Columns

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓમાં કેટલું તથ્ય છે?

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાના સમાચારો સોશ્યલ મિડિયામાં ઘણા સમયથી ધૂમ મચાવી રહ્યા છે. ઐશ્વર્યા અને અભિષેકના લગ્નજીવનમાં ગંભીર કટોકટી પેદા થઈ છે, તેમાં બેમત નથી. ઐશ્વર્યા પોતાની પુત્રી આરાધ્યાને લઈને જુદી રહેવા ચાલી ગઈ છે, તે પણ હકીકત છે. આવી સ્થિતિમાં બંને કલાકારોએ પોતાની અંગત જિંદગી બાબતમાં મૌન જાળવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નમાં ખટાશના ઘણા અહેવાલો સામે આવી રહ્યા છે. ઐશ્વર્યા રાયની સાથે જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન વચ્ચેના કેટલાક સંબંધો તણાવનું એક બીજું કારણ બની ગયું છે.

દરમિયાન, અભિષેક બચ્ચન અને નિમરત કૌર વચ્ચેના અફેરને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના અલગ થવાની વાતો વચ્ચે એક અફવા પણ ફેલાઈ રહી છે કે અભિષેકે તેની દાસવી ફિલ્મની કોસ્ટાર નિમરત કૌર સાથે સંબંધો બાંધીને ઐશ્વર્યા સાથે છેતરપિંડી કરી છે. દાસવીના પ્રમોશનલ ઈવેન્ટમાં જ્યારે અભિષેકને ઐશ્વર્યા રાય સાથેના લાંબા ગાળાના લગ્ન માટે અભિનંદન આપવામાં આવ્યા ત્યારે નિમ્રતે કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે લગ્ન લાંબા સમય સુધી ટકી શકતા નથી. આવી સ્થિતિમાં એવાં ઘણાં ઉદાહરણો છે જે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાની અટકળો સાથે જોડાયેલાં છે.

અગાઉનાં ઘણાં ઉદાહરણોમાંથી એકમાં બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા ઘણી વાર બચ્ચન પરિવાર વગર જોવા મળે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન વખતે પણ બચ્ચન પરિવાર તેમના પુત્ર અને પુત્રી, જમાઈ અને પૌત્રો સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન થોડા સમય બાદ ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જોવા મળી હતી. ઐશ્વર્યાના જન્મદિવસ પર સમગ્ર વિશ્વમાં તેનાં ચાહકોએ હાર્દિક શુભેચ્છાઓ આપી હતી, પરંતુ અભિષેકે શુભેચ્છા આપી નહોતી. તેણે તેની માતા બ્રિન્દા રાય અને તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે હોસ્પિટલના ઉદ્ઘાટનમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આવી સ્થિતિમાં ઐશ્વર્યા રાયના ૫૦મા જન્મદિવસ સમારંભ પર ન તો અભિષેક બચ્ચન અને ન તો બચ્ચન પરિવાર હાજર હતો.

આ દરમિયાન ઐશ્વર્યાના નજીકના કોસ્ટાર અને પ્રિય મિત્ર વિક્રમનો ઈન્ટરવ્યુ વાયરલ થયો છે, જેમાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિક્રમ જણાવે છે કે તે ઐશ્વર્યાને કેવી રીતે પસંદ કરે છે અને તે બંનેની અધૂરી લવ સ્ટોરી છે, કારણ કે તેણીએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે. તેની ફિલ્મ થંગાલનના પ્રમોશન દરમિયાન વિક્રમે સ્ક્રીન પર તેની અને ઐશ્વર્યા રાયની કેમેસ્ટ્રી અને વાસ્તવિક જીવનમાં તેમના સંબંધો પર પોતાનું મૌન તોડ્યું હતું. સિદ્ધાર્થ કાનન સાથે વાત કરતાં વિક્રમે કહ્યું કે વાત એમ છે કે ઐશ્વર્યા અને મારી ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ સારી છે, જેમ કે તે રાવણ હોય કે પછી પોનીયિન સેલવાન હોય તે બંનેનો અમારા વચ્ચે એકતરફી પ્રેમ હતો.

બીજી કોઈ મારી પત્ની હતી અને બંનેમાં મારી હત્યા થઈ હતી. ઐશ્વર્યા ખૂબ જ પ્રતિબદ્ધ છે, પરફેક્શનિસ્ટ છે અને અમે ઘણાં સારાં મિત્રો છીએ પરંતુ અભિષેક મારા ખૂબ જ નજીકના મિત્ર જેવો છે. તાજેતરમાં, ઐશ્વર્યા અને વિક્રમ સપ્ટેમ્બરમાં દુબઈમાં આયોજિત SIIMA એવોર્ડ્સ ૨૦૨૪માં તેમની ઑફ-સ્ક્રીન કેમિસ્ટ્રી માટે હેડલાઇન્સમાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં એશે અદ્ભૂત બ્લેક અને ગોલ્ડ કલરનો ગાઉન પહેર્યો હતો જ્યારે બીજી તરફ વિક્રમે ઈલેક્ટ્રીક બ્લુ સૂટ પહેર્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી ઘણા મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિષેક બચ્ચનનું અભિનેત્રી નિમરત કૌર સાથે અફેર ચાલી રહ્યું છે. આ દરમિયાન અભિષેકનો એક જૂનો વિડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેતા નિમરતની સામે તેની પત્ની ઐશ્વર્યાનાં વખાણ કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ વિડિયોમાં અભિષેક બચ્ચન કહે છે કે મારી પત્ની આ મામલે અસાધારણ છે. તે હંમેશા મારા માટે અદ્ભુત ભાવનાત્મક ટેકો રહી છે. હું ખૂબ નસીબદાર રહ્યો છું. ઐશ્વર્યા જેવી જીવનસાથી મેળવવાની સૌથી સારી વાત એ છે કે તે પણ ફિલ્મ બિઝનેસમાંથી છે. આ વિડિયો તે સમયનો છે જ્યારે અભિષેક બચ્ચન અને નિમરત કૌર તેમની ફિલ્મ દાસવીનું પ્રમોશન કરી રહ્યા હતા. અભિષેકની વાત સાંભળીને નિમરત હસતી જોવા મળી હતી.

તાજેતરમાં ઐશ્વર્યા તેના પિતરાઈ ભાઈ સાગર શેટ્ટીની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. તેમાં અભિષેક નહોતો ગયો. આ સાથે જોડાયેલી તસવીરો સામે આવ્યા બાદ લોકોએ રેડિટ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે. અભિષેક બચ્ચન ઘણા સમયથી ઐશ્વર્યા રાય સાથે જોવા મળ્યો નથી, જેને લઈને લોકોએ રેડિટ પર ઘણી પ્રતિક્રિયાઓ શેર કરી છે. કેટલાંક લોકોએ ઐશ્વર્યા અને આરાધ્યાની સાદગીનાં વખાણ કર્યાં હતાં.

અન્ય કેટલાંક લોકોએ નિષ્ફળ લગ્નોને સામાન્ય બનાવવાની વાત કરી હતી. કેટલાંક લોકોએ એમ પણ કહ્યું કે આ સંપૂર્ણપણે તેમનો પોતાનો અને વ્યક્તિગત નિર્ણય છે અને લોકોએ તેમની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ. વાસ્તવમાં અભિષેક બચ્ચન તેની બીમાર દાદી સાથે હતો. જયા બચ્ચનની માતા ઈન્દિરા ભાદુરી બીમાર હતી અને તેમને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અભિષેક તેની દાદીની સંભાળ લેવા ભોપાલ પહોંચી ગયો હતો.

અભિષેકની દાદી ભોપાલમાં એકલાં રહે છે. આ જ કારણ હતું કે તે ઐશ્વર્યા રાયના પિતરાઈ ભાઈના બર્થ ડે સેલિબ્રેશનમાં સામેલ થઈ શક્યો નહોતો. હાલમાં જ રેડિટ પર ઐશ્વર્યા રાયનો એક વિડિયો શેર કરવામાં આવ્યો છે. આમાં તે ફ્લોરલ લોન્ગ કોટમાં જોવા મળી રહી છે. પેરિસ ફેશન વીકમાં પહોંચેલી ઐશ્વર્યા રાય વારંવાર તેની વી આકારની રિંગને પ્રદર્શિત કરી રહી છે, જે કદાચ તેના લગ્નની રિંગ છે. આ વિડિયો પછી છૂટાછેડાની અફવાનો અંત આવ્યો છે, પરંતુ અભિનેત્રીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. વિડિયો પર ટિપ્પણી કરતાં લોકોએ કહ્યું કે તે ઈચ્છે છે કે તમે લોકો તેને વીંટી પહેરેલી જુએ. અન્ય યુઝરે લખ્યું કે ‘‘પહેલાં મેં રિંગ ઉતારી, હવે જ્યારે ચર્ચા શરૂ થઈ, ત્યારે મેં તેને ફરીથી પહેરી લીધી જેથી ચર્ચા ચાલુ રહી શકે.’’રિંગ ફ્લોન્ટ કરતી વખતે તેણે કેમેરા સામે પોઝ પણ આપ્યા છે.

અભિષેકનો ઐશ્વર્યાથી છૂટાછેડાની જાહેરાત કરતો એક વિડિયો થોડા મહિના પહેલાં વાયરલ થયો હતો, જેમાં તેણે કબૂલાત કરી હતી કે ઐશ્વર્યા અને મેં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. મારી દીકરી આરાધ્યા માટે છેલ્લાં કેટલાંક વર્ષો થોડાં વિચિત્ર રહ્યાં છે, પરંતુ આજે હું ઐશ્વર્યાથી છૂટાછેડા લેવાનાં કારણો વિશે વાત કરી રહ્યો છું. આ વિડિયોએ સોશ્યલ મિડિયા પર તોફાન મચાવ્યું અને તેનાં ચાહકોનાં દિલ તોડી નાખ્યાં હતાં. પછી અભિષેક બચ્ચન આગળ આવ્યો અને તેના વાયરલ વિડિયો પર પ્રતિક્રિયા આપીને તેને ડીપ ફેક ગણાવ્યો હતો. અભિષેકના છૂટાછેડાની જાહેરાત કરતાં વિડિયોમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો હતો. ક્લિપમાં એક રહસ્યમય કેપ્શન પણ છે જેમાં લખ્યું છે કે મને ખબર નથી કે વિડિયોની સત્યતા શું છે. અત્યાર સુધી, અફવાઓ દિવસે ને દિવસે ફેલાઈ રહી છે અને તેમાંથી કોઈએ કંઈ કહ્યું નથી.

ઐશ્વર્યાથી છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને મુંબઈમાં બચ્ચન પરિવારના બંગલા પાસે એક નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. બચ્ચન પરિવારના જલસાની આસપાસ પહેલાંથી જ પાંચ ઘરો છે અને કેટલાક ફ્લેટો તેમના નામે પણ છે. અભિષેકે તાજેતરમાં બોરીવલીના ઓબેરોય સ્કાય સિટી પ્રોજેક્ટમાં ૬ એપાર્ટમેન્ટ પણ ખરીદ્યા છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે જે કંઈ ચાલી રહ્યું છે તે તેમની અંગત બાબત છે. આજકાલ સોશ્યલ મિડિયાનો પ્રભાવ એટલો વધી ગયો છે કે લોકોને દરેકની ખાનગી વાતમાં ચંચુપાત કરવાની આદત પડી ગઈ છે. જે સેલિબ્રિટીઓ મિડિયાનો ઉપયોગ કરીને મહાન બની છે, તેમણે આ સહન કર્યે જ છૂટકો છે.

Most Popular

To Top