Comments

અદાણી પ્રકરણ: વિપક્ષોએ શું ધંધા કર્યા હતા?

અદાણી ગ્રુપના શેરમાં બોલેલા કડાકાથી ગૌતમ અદાણીની સંપત્તિનું ઘણું ધોવાણ થયું. વૈશ્વિક અબજો પતિની યાદીમાં તે ત્રીજા સ્થાનેથી ગબડી તા. ત્રીજી ફેબ્રુઆરીએ સત્તરના સ્થાને પહોંચી ગયા. અદાણી એન્ટરપ્રાઇઝીસ રૂા. 200000 કરોડ ભેગા કરવા પબ્લિક ઓફરિંગનું સબસ્ક્રીનશન ખોલ્યું ત્યાં અમેરિકાની હિંડનબર્ગ રીસર્ચે અદાણી ગ્રુપ પર શેરબજાર સાથે ચેડા કરી હિસાબમાં કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ કર્યા. અદાણી ગ્રુપે કહ્યું કે આ રીપોર્ટ દ્વેષપૂર્ણ રીતે તોફાની છે. અમે હિંડનબર્ગ કંપની સામે દાવો કરવાના છે. પણ ત્યાં સુધીમાં તો તમામના લિસ્ટેડ ગ્રુપ કંપનીઓના શેર દબાણ હેઠળ આવી ગયા.

છેલ્લી સાત ટ્રેડિંગ સેશનમાં તેમણે બજારની મૂડીમાંથી 47.4 ટકા એટલે કે રૂા.9.1 લાખ કરોડ ગુમાવ્યા. ગ્રુપની બજાર મૂડી તા. 24મી જાન્યુઆરીએ રૂા. 19.18 લાખ કરોડની હતી તે તા. ત્રીજી ફેબ્રુઆરીએ રૂા. 10.07 લાખ કરોડ રહી હતી.
આ બધાને પગલે વિરોધ પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નવેસરથી ઝુંબેશ શરૂ કરી કહ્યું કે અદાણી ગ્રુપ સામેની સમસ્યા બાબતમાં ખુલાસો કરો અને તેને કારણે સરકારને મોટી ખોટ ગઇ છે કે નહીં તે કહો.

આ પાછળ સરકારે તાબડતોબ પરિસ્થિતિનો કયાસ કાઢયો અને એવો નિષ્કર્ષ આવ્યો કે આ ઘટનાની રાજકીય અસર વિશે મોદીના વિરોધીઓએ વધુ પડતો અંદાજ બાંધ્યો છે. વળી અદાણી જૂથના શેરોનું ધોવાણ મૂલ્યાંકન સંબંધી છે, નાદારી નહીં, એલ.આઇ.સી. અને સ્ટેટ બેંક જેવી સરકાર સંચાલિત સંસ્થાઓએ કરેલા રોકાણ માટે અમને કોઇ જોખમ દેખાતું નથી.
ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે દેશના બૃહદ અર્થતંત્રના પાયા અને દેશની છબીને કોઇ અસર નથી થઇ.
બજાર તરીકે ભારતની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે યથાવત છે એ સાબિત કરવા તેમણે ભારતમાં આવતા વિદેશી હૂંડિયામણના પ્રવાહનો દાખલો આપ્યો હતો. રેગ્યુલેટરો અદાણીના કડાકાને સ્વતંત્રપણે પ્રયાસ કરી રહ્યા છે અને ભારતીય રીઝર્વ બેંકે નિવેદન આપ્યું જ છે.

તે પહેલા એલ.આઇ.સી.એ નિવેદન આપ્યું હતું. રેગ્યુલેટરો સરકારી નયંત્રણથી દૂર છે અને તેઓ જે યોગ્ય હોય તે કરવાને સ્વતંત્ર છે. અદાણી ગ્રુપની બજાર મૂડી સંપૂર્ણ સાફ થઇ જાયતો ય એલ.આઇ.સી.ને નાણાની કટોકટીનો સામનો નહીં કરવો પડે. કુલ બજાર મૂડી રોકાણની એક ટકો રકમ અદાણી ગ્રુપમાં અમે રોકી છે. અમે અદાણી ગ્રુપની કંપનીઓમાં રૂા. 30127 કરોડની રકમ રોકી છે જેનું બજાર મૂલ્ય તા. 1લી ફેબ્રુઆરીમાં રૂા. 56142 કરોડ હતું.

ભારતીય સ્ટેટ બેંકે કહ્યું હતું કે અમે અદાણી ગ્રુપની કંપનીઓને રૂા. 21000 કરોડની લોન આપી છે પણ તેણે તે લોન પાછી ભરપાઇ કરવામાં કોઇ કસૂર નથી કર્યો. અદાણી ગ્રુપની જે અસ્કયામતો બાંહેધરી રૂપે બેંકને મળી છે તેના આધારે બેંકનું રોકાણ સલામત છે. પંજાબ નેશનલ બેંકે જણાવ્યું હતું કે અમે અદાણી જૂથને રૂા. 7000 કરોડની લોન આપી છે.
આમ એક અંદાજ એવો છે કે ભારતીય અને આંતરરાષ્ટ્રીય બેંકોની તમામ લોન ધ્યાન પર લેવામાં આવે તો અદાણી જૂથની માલિકીની અંગત અસ્કયામતોના કુલ મૂલ્ય કરતા વધુ નહીં હોય કારણ કે અદાણી ગ્રુપનો નાણા પ્રવાહ પુરતો છે.

તેનું કારણ છે: અદાણી ગ્રુપ ગંગાધરમ્‌, મુન્દ્રા અને હજીરા બંદરની સમાંતર માલિકી ધરાવે છે. વિઝિન્જમ, કેરળમાં અદાણી ગ્રુપ ઊંડું બંદર બાંધે છે જે તૈયાર થશે ત્યારે સીંગાપોર અને કોલંબો જેવું બની જશે. અદાણી ગ્રુપના થર્મલ પાવર એકમ 13500 મેગાવોટ વીજળી પેદા કરે છે અને તેમાંની મોટા ભાગની વીજળી સ્વચ્છ ઊર્જાની શ્રેણીમાં આવે છે. આ ગ્રુપ પાસે 650 મેગાવોટ સૌર વીજળી પેદા કરવાની ક્ષમતા છે. તેની 18000 સર્કિટ કિલો મીટર ટ્રાન્સમિશન લાઇન અને 30000 એનવીએ ટ્રાન્સફર ક્ષમતા આખા એશિયામાં સૌથી વધુ છે.

આ ઉપરાંત મુંબઇ એરપોર્ટમાં ભાગીદારી ઉપરાંત અદાણી ગ્રુપ છ વિમાની મથકોની માલિકી ધરાવે છે. નવી મુંબઇનું વિમાની મથક 2025માં ચાલુ થઇ જશે અને તેનું સંચાલન અદાણી ગ્રુપ કરશે. એ.સી.સી. અને અંબુજા આ બે ટોચની સીમેન્ટ કંપની તેના નિયંત્રણમાં છે. અદાણી ગ્રુપ ઓસ્ટ્રેલિયામાં એ કોલસાની ખાણની માલિક છે તેનો માલ માત્ર ભારત જ નહીં પણ આફ્રિકાના અને દષિણ અમેરિકાના ટોચના ઉચ્ચ કક્ષાના પાવર પ્લાન્ટમાં જાય છે. અદાણી ગ્રુપ કોલસાની હેરફેર માટે જહાજોની પણ માલિકી ધરાવે છે. એન.ટી.પી.સી.ના બાંધકામ હેઠળના સૌર ઊર્જા અને પવનચક્કી પ્લાંટમાં પણ તેની ભાગીદારી છે.

આ બધા કારણસર ભારતીય રીઝર્વ બેંકે અદાણી ગ્રુપના ચિંતાકારક હેવાલો સામે ધરપત આપી હતી. અલબત્ત વિરોધ પક્ષોને લાગે છે કે અદાણી જૂથ સાથે વડાપ્રધાન મોદી સારો ધરોબો છે તો આપણા માટે તેમને ભીંસમાં લેવાની સારી તક છે. હકીકતમાં રાજીવ ગાંધી વડાપ્રધાનપદે હતા અને ગુજરાતના મુખ્ય પ્રધાનપદે ચીમનભાઇ પટેલ હતા ત્યારે અદાણી ગ્રુપનો ઉદય થયો હતો. પી.વી. નરસિંહ રાવ વડાપ્રધાન હતા અને આર્થિક ઉદારીકરણ થયું ત્યારે અદાણી ગ્રુપનો પ્રચંડ વિકાસ થયો. ઉધ્ધવ ઠાકરે, અશોક ગેહલોત અને કેરળના માર્કસવાદી નેતા પિતાદાયી વિજયનના શાસનમાં પણ આ ગ્રુપનો વિકાસ થયો. હા, મોદીના રાજમાં અદાણી ગ્રુપે ખુલતી બોલી લગાવી બંદર, વીજળી ગૃહો વગેરે પ્રોજેકટ હસ્તગત કર્યા.

કોંગ્રેસ સંયુકત સંસદીય તપાસ સમિતિની માંગ કરે છે તો કોંગ્રેસના શાસન હેઠળ કેમ રાજય સરકારોએ આગ્રહ કરી સામે ચાલીને પોતાને ત્યાં રોકાણ કરાવ્યું? હિંડનબર્ગના રીપોર્ટ પહેલામાં પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મોદી પર આક્ષેપ કરી ‘અદાણી-અંબાણી’ના નામની ધૂન ગાતા હતા. અદાણી ગ્રુપની વિકાસ ગાથા પરપોટો નથી અને તરતી રહે તો? બજારના ઘણા નિરીક્ષકો કહે છે કે અદાણી જૂથ કદી પાછુ ત્રાટકશે અને તે ભારતના હિતમાં હશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top