Gujarat

દાહોદ-બનાસકાંઠામાં એકેય ઘરમાં પીવાલાયક પાણી પહોંચતું નથી!

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણીના લીધે ગાંધીનગર અને અમદાવાદ મોટા પ્રમાણમાં બીમાર પડ્યા છે જેમાં મોટા ભાગે બાળકો છે, જ્યારે બાલાસિનોરમાં દૂષિત પાણીથી કેટલાક દિવસો પહેલા નાગરિકો કમળાગ્રસ્ત થયા હતા. જળશક્તિ મંત્રાલયના ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ રિપોર્ટ મુજબ ગુજરાતમાં માત્ર ૪૭.૩%ના ઘરે ગુણવત્તાયુક્ત પાણી નળથી પહોંચે છે, જ્યારે સમગ્ર દેશમાં 76% ઘરો સુધી ગુણવત્તાયુક્ત પાણી નળ દ્વારા પહોંચે છે. વર્ષ ૨૦૨૨ સુધીના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની માહિતી મુજબ વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં ૩૦માં ક્રમે છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તિસગઢ જેવા રાજ્યોથી પણ ગુજરાત વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં પાછળ છે. સમગ્ર દેશનો વોટર ક્વોલિટી ઈન્ડેક્સની સરેરાશ ૭૩.૮% જ્યારે ગુજરાતનો ઈન્ડેક્સ ૬૩% છે. જળ શક્તિ મંત્રાલયના રિપોર્ટ ફક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ મુજબ જિલ્લા પ્રમાણે પીવાલાયક પાણીની સપ્લાયના આંકડા ચોકાવનારા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૩૧.૯% ઘરો અને આર્થિક પાટનગર અમદાવાદમાં ૪૬.૧% ઘરોમાં જ પીવાલાયક પાણી આવે છે. દાહોદ અને બનાસકાંઠામાં રિપોર્ટ મુજબ ૦.૦% ઘરોમાં પીવાલાયક એટલે કે પોટેબલ વોટર આવે છે. મહીસાગરમાં ૧૬%, નર્મદામાં ૧૫.૪%, ગીર સોમનાથમાં ૧૧.૭% દેવભૂમિ દ્વારકામાં ૧૭.૨% ઘરોમાં પીવાલાયક પાણી મળે છે. રાજકોટની જનતાને ૧૬.૨% અને સુરતના ૪૭.૨% લોકોને ત્યાં પીવાલાયક પાણી નળથી મળે છે. રિપોર્ટ મુજબ જૂના ૩૩ પૈકી ૧૯ જિલ્લામાં નળ થકી ૫૦%થી ઓછા લોકોને ગુણવત્તા યુક્ત પીવાલાયક પાણી મળે છે. સરકારના આંકડા ખૂબ ચોંકાવનારા છે.

સરકાર ઘરો સુધી માત્ર નળ પહોંચાડી શકી છે, જ્યારે પીવાલાયક જળ પહોચાડવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. શુદ્ધ પીવાલાયક પાણી અને સ્માર્ટ સિટીઓના નામે કરોડો રૂપિયા ખર્ચાય છે, કરોડોની જાહેરાત થાય છે. જ્યારે જમીની હકીકત અલગ છે, ગુજરાતની જનતા સુધી શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવામાં ભાજપ સરકાર નિષ્ફળ છે. દરેક ગુજરાતીને શુદ્ધ પીવાલાયક પાણી ક્યારે મળશે ? સરકાર જવાબ આપે.

Most Popular

To Top