National

જરૂરી કામ આટોપી લેજો…SBI કર્મચારીઓના બે દિવસ આંદોલન અને રજાના લીધે બેંક પાંચ દિવસ રહેશે બંધ

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. SBIના કર્મચારીઓએ 25 મેથી શરૂ થતી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળની ચેતવણી આપી છે. જો આ હડતાળ યોજાશે તો સતત પાંચ દિવસ સુધી બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા ઉભી થઈ છે. તેથી ગ્રાહકોને તાત્કાલિક પોતાના જરૂરી બેંકિંગ કામો અગાઉથી જ પૂર્ણ કરી લેવા સલાહ આપવામાં આવી રહી છે. SBI કર્મચારીઓ આ હડતાળ ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક એમ્પ્લોયીઝ ફેડરેશન (AISBEF)ના નેતૃત્વ હેઠળ કરશે. કર્મચારી સંગઠનનું કહેવું છે કે લાંબા સમયથી તેમની વિવિધ માંગણીઓ પર બેંક મેનેજમેન્ટ તરફથી યોગ્ય ધ્યાન આપવામાં આવી રહ્યું નથી, જેના કારણે તેઓએ હવે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે.

ખાસ વાત એ છે કે 25 અને 26 મેના રોજ હડતાળ જાહેર કરવામાં આવી છે. તેના પહેલા ચોથો શનિવાર અને ત્યારબાદ રવિવાર આવતો હોવાથી બેંકિંગ કામગીરી પહેલાથી જ મર્યાદિત રહેશે. ત્યારબાદ 27 મેના રોજ કેટલાક રાજ્યોમાં ઈદ ઉલ-અદહા (બકરી ઇદ)ની રજા હોવાથી અનેક શાખાઓ બંધ રહી શકે છે. આ રીતે સતત પાંચ દિવસ સુધી ગ્રાહકોને શાખા સંબંધિત સેવાઓમાં મુશ્કેલી પડી શકે છે. કર્મચારીઓએ અનેક મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી છે. તેમાં સંદેશવાહકો અને સશસ્ત્ર રક્ષકોની ભરતી કરવાની માંગ મુખ્ય છે. સંગઠનનું કહેવું છે કે બેંકમાં જરૂરી સ્ટાફની અછત છે, જેના કારણે હાલના કર્મચારીઓ પર કામનો ભારે બોજ વધી રહ્યો છે. ઉપરાંત NPS (નેશનલ પેન્શન સિસ્ટમ) હેઠળ આવતા કર્મચારીઓને પોતાના પેન્શન ફંડ મેનેજર બદલવાની છૂટ આપવાની માંગ પણ કરવામાં આવી છે.

કર્મચારીઓએ બેંકમાં વધતા આઉટસોર્સિંગનો પણ કડક વિરોધ કર્યો છે. સંગઠનનું માનવું છે કે કાયમી નોકરીઓને બદલે આઉટસોર્સિંગ વધારવાથી ગ્રાહકોના ડેટા સુરક્ષા પર જોખમ ઊભું થઈ શકે છે. ડેટા ચોરી, છેતરપિંડી અને ગેરવપરાશની શક્યતાઓ વધી શકે છે, જેનાથી બેંકની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત SBIના બોર્ડમાં કર્મચારી ડિરેક્ટરની નિમણૂક કરવાની માંગ પણ કરવામાં આવી છે. કર્મચારીઓનું કહેવું છે કે બેંકના મહત્વપૂર્ણ નિર્ણયો દરમિયાન કર્મચારીઓનો અવાજ સાંભળવામાં આવવો જોઈએ. આ મુદ્દે મુખ્ય શ્રમ કમિશનરની કચેરીએ 23 મેના રોજ કર્મચારી સંગઠન અને બેંક મેનેજમેન્ટ વચ્ચે સમાધાન બેઠક બોલાવી છે. આ બેઠકમાં બંને પક્ષો વચ્ચે સહમતિ બનશે તો હડતાળ ટળી પણ શકે છે. જોકે હાલની સ્થિતિ જોતા કર્મચારી સંગઠન પોતાના નિર્ણય પર અડગ દેખાઈ રહ્યું છે.

આ મહિનાની શરૂઆતમાં કર્મચારી સંગઠને SBI ચેરમેનને પત્ર લખીને કુલ 16 માંગણીઓ રજૂ કરી હતી. સંગઠનનો આરોપ છે કે કર્મચારીઓના અધિકારોની સતત અવગણના થઈ રહી છે. વર્ષોથી મળેલા સુરક્ષા અધિકારોનું યોગ્ય પાલન થતું નથી અને કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માટે ગંભીરતા દાખવવામાં આવી રહી નથી. જો હડતાળ અમલમાં આવશે તો ગ્રાહકોને કેશ જમા-ઉપાડ, ચેક ક્લિયરિંગ, પાસબુક અપડેટ, લોન સંબંધિત કામગીરી અને શાખા આધારિત અન્ય સેવાઓમાં મુશ્કેલી પડી શકે છે. જોકે ATM, ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેવાની શક્યતા છે, પરંતુ શાખા સ્તરની કામગીરી પ્રભાવિત થઈ શકે છે. બેંકિંગ નિષ્ણાતોનું માનવું છે કે લાંબી રજાઓ અને હડતાળના કારણે ATMમાં રોકડની અછત પણ સર્જાઈ શકે છે. તેથી ગ્રાહકોને સમયસર રોકડ ઉપાડી લેવા અને જરૂરી ટ્રાન્ઝેક્શન વહેલી તકે પૂર્ણ કરવા સૂચન કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top