અને બે-પાંચ રૂપિયા ખર્ચીને વહીવટ કરવાનો હોય તો બધા મોંઢું સંતાડે છે. ટૂંકમાં નોકરિયાત ધંધાર્થી અને વ્યાવસાયિક આનાથી દૂર રહે છે. હવે આ પ્રતિનિધિ જ ધીમેધીમે હોલનાં ભાડાં, રસોઈના કોન્ટ્રાક્ટર, જાત જાતના ઉત્સવો માટે નિર્ણયો કરવા માંડે છે. જેમાં જ્ઞાતિના સંપન્ન વર્ગને તો વાંધો નથી આવતો, પણ ત્રણ જ્ઞાતિના ગરીબ કુટુંબોને તકલીફ પડે છે.

હવે આ જ જ્ઞાતિમંડળોમાં તદ્દન ગેરબંધારણીય, ગેરકાયદેસર નિયમો બનવા શરૂ થયા છે અને સરકાર પર ખોટા કાયદા બનાવવાના દબાણ થયા છે. ગામમાં જ્ઞાતિ-ધર્મ આધારિત બહિષ્કાર, સ્ત્રી-પુરુષ માટે વ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત હક્કને હણનારા કાયદાની માંગ વગેરે શરૂ થયું છે. આ રોકવું પડશે. આ પ્રતિનિધિઓને રોકવા પડશે. સૌ એ તેમનાં આગેવાનોને કહેવું પડશે કે આ તમારો વ્યક્તિગત મત છે. જ્ઞાતિનો નથી. આપણા વરઘોડામાં આપણે જ આગેવાન ઉત્સાહી લોકોને રોકવા પડશે કે ફટાકડા રસ્તા પર નથી ફોડવાના, ડી.જે. મોડી રાત સુધી નથી વગાડવાનું!

જેમ નવા બનેલા બ્રિજ પર ‘‘થૂંકવું’’અયોગ્ય અને શરમજનક છે તેમ બંધારણવિરોધી કાયદાની માંગ અને જાહેર માધ્યમોમાં તેના સમાચારો પણ શરમજનક છે. દુનિયા બધું જુએ છે. અહીં ચૂંટાયેલા નેતાઓ મોડી રાત સુધી ડી.જે. નો ઘોંઘાટ વગાડતા લોકોને સમજાવવાના બદલે. કાયદાનું પાલન કરાવતા પોલીસને ધમકાવે છે. રાજકીય નેતાઓ ધાર્મિક-રાજકીય રેલી- સભાસરઘસમાં ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરાવવા મથે છે. આપણે પ્રજા તરીકે આવાં થોડાંક લોકોના હાથમાં આપણો સમાજ સંસ્કૃતિ પરંપરાની જવાબદારી આપવા જેવી નથી. રાજકીય નેતાઓ રાષ્ટ્રિય એકતા જેવા મહત્ત્વના મુદ્દાને પણ પોતાના સ્વાર્થ અને પોતાની તરફેણમાં મતદાન માટે ઉપયોગમાં લે છે.

આપણે ખરી રાષ્ટ્રિય એકતા બતાવવાની જરૂર છે તે એ કે થોડાંક લોકોને આપણો સમાજ સંસ્કૃતિ બચાવવાનો ઠેકો આપતો નથી. એ લોકો આપણાં પ્રતિનિધિ હોઈ શકે નહીં. શાળા કોલેજોમાં અધ્યાપકો, શિક્ષકો પણ પોતાના મંડળની કામગીરીથી ભાગે છે. પરિણામે ખોટા લોકોના હાથમાં આગેવાની જાય છે. અને ખોટી માંગણીઓ, ખોટી વર્તણૂક દ્વારા સમગ્ર શિક્ષિત સમાજની ખોટી છાપ પડે છે.

તો વાત એક જ છે. સામુહિક જવાબદારી માટે આગળ આવવાની તમે કોઈ પણ પક્ષમાં માનતા હો પણ ખોટું તે ખોટું જ છે! માત્ર આળસને કારણે, જવાબદારીથી ભાગવાની વૃત્તિને કારણે આપણે ખોટા લોકોને ચલાવી લીધા છે અને પરિણામે દેશ દુનિયામાં આપણું આ ખોટું પ્રતિનિધિત્વ દેખાઈ રહ્યું છે. સમય છે જાગવાનો. બોલવાનો. ખોટાને ખોટું કહેવાનો અને ખોટાં લોકોને આગેવાન થતાં રોકવાનો! ‘‘આપણે આ નથી માનતા’’- એવું મક્કમતાપૂર્વક બોલવું પડશે! બાકી મૌનને સંમતિ ગણી લેવામાં આવે છે તે સૌ જાણે છે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top