Top News

ચેચન ફોર્સ કિવની નજીક પહોંચી, યુક્રેન અને રશિયા વચ્ચે ચોથી બેઠક મળશે

કિવ: રશિયા(russia) અને યુક્રેન(ukiran) વચ્ચેના યુદ્ધ(war)ને બે અઠવાડિયાથી વધુ સમય વિતી ગયો છે. પરંતુ હજુ સુધી યુક્રેનમાં સ્થિતિ સામાન્ય થઈ નથી. યુદ્ધના 19માં દિવસે યુક્રેનના 19 શહેરોમાં હવાઈ હુમલા(airstrike)નું સાયરન વાગી રહ્યું છે. આ સિવાય રાજધાની કિવ અને ખાર્કિવ પર રશિયન સેનાનો મિસાઈલ હુમલો ચાલુ છે. આ દરમિયાન ચેચન વિદ્રોહીઓ પણ રાજધાની કિવ નજીક પહોંચી ગયા છે. નોંધનીય છે કે ચેચન્યામાં સત્તા પર રહેલા ચેચન લડવૈયાઓ રશિયાની બાજુમાં આ યુદ્ધમાં ઉતર્યા છે અને યુક્રેનની સેના પર સતત હુમલા કરી રહ્યા છે. કિવની નજીક પહોંચીને, ચેચન લડવૈયાઓએ ઘણા વીડિયો બહાર પાડ્યા છે અને દાવો કર્યો છે કે તેઓએ કિવ નજીક યુક્રેનિયન સૈન્ય મથકો પર હુમલો કર્યો છે.

  • યુદ્ધના 19માં દિવસે યુક્રેનનાં 19 શહેરો પર હવાઈ હુમલાનું એલર્ટ
  • રશિયા-યુક્રેન વચ્ચેની ત્રણ બેઠક નિષ્ફળ રહી, આજે ફરી બેઠક મળશે
  • અત્યારસુધીમાં 25 લાખ લોકોએ યુક્રેન છોડી દીધું

30થી વધુ ક્રૂઝ મિસાઈલોથી રશિયાનો સૈન્ય તાલીમ કેન્દ્ર પર હુમલો
આ પહેલા રવિવારે રશિયાએ યુક્રેનમાં એક સૈન્ય તાલીમ કેન્દ્ર પર હુમલો કર્યો હતો. તેણે 180 વિદેશી હત્યારાઓને માર્યા હોવાનો દાવો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ 30થી વધુ ક્રૂઝ મિસાઈલોથી સૈન્ય તાલીમ કેન્દ્ર પર હુમલો કર્યો હતો. બીજી તરફ યુક્રેનના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે રશિયન હુમલામાં 35 લોકો માર્યા ગયા અને 134 ઘાયલ થયા. તેણે પીડિતોની રાષ્ટ્રીયતાની ઓળખ જાહેર કરી નથી. રશિયાના આ વલણને જોતા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વાત કરી છે. આ લોકો વચ્ચે રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવાની વાત ચાલી રહી છે.

યુક્રેનના ઈરપિનમાં રશિયાના હુમલામાં અમેરિકાના પત્રકારનું મોત
કીવ નજીક ઈરપિનમાં રશિયાની સેનાએ ભારે ગોળીબારી થઈ હતી,જેમાં અમેરિકાના પત્રકાર અને ફિલ્મ નિર્માતાએ જીવ ગુમાવ્યો હતો. જે અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ પ્રતિક્રિયા આપી છે. બાઈડને કહ્યું છે કે રશિયાના હુમલાખોરોએ આજે ઈરપિનમાં અમેરિકાના પત્રકારોના સમૂહ ઉપર ફાયરિંગ કર્યું છે. ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એક પત્રકાર બ્રેન્ટ રેનોડનું મોત થયું છે.51 વર્ષિય રેનોર્ડનને ગોળી લાગી હતી. જો અમેરિકાના એક પણ નાગરિકને અસર થશે તો તેને અમેરિકા ઉપરનો હુમલો માનવામાં આવશે.

યુદ્ધમાં 596 નાગરિકોના મોત થયા
દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, આ યુદ્ધ સામાન્ય લોકો પર પાયમાલી કરી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 596 નાગરિકોના મોત થયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 1,067 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ યુદ્ધની વચ્ચે યુક્રેનનો દાવો છે કે તેણે 13 માર્ચે રશિયન સેનાના 4 વિમાનો અને 3 હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. કહેવાય છે કે આ હુમલો એન્ટી એરક્રાફ્ટ મિસાઈલથી કરવામાં આવ્યો હતો. યુક્રેનનો દાવો છે કે અત્યાર સુધીમાં તેણે લગભગ 13,000 રશિયન સૈનિકોને માર્યા છે.

25 લાખ લોકોનું યુક્રેનમાંથી પલાયન
25 લાખથી વધુ લોકો રશિયન હુમલાઓથી બચવા માટે યુક્રેન છોડી ગયા છે. સંયુક્ત રાષ્ટ્રએ તેને બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી ઝડપથી વિકસતું શરણાર્થી સંકટ ગણાવ્યું છે. આ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ કામ કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ કરવામાં આવ્યું હતું. યુક્રેન પર રશિયન હુમલા પહેલા લગભગ 20 હજાર ભારતીયો ત્યાં રહેતા હતા. તેમાંથી મોટાભાગના મેડિકલ વિદ્યાર્થીઓ હતા.

બંને દેશો વચ્ચે ચોથા રાઉન્ડની બેઠક
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં બન્ને દેશો તરફથી હજુ સુધી યુદ્ધ વિરામના કોઈ જ સંકેત મળ્યા નથી. આ યુદ્ધ વચ્ચે સ્પુતનિક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર યુક્રેન અને રશિયાના અધિકારીઓ આજે ફરી શાંતિ મંત્રણા કરશે. આ વાતચીત વીડિયો કોલ દ્વારા થશે. બંને દેશો વચ્ચે હવે ચોથા રાઉન્ડની બેઠક યોજાવાની છે, પરંતુ આ પહેલા થયેલી ત્રણ બેઠકોમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો.

Most Popular

To Top