Vadodara

હરીનગર બ્રિજ નીચે ડ્રેનેજ લાઇનની ધીમી કામગીરીથી વેપારીઓ કંગાળ: ધંધામાં ૭૦%નો કડાકો

​છેલ્લા ૭ મહિનાથી એક તરફનો માર્ગ બંધ રહેતાં દર મહિને રૂ. ૩૦ હજારનું નુકસાન; વેપારીઓએ મિલકત વેરામાં રાહત આપવા માંગ કરી

વડોદરા: ​સંસ્કારી નગરી વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા હરીનગર બ્રિજ નીચે છેલ્લા ૬ થી ૭ મહિનાથી ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરી સ્થાનિક વેપારીઓ માટે આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થઈ રહી છે. તંત્રની ધીમી અને અણઘડ કામગીરીના કારણે એક તરફનો મુખ્ય માર્ગ લાંબા સમયથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના સીધા પરિણામે આ વિસ્તારના વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે અને તેમનો રોજીંદો વેપાર-ધંધો ચોપટ થઈ ગયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
​સ્થાનિક વેપારીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રસ્તો બંધ હોવાના કારણે ગ્રાહકોની અવરજવર નહિવત થઈ ગઈ છે. જેના લીધે તેમના ધંધામાં આશરે ૭૦ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે છેલ્લા છ મહિનાથી વેપારીઓને પ્રતિ માસ રૂ. ૩૦ હજારથી પણ વધુનું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ધંધો ઠપ્પ થઈ જતાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, એટલું જ નહીં પરંતુ ધંધા-વ્યવસાય માટે બેંકોમાંથી લીધેલી લોનના માસિક હપ્તા ભરવામાં પણ વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
​વેપારીઓનું સ્પષ્ટ માનવું છે કે શહેરના વિકાસ માટે ગટર અને ડ્રેનેજ જેવા કામો ખૂબ જ જરૂરી છે અને તેઓ તેનો વિરોધ કરતા નથી. પરંતુ આવા કાર્યો યોગ્ય આયોજન સાથે અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થવા જોઈએ, જેથી સ્થાનિક નાગરિકો અને વેપારીઓની રોજીરોટી પર તેની ન્યૂનતમ અસર પડે. તંત્રની બેદરકારીના કારણે મહિનાઓ સુધી ચાલી રહેલા આ કામથી કંટાળીને હવે વેપારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર સમક્ષ આ કામગીરી સત્વરે પૂરી કરવાની કડક માંગ કરી છે. આ સાથે જ, લાંબા સમયથી સહન કરવા પડેલા આર્થિક ફટકાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા મિલકત વેરા સહિતના અન્ય ટેક્સમાં યોગ્ય રાહત આપવામાં આવે તેવી પણ જોરદાર માંગણી ઉઠાવવામાં આવી છે.

Most Popular

To Top