Business

મોરેશિયસથી અદાણી ગ્રુપને મળી ક્લીન ચિટ, કહ્યું- કોઈ ગડબડ નથી, તમામ ડિલ નિયમો પ્રમાણે થઈ!

નવી દિલ્હી: અદાણી ગ્રુપ (Adani Group) હાલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે અદાણી ગ્રુપ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. મોરેશિયસના રેગ્યુલેટર (Mauritius Regulator) ફાયનાન્સિયલ સર્વિસીસ કમિશન (FSC) એ અદાણી ગ્રુપને ક્લીનચીટ (clean chit) આપી છે. ફાઈનાન્સિયલ સર્વિસ કમિશને કહ્યું છે કે તેને અદાણી ગ્રુપ સાથે સંબંધિત 38 કંપનીઓ અને 11 ગ્રુપ ફંડ્સમાં કાયદાનું ઉલ્લંઘન મળ્યું નથી. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે (Hindenburg) 24 જાન્યુઆરીના રોજ પ્રકાશિત તેના અહેવાલમાં દાવો કર્યો છે કે અબજોપતિ ગૌતમ અદાણીએ તેની લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં ચેડાં કરવા માટે મોરેશિયસ સ્થિત શેલ કંપનીઓનો ઉપયોગ કર્યો છે.

નિયમોનું ઉલ્લંઘન નથી
મોરેશિયસના માર્કેટ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે તેનો ઈન્ટરનલ રિપોર્ટ હજુ ભારતીય સમકક્ષ સાથે શેર કરવામાં આવ્યો નથી. ફાઇનાન્શિયલ સર્વિસ કમિશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધનેશ્વરનાથ વિકાસ ઠાકુરે જણાવ્યું હતું કે, મોરેશિયમાં અદાણી ગ્રુપ સાથે સંબંધિત તમામ એકમો પાસેથી પ્રાથમિક મૂલ્યાંકનમાં એકત્રિત કરાયેલી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં નિયમો તોડ્યા હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી.

હાલમાં, ભારતીય બજાર નિયમનકાર સેબી અદાણી ગ્રુપ અને બે મોરેશિયસ સ્થિત કંપનીઓ – ગ્રેટ ઇન્ટરનેશનલ ટસ્કર ફંડ અને આયુષ્માન લિમિટેડ વચ્ચેના સંબંધોની તપાસ કરી રહી છે. બંને કંપનીઓએ તાજેતરમાં જ રદ્દ કરાયેલ અદાણી એન્ટરપ્રાઇઝિસના એફપીઓમાં એન્કર રોકાણકારો તરીકે ભાગ લીધો હતો.

અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં મોટો ઘટાડો
શોર્ટ સેલર હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રુપની કંપનીઓની માર્કેટ મૂડીમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. હિંડનબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે અદાણી જૂથની લિસ્ટેડ સાત કંપનીઓનું મૂલ્ય વધારે છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને મની લોન્ડરિંગમાં વ્યસ્ત છે. અદાણી જૂથે કહ્યું હતું કે કાં તો હિંડનબર્ગે યોગ્ય રીતે સંશોધન કર્યું નથી અથવા તો તેમણે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટા તથ્યો રજૂ કર્યા છે. 400 થી વધુ પાનાના પ્રતિક્રિયામાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળના ગ્રુપે તમામ આરોપોને ભ્રામક ગણાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા અને યુકેમાં પણ તપાસ
આ પહેલા ઓસ્ટ્રેલિયાના માર્કેટ રેગ્યુલેટર ઓસ્ટ્રેલિયન સિક્યોરિટીઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશન (ASIC)એ પણ અદાણી ગ્રુપ સામે સવાલો ઉઠાવ્યા હતા. ASICના પ્રવક્તાએ રોઇટર્સને જણાવ્યું: ‘અમે અદાણી ગ્રુપ સામેના આરોપોની સમીક્ષા કરીશું અને નક્કી કરીશું કે વધુ પૂછપરછની જરૂર છે કે નહીં.’ બ્રિટનના નાણાકીય નિયમનકાર, ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) અદાણી ગ્રૂપ અને લંડન સ્થિત કંપની ઇલારા કેપિટલ વચ્ચેના સંબંધોની પણ તપાસ કરી રહી છે.

Most Popular

To Top