સુરત: સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારો તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે આવતીકાલે તમામ શાળાઓ અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરતના પરિપત્ર અનુસાર આવતીકાલે – તા. ૨૩ જુલાઈ ૨૦૨૬, ગુરુવારના રોજ મહાનગરપાલિકા/નગર પાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી તમામ શાળાઓ તેમજ આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે સુરતની હાલત ફરીથી બેહાલ થઈ ગઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે તકેદારીના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દીધી છે. ખુદ મનપા કમિશનર એમ. નાગરાજન રસ્તા પર ઉતરીને પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. જ્યાં પણ પાણી ભરાયાની ફરિયાદ મળે છે, ત્યાં તેઓ જાતે પહોંચીને પાણીના નિકાલ માટે કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે.