ખજોદની ડમ્પિંગ સાઈટ પર કચરાનો વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ કરી નિકાલ કરવાના બદલે સળગાવી વાયુ પ્રદૂષણ ફેલાવાતો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયો છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આ અંગેનો વીડિયો બનાવી શાસકો પર ચાબખાં ફટકાર્યા છે. 200 કરોડના કચરા કૌભાંડને છુપાવવા શાસકો વાયુ પ્રદૂષણનું પાપ કરી રહ્યાં હોવાનો આરોપ વિપક્ષ નેતાએ મુક્યો છે.
- 200 કરોડના કચરા કૌભાંડનું પાપ છુપાવવા કચરો સળગાવી રહ્યાં છેઃ વિપક્ષનો આક્ષેપ
- વાયુ પ્રદૂષણ ફેલાવી શહેરની જનતાના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું કરાઈ રહ્યું છે
વિપક્ષ નેતા પાયલ સાકરિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે ખજોદની ડમ્પિંગ સાઈટ પર કચરાના પહાડો છે. તેને સળગાવવામાં આવી રહ્યાં છે. આ રીતે સુરત શહેરમાં વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે.
પાયલ સાકરિયા કહે છે કે, કોન્ટ્રાક્ટરો ખુલ્લેઆમ કચરો સળગાવી રહ્યાં છે અને તેઓને રોકનારું કોઈ નથી. ડમ્પિંગ સાઈટ પર કચરાનો વૈજ્ઞાનિક પ્રોસેસથી નિકાલ થઈ રહ્યો નથી. વાયુ પ્રદૂષણ ફેલાવી શહેરની જનતાના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું કરાઈ રહ્યું છે.
ખજોદ, બુડિયા, ગભેણી, દીપલી, જીયાવ, ભીમરાડ ગામના 5થી 10 કિ.મી.ના ત્રિજયામાં રહેતા લોકોને શ્વાસની તકલીફ, આંખમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે. ભટાર, સિટીલાઈટ, અલથાણ સુધીના વિસ્તારોમાં ધૂમાડો ફેલાઈ રહ્યો છે, જે સ્થાનિક રહીશો માટે જોખમી છે.
વિપક્ષના શાસકો પર આક્ષેપ
- 260 કરોડનો કચરો કૌભાંડ – “સ્વચ્છ સુરત, સુંદર સુરત” પર કલંક
- “સ્વચ્છ સુરત, સુંદર સુરત”ના નામે 260 કરોડ રૂપિયાનો કચરો કૌભાંડ ચાલે છે!
- કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે ખુલ્લેઆમ કચરો સળગાવીને રફે-દફે કરવામાં આવે છે.
- આ ઝેરી હવા કોના બાળકો શ્વાસમાં લે છે?, પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લો ખિલવાડ
- પર્યાવરણ સાથે ગુનો અને પાછળથી મોટા નેતા–મોટા અધિકારીઓનો કૌભાંડ
- પ્રજા બીમાર પડે છે અને કેટલાક લોકો કમિશનથી પોતાનું ઘર ભરે છે.
વિપક્ષના સવાલ
- 260 કરોડ રૂપિયા ક્યાં ગયા?
- કચરો સળગાવવાનો આદેશ કોનો?
- જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?
- સ્વચ્છ સુરત ફક્ત બેનર માટે નથી!
વિપક્ષની માંગ
- કચરા કૌભાંડમાં સ્વતંત્ર તપાસ
- જવાબદાર અધિકારીઓ અને નેતાઓ પર કાર્યવાહી
- કચરાના વૈજ્ઞાનિક નિસ્તારની જાહેર માહિતી