હોટલમાં દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી
વડોદરા તારીખ 7
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી જનમહેલ નજીકની સાઈ કૃપા હોટલમાં પંચમહાલ જિલ્લાના યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સયાજી ગંજ પોલીસે લાશ ની નીચે ઉતારી પીએમ કરાવ્યા બાદ તેના વાલી વારસોનો સંપર્ક કરી કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

પંચમહાલ જિલ્લાના વિજાપુર ખાતે રહેતા લુહાર જયેન્દ્રકુમાર ગત સોમવારે સવારે આશરે 8 વાગ્યે હોટલમાં રૂમ બુક કરીને રોકાયો હતો અને તે જ દિવસે ચેકઆઉટ કરવાનું હતું. પરંતુ સમય પસાર થયા છતાં તે રૂમમાંથી બહાર ન નીકળતા હોટલ સ્ટાફને શંકા ગઈ હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો ત્યારે યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ તરત જ સ્થળ પર પહોંચી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૃતક પાસે મળી આવેલી બેગમાંથી એક યુવતીનું વોટર આઈડી કાર્ડ મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં, યુવક દ્વારા યુવતીના દુપટ્ટા વડે આપઘાત કરાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ બનાવ પાછળનું સાચું કારણ શું છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પ્રેમ સંબંધ, વ્યક્તિગત તણાવ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે.સયાજીગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.