Comments

મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને આપ નુકસાન કરશે?

મધ્યપ્રદેશમાં વિદશાંસભાની ચૂંટણીને સાત મહિનાની વાર છે. અહી ભાજપને કઇ રીતે સત્તા મળી એ સૌ જાણે છે. કોંગ્રેસમાંથી જ્યોતિદારિત્ય સિંધિયા કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા અને ભાજપ સત્તા પર આવ્યો. શિવરાજસિંહ ચૌહાણ ફરી મુખ્યમંત્રી બન્યા. પણ હવે સિંધિયા રાજ્યમાં સક્રિય થવા માંગે છે. ભાજપે કોઈ ઈશારો કર્યો નથી પણ શિવરાજ ફરી મુખ્યમંત્રી બને એવી શક્યતા ઓછી થઈ ગઈ છે. કોંગ્રેસમાં હજુ ય શાંતિ નથી. ઘણા જૂથ છે. આ સ્થિતિમાં આપ અહી લાભ ઉઠાવવા માંગે છે.

દિલ્હીમાં આપ સરકાર સામે ઘણું બધુ બન્યું છે. સત્યેન્દ્રથી માંડી સિસોદીયા જેલમાં છે પણ અરવિંદ કેજરીવાલ એનાથી નાસીપાસ થયા નથી. એમણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. મધ્યપ્રદેશમાં હમણાં એક સભામાં કેજરીવાલે શિવરાજ સરકાર પર નહીં પણ નરેન્દ્ર મોદી પર હલ્લો કર્યો હતો. એ પોતાને રાષ્ટ્રીય કક્ષાએ મોદીના વિકલ્પ તરીકે અગાળ વધવા માંગે છે.

પણ એમપીમાં આપ કેટલું કાઠું કાઢી શકશે? આપ ઉત્સાહિત છે. ૨૦૧૮ વિધાનસભાની ચૂંટણીમાં આપને માત્ર ૦.૬૬ મત મળ્યા હતા. પણ પછી નગર નિગમની ચૂંટણીઑમાં એનો વોટ શેર વધી ગયો હતો. વધીને એ ૭ ટકાએ પહોંચ્યો એટલું જ નહીં પણ સિંગરૌલી નગર નિગમમાં ભાજપ પાસેથી મેયરપદ છીનવ્યું અને એમાં ૫૧ નગરસેવક પણ ચૂંટાયા. એટલે કે શહેરી મતદારોમાં આપ સ્કોર કરી શકે છે. અને એનું નુકસાન ભાજપ અને કોંગ્રેસ બંનેને થઈ શકે છે.

પણ અત્યાર સુધી ઘણા રાજ્યોમાં જોવા મળ્યું છે એમ આપ કોંગ્રેસની વોટ બેન્કમાં ગાબડાં પાડે છે. મુસ્લિમ , એસસી અને એસટી વૉટબેન્ક છે એમાં આપ કેટલા ગાબડાં પાડી શકે છે એ જોવાનું છે. ગુજરાતમાં આપ ચૂંટણીમાં ના હોત તો ચિત્ર કઈક જુદું જ હોટ કારણ કે, આપે ગુજરાતમાં પાંચ બેઠક તો મેળવી સાથે ૧૩ ટકા વોટ શેર પામ મેળવ્યો. અને એની સીધું નુકસાન કોંગ્રેસને થયું . મધ્યપ્રદેશમાં પણ આપ કઈક આવું જ સાહસ કરી બતાવવા માંગે છે. અને દિલ્હી પંજાબ , ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પોતાના પગ જમાવવા બેતાબ છે.

મહારાષ્ટ્રમાં શિવસેના સામે પડકાર મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ પડ્યું. એકનાથ શિંદે સાથીઓને લઈ ભાજપ સાથે હાથ મિલાવી મુખ્યમંત્રી બની ગયા. અને શિંદે જૂથ બહુ જલદી ભાજપમાં ભળી જશે એવી વાત સામાન્ય બની ગઈ છે. પણ સવાલ એ છે કે, શિવસેનાનું શું? પક્ષનું ચૂંટણી ચિહ્ન પણ શિવસેના પાસેથી ગયું છે. કાનૂની લડાઈ ચાલુ છે પણ શરદ પવારે ઉધ્ધવ ઠાકરેને નવા પ્રતિક સતહે લડવા સલાહ આપી છે. પણ શિવસેના સામે સૌપ્રથમ પડકાર બીએમસીની ચૂંટણી છે. જ્યાં શિવસેના સત્તા પર છે ને ૨૨૭ બેઠક અને રૂ. ૫૨,૬૧૯ કરોડની વિશાળ બજેટ ધરાવતા આ કોર્પોરેશનમાં શિવસેનાને હરાવવા શિંદે જૂથ અને ભાજપ હાથ મિલાવશે એ નક્કી છે. ઠાકરે માટે આ મોટો પડકાર છે. કારણ કે, શિવસેના અને મરાઠી માનુસ એ એક સિક્કાની બે બાજુ હતા પણ હવે એવું રહ્યું નથી. ઉધ્ધવની કેટલીક ભૂલો ભારે પડી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની ભૂમિકા અંગે સવાલ જરૂર ઉઠાવ્યા છે પણ એનાથી શિવસેનાને કોઈ ફાયદો થવાનો નથી. ભાજપ પ્રાદેશિક કક્ષાએ પક્ષોને નબળા પાડવા પ્રયત્નમાન છે અને એમાં એને સફળતા મળી છે.

નાગાલેન્ડમાં વિપક્ષવિહોણી સરકાર !
નાગાલેંડમાં એનડીપીપી અને ભાજપની સરકાર ફરી રચાઇ છે. નેફયુ રિયો ફરી મુખ્યમંત્રી બન્યા છે. પણ મજાની વાત એ છે કે, આ બંને પક્ષોના ગઠબંધને ૬૦માંથી ૩૭ બેઠક જીતી છે અને બાકીના પક્ષોમાં આશ્ચર્યજનક રીતે એનસીપી સાત બેઠક જીત્યો છે. એનપીપી ૫ , એલજેપી અને એનપીએફ ૨-૨ અને જેડીયુ તયથા અન્યને એક એક બેઠક મળી છે. હવે આ બાકીના પક્ષોએ સરકારને ટેકો જાહેર કર્યો છે. એટલે કે ૨૦૧૫માં અને ૨૦૨૧માં બન્યું હતું એવું ફરી બનવા જય રહ્યું છે. જો કે, એનડીપીપી અને ભાજપે કહ્યું છે કે, અમારી પાસે બહુમતી છે અને અમે સરકાર રચી છે અમને કોઈના ટેકાની જરૂર નથી. પણ સવાલ એ છે કે, બાકીના પક્ષો સરકારને કેમ ટેકો આપવા માંગે છે? શું એમને સત્તામાં કોઈ ભાગીદારી જોઈએ છે? આમ તો નાગા શાંતિ મંત્રણા આગળ વધે એ માટે બધા પક્ષો સરકારને ટેકો આપવા માંગે છે એમ કહેવાં આવે છે. પણ કોઈ રાજ્યમાં વિપક્ષ વિહોણી સરકાર હોય તો લોકોનો અવાજ કોણ બને? સરકાર કોઈ ભૂલ કરે તો કાન કોણ ખેંચે? ભારતના કોઈ રાજ્યમાં આવી સ્થિતિ જોવા મળી નથી પણ ઇશાન ભારતનું આ રાજ્ય નવો ચૂઈલો પાડે છે શું લોકશાહી માટે આ સારી નિશાની છે?
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top