National

ગુરુગ્રામમાં એસિડવાળું માઉથ ફ્રેશનર પીરસાતા 3 કપલના મોઢામાંથી લોહી નીકળ્યું, 5 દાખલ

ગુરુગ્રામ (પંજાબ): દિલ્હીના (Delhi) પાડોશી શહેર અને સાયબર સિટી તેરીકે ઓળખાતા ગુરુગ્રામના (Gurugram) સેક્ટર 90માંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક રેસ્ટોરન્ટમાં (Restaurant) જમતી વખતે માઉથ ફ્રેશનર (Mouth freshener) ખાવાથી પાંચ લોકો ગંભીર બીમાર પડ્યા હતા. તેમજ માઉથ ફ્રેશનર ખાવાથી તેમને મોઢામાં બળતરા થવા લાગી અને મોઢામાંથી લોહી (Blood) નીકળવા લાગ્યું હતું. તેમજ ઉલ્ટી થવા લાગી હતી.

પીડિતોનો આરોપ છે કે ઘટના બન્યા બાદ રેસ્ટોરન્ટમાં પણ કોઈએ તેમની મદદ કરી ન હતી. તેમજ માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ પીડિતોની ફરિયાદ પર ખેડકીદૌલા પોલીસ સ્ટેશનમાં રેસ્ટોરન્ટના માલિક અને સ્ટાફ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ગ્રેટર નોઈડાના રહેવાસી અંકિત કુમારે પોલીસને ફરિયાદ આપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે શનિવારે 2 માર્ચે રાત્રે તેઓ તેમની પત્ની નેહા સભરવાલ, તેમના મિત્ર માણિક ગોંડકા અને તેમની પત્ની પ્રિતિકા રૂસ્તગી, દીપક અરોરા અને તેમની પત્ની હિમાની સાથે ડિનર માટે ગયા હતા. દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી.

પીડિતાનું કહેવું છે કે જમ્યા પછી રેસ્ટોરન્ટની વેઈટર અમૃત પાલ કૌરે તેમને માઉથ ફ્રેશનર ઓફર કર્યું હતું. જેનું સેવન કરતાની સાથે જ પાંચેયને મોઢામાં બળતરા થવા લાગી હતી અને મોઢામાંથી લોહી નીકળવા સાથે ઉલ્ટી થવા લાગી હતી. અંકિત કુમાર તેમની એક વર્ષની દીકરીને ખોળામાં લઈને જઈ રહ્યો હતો. તેથી તેણે માઉથ ફ્રેશનર લીધું ન હતું. પીડિતાનું કહેવું છે કે જ્યારે તેના મિત્રોની તબિયત ખરાબ થવા લાગી ત્યારે તેણે વેઈટરને પેકેટ વિશે પૂછ્યું. જેના પર વેઈટરે પોલીથીનનું પેકેટ સામે મૂક્યું હતું. તેમજ પીડિતોએ આ પેકેટનો કબજો લઈ લીધો હતો.

અંકિતે આરોપ લગાવ્યો કે પાંચેયની તબિયત ખૂબ જ ખરાબ હોવા છતાં રેસ્ટોરન્ટના સ્ટાફે તેમની મદદ કરી નથી. આ અંગે તેમણે પોલીસ હેલ્પલાઈન પર ફોન કર્યો હતો. ત્યાર બાદ પાંચેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે અંકિતે ડૉક્ટરને માઉથ ફ્રેશનર બતાવ્યું તો તેમણે કહ્યું કે તે ડ્રાય આઈસ છે.

ડોક્ટરના મતે આ ડ્રાય આઈસ જીવલેણ છે અને મૃત્યુ પણ થઈ શકે છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી રેસ્ટોરન્ટના કર્મચારીઓ અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. તેમજ પોલીસ બીમાર લોકોના નિવેદન લેવા માટે ઘટનાસ્થળે ગઈ હતી. પરંતુ તબીબે તેમની તબિયત ખરાબ હોવાને કારણે ના પાડી હતી.

Most Popular

To Top