Dakshin Gujarat

બારડોલીના વઢવાણીયામાં બાઇકસવાર ત્રણ લોકો આગળ ચાલી રહેલા ટ્રેક્ટર સાથે અથડાયાં, એકનું મોત

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના વઢવાણીયા ગામની દૂધડેરી પાસે ત્રણ સવારી મોટરસાઇકલ (Motorcycle) આગળ ચાલી રહેલા ટ્રેક્ટરના ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતાં મોટરસાઇકલ સવાર ત્રણ પૈકી એકનું મોત થયું હતું. જ્યારે અન્ય બેને ઇજા થતાં સારવાર અર્થે વ્યારાની (Vyara) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

  • બારડોલીના વઢવાણીયામાં બાઇકસવાર ત્રણને ટ્રેક્ટર સાથે અકસ્માત, એકનું મોત
  • મજૂરીકામ માટે સુરત જતી વેળા અકસ્માત નડ્યો, ઘાયલ બેને સારવાર અર્થે વ્યારાની હોસ્પિટલમાં ખસેડાયા

પ્રાપ્ત માહિતી અનુયાસર સોનગઢના બેડી ગામે રહેતા રુવજીભાઈ મંછાભાઈ ચૌધરી (ઉં.વ.53) મજૂરીકામ માટે સુરત જવા માટે ગામના ગુલાબભાઈ બાબુભાઈ ગામીત અને સંદીપભાઈ ભૂલજીભાઈ ગામીત સાથે મોટરસાઇકલ પર ત્રણ સવારી જવા માટે નીકળ્યા હતા. મોટરસાઇકલ ગુલાબભાઈ ચલાવી રહ્યા હતા. તે સમયે બારડોલી તાલુકાના વઢવાણિયા ગામે પહોંચતાં ત્યાં દૂધડેરી પાસે ચાલક ગુલાબભાઈ આગળ ચાલી રહેલા ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતાં તેમણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને તેમની મોટરસાઇકલ ટ્રેક્ટરના ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

આ અકસ્માતમાં ગંભીર ઇજા થતાં રુવજીભાઈ ચૌધરીનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ચાલક ગુલાબભાઈને બેભાન અવસ્થામાં અને સંદીપભાઈ ગામીતને ઇજાગ્રસ્ત હાલતમાં વ્યારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતકના પુત્ર અશ્વિન ચૌધરીની ફરિયાદના આધારે બારડોલી ગ્રામ્ય પોલીસે મોટરસાઇકલ ચાલક ગુલાબ બાબુભાઈ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કડોદ આઉટ પોસ્ટના જમાદાર રાકેશ છગનભાઈ વસાવા કરી રહ્યા છે.

પુત્રવધૂનું મહિના પહેલા જ અવસાન થયું હતું
મૃતક રુવજીભાઈના પુત્ર અશ્વિનભાઈ ચૌધરી તેમના ગામમાં જ સસ્તા અનાજની દુકાનમાં કામ કરી તેમજ ખેતમજૂરી કરે છે. જ્યારે રુવજીભાઈ પણ છૂટક મજૂરી કરતા હતા. એક મહિના પહેલાં જ પુત્ર અશ્વિનભાઈ ચૌધરીની પત્નીનું પણ બીમારીના કારણે અવસાન થયું હતું.

Most Popular

To Top