National

વિક્રમાદિત્ય મંડીથી કંગના રનૌત સામે ચૂંટણી લડશે, માતા પ્રતિભા સિંહનો એલાન

નવી દિલ્હી: વિક્રમાદિત્ય સિંહ (Vikramaditya Singh) કોંગ્રેસ (Congress) વતી મંડીથી લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) લડશે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે આ બાબતે જાહેરાત કરી હતી. જો કે પાર્ટી દ્વારા તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ અગાવ આ અંગે સંકેત આપ્યા હતા.

અગાવના અહેવાલો મુજબ દિલ્હીમાં CECની બેઠકમાં વિક્રમાદિત્ય સિંહના નામ પર ચર્ચા થઈ હતી. સીએમ સુખુએ કહ્યું કે એ નિશ્ચિત છે કે અમને મંડીમાંથી યુવા નેતા મળશે. ત્યારે પ્રતિભા સિંહે કહ્યું કે વિક્રમાદિત્ય સિંહને મજબૂત ઉમેદવાર માનવામાં આવ્યા છે. હાલમાં પ્રતિભા સિંહ આ બેઠક પરથી સાંસદ છે.

મંડીના લોકો હંમેશા અમારી સાથે રહ્યા – પ્રતિભા સિંહ
પ્રતિભા સિંહે કહ્યું, “કંગના શું કરી રહી છે કે શું કહી રહી છે તેની અમને કોઈ પરવા નથી. મંડીના લોકો હંમેશા અમારી સાથે રહ્યા છે. મેં મુશ્કેલ સંજોગોમાં પણ સીટ જીતી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને વિક્રમાદિત્ય સિંહની માતા પ્રતિભા સિંહ પહેલા જ તેની જાહેરાત કરી દીધી હતી, કે ચૂંટણીની રેસ છોડવાનો નિર્ણય લીધો છે અને હવે તે ઈચ્છે છે કે તેનો પુત્ર આ સીટ પરથી ચૂંટણી લડશે.

રાજ્યસભાની ચૂંટણી બાદ તણાવ વધ્યો
અન્ય ગ્રાઉંડ રિપોર્ટ્સમાં એવું પણ માનવામાં આવે છે કે જો વિક્રમાદિત્ય સિંહને મંડીથી ઉમેદવાર બનાવવામાં આવે છે, તો તે કોંગ્રેસની અંદર ચાલી રહેલી તિરાડને દૂર કરવામાં મદદ કરશે. તાજેતરની રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ કોંગ્રેસની અંદર તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ક્રોસ વોટિંગના કારણે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી કથિત રીતે સુખુ સરકાર માટે ખતરો બની ગયો હતો.

ત્યારે વિક્રમાદિત્યને મેદાનમાં ઉતારીને કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલા જૂથવાદને ઘટાડવાનો પ્રયાસ કરશે. તેમજ રાજ્ય સરકારનું અસ્તિત્વ 1 જૂને લોકસભાની ચૂંટણી સાથે યોજાનારી છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો પર પણ નિર્ભર છે.

ભાજપે કંગનાને મંડીથી ટિકિટ આપી
ભાજપે હિમાચલ પ્રદેશના મંડીથી કંગના રનૌતને ઉમેદવાર બનાવ્યા છે. હાલના દિવસોમાં તે મંડીમાં પોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. કંગનાની ઉમેદવારી આશ્ચર્યજનક ન હતી. તેણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ફેન છે. તેમજ કંગના બે વર્ષથી વધુ સમયથી રાજકારણમાં કારકિર્દી બનાવવાનો સંકેત આપી રહી હતી. તેણીએ રામમંદિર કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.

Most Popular

To Top