ચોમાસા પહેલા સરોવરોમાંથી માટી-કાંપ ઉલેચી જળ સંગ્રહ ક્ષમતા વધારવા પાલિકાનું આયોજન; કોન્ટ્રાક્ટરોને સોંપાઈ જવાબદારી
વડોદરા: શહેરની ઉત્તર દિશામાં આવેલા ઐતિહાસિક અને જીવાદોરી સમાન સયાજી સરોવર તથા તેની પૂરક એવી પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કમર કસવામાં આવી છે. ઉનાળાની સીઝન દરમિયાન આ બંને સરોવરમાંથી માટી ઉલેચી તેને વધુ ઉંડા કરવાની મહત્વની કામગીરી આગામી થોડા દિવસોમાં શરૂ કરવામાં આવનાર છે.
મળતી માહિતી મુજબ, આગામી ચોમાસામાં વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરી શકાય તે હેતુથી પાલિકા તંત્ર સક્રિય થયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સરોવરોમાં જમા થયેલી કાંપ અને માટીને દૂર કરવામાં આવશે, જેથી જળ સંગ્રહની સપાટીમાં નોંધપાત્ર વધારો થશે. આ કામગીરી ચોમાસાનું આગમન થાય તે પૂર્વે જ પૂર્ણ કરી લેવાનું આયોજન સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે પાલિકા દ્વારા જે તે કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપવામાં આવી છે. આ અંગે વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરોવરમાંથી માટી ખોદવા અને તેને લઈ જવા માટેના તમામ ખર્ચ જે તે કોન્ટ્રાક્ટરોએ જાતે ભોગવવાના રહેશે. આ સાથે જ, સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી રોયલ્ટી અને અન્ય વહીવટી ખર્ચ પણ કોન્ટ્રાક્ટરોએ જ આપવાના રહેશે.
વિશ્વામિત્રી પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરોવરોની ઉંડાઈ વધવાથી વડોદરા શહેરને પીવાના પાણીની સમસ્યામાં રાહત મળશે એટલું જ નહીં, પરંતુ પૂર જેવી સ્થિતિમાં પણ આ સરોવરો વધુ પાણી સમાવી શકશે. આ પ્રોજેક્ટ અંગે વિશ્વામિત્રી પ્રોજેક્ટના ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, રાજમહેલ રોડ ખાતેની કચેરી ખાતેથી વધુ વિગતો અને આયોજન અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ કામગીરીથી લાંબા ગાળે શહેરના ભૂગર્ભ જળ સ્તરમાં પણ સુધારો થશે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની તંગી સામે લડવા માટે શહેર વધુ સજ્જ બનશે.