અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ છતાં મિડલ ઇસ્ટમાં વધતા તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. આજે ગુરુવારે, 9 એપ્રિલે, બજાર ખુલતાની સાથે જ BSE Sensex અને NSE Nifty બંનેમાં ઘટાડો નોંધાયો હતો. બજારમાં આ ઘટાડાનો મુખ્ય કારણ યુદ્ધવિરામ પર વધતી અનિશ્ચિતતા છે. ગઈકાલે સાંજે આવેલા અહેવાલોમાં જણાવાયું હતું કે ઇઝરાયલએ લેબનોનમાં હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓને યુદ્ધવિરામના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહ્યા છે. તેના જવાબમાં ઈરાને પણ કડક ચેતવણી આપી છે, જેના કારણે પરિસ્થિતિ ફરી તંગ બની ગઈ છે. આ તણાવના કારણે રોકાણકારોમાં ભય અને અનિશ્ચિતતા વધી ગઈ છે. જેના પરિણામે ઘણા રોકાણકારોએ નફો બુક કરવા માટે વેચવાલી શરૂ કરી દીધી છે. બુધવારે જે બજારમાં ભારે તેજી જોવા મળી હતી, તે ખુશી હવે થોડા જ સમયમાં ચિંતામાં ફેરવાઈ ગઈ છે.
ગુરુવારે સવારે લગભગ 9:15 વાગ્યે, સેન્સેક્સ 541 પોઇન્ટ (0.70%) ઘટીને 77,021 પર ખુલ્યો હતો. સાથે જ નિફ્ટી 128 પોઇન્ટ (0.62%) ઘટીને 23,848 પર ટ્રેડ થતો જોવા મળ્યો. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે રોકાણકારો હાલમાં સાવચેત બની ગયા છે અને જોખમ લેવા માટે તૈયાર નથી. જોકે, માત્ર એક દિવસ પહેલા જ બજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. બુધવારે, યુદ્ધવિરામના સમાચાર આવ્યા બાદ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો હતો. તેના પરિણામે સેન્સેક્સ 2,946 પોઇન્ટ અથવા લગભગ 4% વધીને 77,562 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 24,000ના આંકડા નજીક પહોંચી ગયો હતો. તે સમયે એવું લાગી રહ્યું હતું કે પરિસ્થિતિ સુધરશે અને યુદ્ધ ટળી જશે. પરંતુ લેબનોનમાં ફરી હુમલાના અહેવાલો આવ્યા બાદ આ આશા તૂટી ગઈ છે. હવે બજારમાં ફરીથી અનિશ્ચિતતા અને ભયનું વાતાવરણ છે. રોકાણકારો આગામી દિવસોમાં મિડલ ઇસ્ટની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, કારણ કે તેનો સીધો અસર વૈશ્વિક અને ભારતીય બજારો પર પડી શકે છે.