Business

અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ દિવસે ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, સોનામાં પણ સતત વધારો

અક્ષય તૃતીયા નજીક છે ત્યારે આ શુભ તહેવાર પહેલા દેશભરમાં સોનાં અને ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં તેજીનો ટ્રેન્ડ સતત ચાલુ છે, જેના કારણે ખરીદદારો અને રોકાણકારોમાં ઉત્સાહ સાથે થોડી ચિંતા પણ જોવા મળે છે. 16 એપ્રિલની સવારે, દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 1,55,510 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો, જ્યારે મુંબઈમાં તે 1,55,360 સુધી પહોંચ્યો. એક દિવસ પહેલા, દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ લગભગ 3,000 જેટલો વધીને 1,58,000 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,42,460 અને 24 કેરેટ સોનાનો ભાવ 1,55,410 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

બીજી તરફ, ચાંદીના ભાવમાં વધુ મોટો ઉછાળો જોવા મળ્યો છે. 16 એપ્રિલની સવારે ચાંદીનો ભાવ લગભગ 2,70,100 પ્રતિ કિલોગ્રામ થયો હતો. અગાઉના દિવસે દિલ્હીમાં ચાંદીના ભાવમાં 11,800 (લગભગ 4.81%) નો વધારો થઈને 2,57,000 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો હતો. આ રીતે, ચાંદીમાં છેલ્લા થોડા સમયથી સતત તેજી જોવા મળી રહી છે.

આ ભાવ વધારાના પાછળ આંતરરાષ્ટ્રીય બજારના સંકેતો પણ મહત્વના છે. વૈશ્વિક સ્તરે ચાંદીનો ભાવ લગભગ 78.61 ડોલર પ્રતિ ઔંસ સુધી ટ્રેડ થઈ રહ્યો છે. સાથે સાથે Federal Reserveના ગવર્નર Christopher Wallerએ વ્યાજદરમાં ઘટાડા માટે સંકેત આપ્યો છે, જેનાથી કિંમતી ધાતુઓમાં રોકાણ વધે છે. તહેવાર પહેલા ઝવેરીઓ અને સ્ટોકિસ્ટો તરફથી વધતી માંગ પણ ભાવ વધારાનું મુખ્ય કારણ બની છે. આવનારા દિવસોમાં માંગ અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા સોનાં-ચાંદીના ભાવમાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

Most Popular

To Top