Gujarat

વિશ્વના સૌથી ઊંચા મંદિરના નિર્માણકાર્યનો ગુજરાતના આ શહેરમાં પ્રારંભ, 100 વિંઘા જમીનમાં મંદિરના નિર્માણ માટે આટલો ખર્ચ કરાશે

અમદાવાદ: વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ‘Statue of Unity’ બાદ હવે ગુજરાતમાં (Gujarat) દુનિયાનું (World) સૌથી ઊંચું મંદિર (Tallest Temple) બનવા જઈ રહ્યું છે. આજથી આ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ રહ્યું છે. આજે દિવસ ભર નવા મંદિરના નિર્માણકાર્યના શુભારંભ પહેલાં પૂજાવિધિ રાખવામાં આવી છે. આ શુભ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) વિશેષ હાજરી આપવાના છે. તે ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, (Ex CM Vijay Rupani) પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (EX Dy. CM Nitin Patel) સહિત ભાજપના નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. પૂજાવિધિના પ્રારંભ પહેલાં 108 કળશની શોભાયાત્રા નીકળી રહી છે. જેમાં ઉમિયા માતાજીના રથ સાથે ગજરાજ, ધ્વજ પતાકા સાથે ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે વિશ્વનું સૌથી ઊંચું મંદિર ગુજરાતના અમદાવાદના (Ahmedabad) જાસપુર (Jaspur) ખાતે નિર્માણ પામવાનું છે. ઉમિયા માતાજીનું (Umiya Mataji) આ મંદિરનો શિલાન્યાસ 29 ફેબ્રુઆરી 2020ના રોજ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિશ્વભરમાં કોરોના મહામારી ફેલાતા નિર્માણ કાર્ય મૌકૂફ રાખવામાં આવ્યું હતું. હવે કોરોનાના (Corona) વાદળો હટી જતા ઉમિયા માતાના વિશ્વના સૌથી ઊંચા મંદિરના નિર્માણ કાર્યનો આજથી આરંભ થશે. આ શુભકાર્યમાં રાજ્ય તથા દેશભરમાંથી પાટીદાર સમાજના લોકો, ઉપરાંત વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો હાજર રહ્યા હતા. 100 વીઘા વિસ્તારમાં તૈયાર થનાર મંદિર પરિસર તૈયાર થશે. મંદિરની કુલ ઊંચાઈ 504 ફૂટ રાખવામાં આવી છે. મંદિરના પરિસરમાં સ્કિલ યુનિવર્સિટી, (Skill university) સ્પોર્ટ સંકુલ, (Sports Complex) NRI ભવન, કુમાર-કન્યા, વર્કિંગ વુમન હોસ્ટેલ, (Working Women Hostel) સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલિમ કેન્દ્ર, સામાજિક સંગઠન ભવન તથા સૌથી મહત્વની એવી હોસ્પિટલનો (Hospital) પણ શમાવેશ થાય છે. ફાઉન્ડેશનનો લક્ષ્યાંક છે વૈશ્વિક કક્ષાનું મંદિર પરિસર બને પ્રવાસ ક્ષેત્રે તેની ગણના થાય.

જાસપુરમાં 100 વિંઘા જમીન પર આ મંદિરનું નિર્માણ થશે. 504 ફૂટના મંદિરના નિર્માણ માટે 1000 કરોડના ખર્ચ કરવાનું નક્કી કરાયું છે. મંદીરની 270 ફૂટ ઊંચી વ્યૂ ગેલેરીમાંથી દૂર સુધીનો નજારો જોઈ શકાશે. મંદિરમાં 52 ફૂટ ઊંચે ઉમિયા માતાજી બિરાજમાન થશે. વિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણ ઇન્ડોર જર્મન ટેક્નોલોજીથી કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક્ટ્સ મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મા ઉમિયા મંદિરના નિર્માણમાં પાંચ વર્ષનો સમય લાગી શકે છે. આ મંદિરની ડિઝાઇન પારંપરિક મંદિરો કરતાં જુદી છે. મંદિરની ડિઝાઇન તૈયાર કરતા પહેલાં જર્મની અને દુબઈથી આવેલી આર્કિટેક્ટની ટીમે તિરુપતિ બાલાજી, અંબાજી, અક્ષરધામ અને શિરડીની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ આ ડિઝાઇન તૈયાર કરાઈ છે.

Most Popular

To Top