અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે નવી શાંતિ વાટાઘાટોની શક્યતા ઊભી થઈ છે. અહેવાલ મુજબ, બંને દેશો આ અઠવાડિયાના અંતમાં ફરી એકવાર સીધી ચર્ચાવિચારણા કરવા વિચારી રહ્યા છે. આ ચર્ચાઓનો મુખ્ય હેતુ છ અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાનો છે. પહેલાં ઇસ્લામાબાદમાં થયેલી લાંબી વાટાઘાટો કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા વગર સમાપ્ત થઈ ગઈ હતી. લગભગ 21 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં બંને પક્ષો વચ્ચે મહત્વના મુદ્દાઓ પર મતભેદો યથાવત રહ્યા. હવે બે અઠવાડિયાના યુદ્ધવિરામની સમયમર્યાદા પૂર્ણ થવાના પહેલા નવી ચર્ચાઓ દ્વારા કોઈ ઉકેલ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
એક અહેવાલ મુજબ, બંને દેશો 21 એપ્રિલ પહેલાં કોઈ કરાર સુધી પહોંચવા માટે નવા રાઉન્ડની વાટાઘાટો માટે તૈયાર થઈ રહ્યા છે. ચર્ચાઓ માટે ઇસ્લામાબાદ અને જીનીવા જેવા બે સ્થળો પર વિચારણા થઈ રહી છે, જોકે હજી સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ સંકેત આપ્યો છે કે જો ઈરાન તેમની શરતો સ્વીકારવા તૈયાર હશે, તો તેઓ વ્યક્તિગત સ્તરે ચર્ચા ફરી શરૂ કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે ઈરાન તરફથી ચર્ચા માટે રસ દેખાઈ રહ્યો છે અને તેઓ ડીલ કરવા ઇચ્છે છે. બીજી તરફ, જેડી વાન્સએ જણાવ્યું કે ઇસ્લામાબાદમાં થયેલી ચર્ચાઓમાં થોડી પ્રગતિ થઈ હતી. તેમનું કહેવું છે કે ઈરાન થોડું આગળ વધ્યું છે, પરંતુ હજુ એમાં થોડી અવઢવ પણ છે. હવે આગળની પ્રક્રિયા માટે ઈરાનના પગલાં મહત્વપૂર્ણ રહેશે. આ ચર્ચાઓમાં ઘણા મહત્વના મુદ્દાઓ સામેલ છે. તેમાં હોર્મુઝની સામુદ્રધુનીનો સમાવેશ થાય છે, જે વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગ છે. હાલમાં ઈરાન દ્વારા આ માર્ગ પર અસર પડી છે, જ્યારે અમેરિકા તેને ફરીથી ખુલ્લો કરવા માંગે છે. ઉપરાંત, ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અને તેના પર લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પણ ચર્ચાનો મુખ્ય ભાગ છે.
ઇસ્લામાબાદમાં થયેલી અગાઉની બેઠકમાં બંને દેશોના પ્રતિનિધિમંડળોએ આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, પરંતુ અંતે કોઈ સમજૂતી થઈ નહોતી. એક પાકિસ્તાની સૂત્ર મુજબ, શરૂઆતમાં આશા હતી કે કોઈ કરાર થશે, પરંતુ અંતમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ચર્ચાઓ નિષ્ફળ રહી. હવે ફરીથી નવી વાટાઘાટો થવાની શક્યતા વચ્ચે વિશ્વભરમાં નજર આ પ્રક્રિયા પર ટકી છે. જો આ ચર્ચાઓ સફળ રહેશે, તો મિડલ ઇસ્ટમાં તણાવ ઓછો થઈ શકે છે અને વૈશ્વિક ઊર્જા બજાર પર પણ સકારાત્મક અસર પડી શકે છે.