આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે ભાગ્યે જ અગાઉની કોઈ ચૂંટણીમાં જોવા મળ્યા હશે. ખાસ કરીને ‘ફોર્મ ખેંચવાની હોડ’ આકર્ષણનું કેન્દ્ર બની છે. ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે ગુજરાતભરમાંથી મીડિયામાં સમાચારો વહેતા થયા કે કોંગ્રેસ, આપ કે અપક્ષના ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા અને ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. ત્યારબાદ એવા આક્ષેપો પણ થયા કે ધાકધમકી આપીને અથવા નાણાકીય સોદાબાજી કરીને ફોર્મ ખેંચાવવામાં આવ્યા છે.
આ બાબતે કેટલાક કથિત ઓડિયો કે વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા. ભાજપે મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ કબજે કરી હોવાનો દાવો કર્યો અને ચૂંટણી પહેલા જ વિજય વરઘોડા કાઢીને વિજયોત્સવ મનાવ્યો. જીતનાર પક્ષને કદાચ એવું લાગે કે ચૂંટણી પાછળ થતો સરકારી ખર્ચ બચી ગયો, પરંતુ વાસ્તવમાં આ એક રીતે લોકશાહીની હત્યા સમાન છે. આ મામલે ગુજરાતના ઘણા બુદ્ધિજીવીઓ અને વરિષ્ઠ પત્રકારોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
પંચમહાલ – વિજયસિંહ સોલંકી, – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે