ઐતિહાસિક સોના-ચાંદીનો રથ સ્ટોર રૂમમાંથી બહાર કઢાયો; કીર્તિ મંદિર ખાતે વિશેષ પૂજન અને મહાઆરતી યોજાશે

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આગામી દેવપોઢી એકાદશીના પાવન પર્વે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ૨૧૭મો ઐતિહાસિક વરઘોડો અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક કાઢવામાં આવશે. વર્ષો જૂની પરંપરા મુજબ આ પવિત્ર પ્રસંગે ભગવાન વિઠ્ઠલનાથજી સોના-ચાંદીથી સુશોભિત ભવ્ય રથમાં બિરાજમાન થઈને વડોદરાના રાજમાર્ગો પર નગરચર્યા કરી ભક્તોને દર્શન આપશે. વરઘોડા પૂર્વે ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા વિધિવત પૂજન-અર્ચન કરી પ્રભુના રથને પ્રસ્થાન કરાવવામાં આવશે.
આ ભવ્ય નગરયાત્રાની પૂર્વતૈયારીઓના ભાગરૂપે સોના અને ચાંદીથી મઢેલા ઐતિહાસિક રથને મંદિરના સ્ટોર રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. આ રથ ખાસ ઇંગ્લેન્ડમાં તૈયાર કરાયેલો હોવાનું માનવામાં આવે છે. દાયકાઓ જૂનો હોવા છતાં યોગ્ય જાળવણી અને સંભાળના કારણે આજે પણ આ રથ અત્યંત સુરક્ષિત અને મજબૂત સ્થિતિમાં છે, જેને જોઈને શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે.
પરંપરાગત માર્ગો પરથી પસાર થઈને ભગવાનનો આ વરઘોડો બપોરે ૧:૦૦ વાગ્યાના સુમારે કીર્તિ મંદિર સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે. ત્યાં ભગવાનના વિશેષ પૂજન, અર્ચન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે ૫:૦૦ વાગ્યે વરઘોડો પોતાના નિજ ધામ વિઠ્ઠલ મંદિર ખાતે પરત ફરશે. સમગ્ર યાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો ભક્તિમય માહોલથી ગૂંજી ઉઠશે.
દેવસ્થાન ટ્રસ્ટ અને વિઠ્ઠલ મંદિર પરિવાર દ્વારા શહેરના તમામ ધર્મપ્રેમી નાગરિકો તથા શ્રદ્ધાળુઓને આ ૨૧૭મા ઐતિહાસિક અને ધાર્મિક વરઘોડામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન તથા કૃપાપ્રસાદનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.