National

બિહારમાં મુસ્લિમ મંત્રીના મંદિરમાં પ્રવેશથી ભાજપ નારાજ, નીતિશ કુમાર પર ઠેસ પહોંચાડવાનો આરોપ

પટના: (Patna) બીજેપીએ (BJP) મંગળવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) પર અન્ય ધર્મના મંત્રીને પ્રાચીન મંદિરની અંદર લઈ જઈને જાણીજોઈને હિંદુ (Hindu) સંવેદનાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ મંદિરમાં (Temple) અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. મુખ્ય પ્રધાન નીતિશ કુમારે સોમવારે ગયાના વિષ્ણુપદ મંદિરમાં પ્રાર્થના કરી હતી અને તેમની સાથે તેમના નવા સાથી રાષ્ટ્રીય જનતા દળના કેબિનેટ સાથી મોહમ્મદ ઈઝરાયેલ મન્સૂરી પણ હતા.

  • બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર અન્ય ધર્મના મંત્રીને પ્રાચીન મંદિરની અંદર લઈ જઈ હિંદુ સંવેદનાઓનું અપમાન કરવાનો આરોપ
  • સોમવારે ગયાના વિષ્ણુપદ મંદિરમાં પ્રાર્થના દરમ્યાન નીતિશ કુમાર સાથે રાષ્ટ્રીય જનતા દળના કેબિનેટ સાથી મોહમ્મદ ઈઝરાયેલ મન્સૂરી હતા
  • બિહારના બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલે આ અંગે તીખી પ્રતિક્રિયા આપી

ઇઝરાયેલ મન્સૂરી જેઓ પસમંદા મુસ્લિમ સમાજના છે તેઓ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ ધરાવે છે. મંદિરમાં મુલાકાત બાબતે તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સાથે મંદિરની મુલાકાત લેવાની તક મેળવીને હું ધન્યતા અનુભવું છું. પરંપરા મુજબ બિહારમાં મંત્રીઓને જિલ્લાઓનો હવાલો આપવામાં આવે છે જ્યાં તેઓ સંબંધિત કાર્યક્રમ સંકલન સમિતિના વડા પણ હોય છે. મન્સૂરીને ગયાની જવાબદારી સોંપવામાં આવી છે. તેથી તેઓ સીએમ સાથે હતા.

જો કે બિહારના બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલે આ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે નીતિશ કુમારે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. અમે મુખ્યમંત્રી પાસેથી જાહેર માફીની માંગ કરીએ છીએ. જયસ્વાલે કહ્યું કે શું નીતિશ કુમાર મક્કામાં પ્રવેશવાનું વિચારી શકે છે? જયસ્વાલે પૂછ્યું કે હિંદુઓએ હંમેશા સહિષ્ણુતાના નામે તેમની ધાર્મિક સંવેદનાઓને શા માટે સમાયોજિત કરવી જોઈએ. તેમણે કહ્યું કે જો મુખ્યમંત્રી માફી માંગવાનો ઇનકાર કરશે તો તેમણે રાજ્ય વિધાનસભા સહિત દરેક જગ્યાએ ભાજપના કાર્યકરોના વિરોધનો સામનો કરવો પડશે. આ અંગે જ્યારે જયસ્વાલને પૂછવામાં આવ્યું કે શું મંદિરના પૂજારીઓ તેમની વેદના વ્યક્ત કરવામાં અચકાય છે? તો તેમણે કહ્યું કે જ્યારે મુખ્ય પ્રધાન ઇરાદાપૂર્વક હિંદુ સંવેદનાઓનું અપમાન કરવા માંગે છે ત્યારે સામાન્ય માણસ કંઈ કરી શકે તેમ નથી.

મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખો અને સચિવો શંભુ લાલ વિઠ્ઠલ અને ગજધર લાલ પાઠકે જણાવ્યું હતું કે તેઓ મન્સૂરીના પ્રવેશ વિશે જાણતા ન હતા. પરંતુ તેમણે પ્રવેશ ન કરવો જોઈતો હતો કારણકે પરિસરની બહાર એક નોટિસ બોર્ડ પર સ્પષ્ટ રીતે લખેલું છે કે ફક્ત સનાતન ધર્મમાં માનનારાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવને આ વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, બીજેપીની વાત પર કોઈ ધ્યાન નથી આપતું તે બડકા જુઠ્ઠો પક્ષ છે.

બીજીતરફ JDUના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી અશોક ચૌધરીએ કહ્યું કે તે ભાજપની માનસિકતા છે કે હિંદુઓ અને મુસ્લિમોએ એકબીજાના ધાર્મિક સ્થળોની મુલાકાત ન લેવી જોઈએ. આપણે સારી ભાવનાથી મંદિરો અને દરગાહ પર જઈએ છીએ. વિષ્ણુપદ મંદિરની અંદર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ છે તેવું જણાવવા પર ચૌધરીએ કહ્યું કે મન્સૂરી જીને આની જાણ નહોતી. પરંતુ આ એવી બાબત નથી કે જેના પર આટલો હંગામો થવો જોઈએ.

Most Popular

To Top