Madhya Gujarat

બ્રિટનના વડા પ્રધાનની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનાક કેમ હારી ગયા?

રાજકારણ એક એવી સ્પર્ધા છે, જેમાં સૌથી લાયક ખેલાડી પહેલા જ નંબરે આવે, તેવો કોઈ નિયમ નથી. બ્રિટનના વડા પ્રધાન તરીકે બોરિસ જોનસને રાજીનામું આપ્યું તે પછી વડા પ્રધાન તરીકે જેટલા નેતાઓનાં નામો બોલાતાં હતાં તેમાં ભારતીય મૂળના ઋષિ સુનાકનું નામ મોખરે હતું, જ્યારે લિઝ ટ્રુસનું નામ છેક છેલ્લા નંબરે હતું. લિઝ ટ્રુસ એક મીડિયોકર નેતા છે, જ્યારે ઋષિ સુનાક વધુ બુદ્ધિશાળી, વધુ તેજસ્વી, વધુ ધનવાન અને વધુ કુશળ નેતા હતા. બ્રિટનના રૂઢિચુસ્ત પક્ષના મતદારોને લાગ્યું કે લિઝ ટ્રુસ તેમના જેવા જણાય છે, જ્યારે ઋષિ સુનાક કોઈ બીજી દુનિયામાંથી તેમની વચ્ચે આવી ચડ્યા હોય તેવું તેમને લાગતું હતું. આ કારણે જેમ જેમ પ્રચારની ઝુંબેશ આગળ વધતી ગઈ તેમ તેમ ઋષિ સુનાક પાછળ ધકેલાતા ગયા અને લિઝ ટ્રુસ આગળ આવતાં ગયાં. જ્યારે મતદાન થયું ત્યારે ઋષિ સુનાક ૨૦,૦૦૦ મતથી હારી ગયા હતા. લિઝ ટ્રુસને કુલ મતદાનના ૫૭ ટકા મતો મળ્યા હતા. કદાચ ઋષિ સુનાક ભારતીય મૂળના છે તે હકીકત તેમને નડી ગઈ હતી.

બ્રિટનના રૂઢિચુસ્ત પક્ષના નેતા તરીકે ચૂંટાવા માટે જ્યારે પ્રચાર ઝુંબેશ શરૂ થઈ ત્યારે ઋષિ સુનાક તેમાં મોખરે હતા. પ્રારંભિક દિવસોમાં જેટલા પણ ઓપિનિયન પોલ યોજાયા તેમાં પણ સૌથી વધુ પોઈન્ટ ઋષિ સુનાકને મળ્યા હતા. પ્રચાર ઝુંબેશના ૬ સપ્તાહ પછી તેમના એન્જિનમાં વરાળ ખૂટી ગઈ હતી. તેમણે ઝુંબેશના છેલ્લા તબક્કામાં રૂઢિચુસ્ત પક્ષના કેટલાક રૂઢિચુસ્ત મતદારોને પોતાની તરફેણમાં ખેંચવામાં સફળતા હાંસલ કરી હતી, પણ તે ખૂબ મોડું હતું. બ્રિટનનું અર્થતંત્ર જ્યારે ભયંકર કટોકટીમાં સપડાયું છે અને ઉર્જાનો ખર્ચ વધી રહ્યો છે ત્યારે બ્રિટનને ઋષિ સુનાક જેવા કુશળ આર્થિક નિષ્ણાતની અને વહીવટદારની જરૂર હતી, પણ બ્રિટનના મતદારો કાંઈક અલગ રીતે જ વિચારતા હતા. તેમને લિઝ ટ્રુસનો કરવેરામાં ઘટાડો કરવાનો વિચાર બહુ ગમી ગયો હતો. કરવેરામાં ઘટાડા દ્વારા જે ગાબડું પડશે, તેને કેમ પૂરવામાં આવશે, તેનો વિચાર તેઓ કરતા નથી.

ઋષિ સુનાકે પોતાની ચૂંટણી ઝુંબેશના પ્રારંભમાં એક સ્માર્ટ વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં બ્રિટનના ઉત્થાન બાબતમાં તેમના વિચારો ખૂબ આકર્ષક ઢબે રજૂ કરવામાં આવ્યા હતા. બોરિસ જોનસને રાજીનામું આપ્યું તેના બીજા દિવસે જ ‘રેડીફોરરિષી’ નામનો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ નામની વેબસાઇટ પણ બહુ પહેલાં રજિસ્ટર કરવામાં આવી હતી. તેમણે બોરિસ જોનસનની ટીકા કરીને તેમને રાજીનામું આપવા મજબૂર કર્યા તેના ઘણા સમય પહેલાથી તેઓ વડા પ્રધાનની ખુરશી પર બેસવાની તૈયારી કરી રહ્યા હતા. ઝુંબેશના પ્રથમ રાઉન્ડમાં તેમણે શાસક પક્ષના ૩૫૦ સંસદસભ્યોના જ દિલ જીતવાનાં હતાં. તે કામ આસાન હતું. તેમનો વીડિયો પણ તેમાં કામ લાગ્યો હતો, પણ તેમાં પર્સનલ ટચનો અભાવ હતો. ઋષિ સુનાકની પ્રચારઝુંબેશ હાઈ-ટેક અને હાઈ-પ્રોફાઈલ હતી, પણ તેને કારણે જ સંસદસભ્યો દૂર થતા ગયા હતા. પ્રથમ રાઉન્ડમાં તેમને ઘણા બધા સંસદસભ્યોના મતો મળ્યા, પણ તે ૫૦ ટકાથી ઓછા હોવાથી પર્યાપ્ત નહોતા.

બીજા રાઉન્ડમાં પક્ષના સભ્યોમાં ઝુંબેશ કરવાની હતી તેમાં ઋષિ સુનાકના મીડિયા મેનેજરો થાપ ખાઈ ગયા હતા. તેમણે તેમની તમામ તાકાત ઓનલાઈન કેમ્પેઇન પર કેન્દ્રિત કરી હતી, જ્યારે રૂઢિચુસ્ત પક્ષના બહુમતી મતદારો ગામડાંમાં રહે છે, જેઓ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર બહુ નિર્ભર રહેતા નથી. ઋષિ સુનાક તરફથી આ મતદારોને રોજ મેસેજ કરવામાં આવતા હતા કે તમારે આજે મારા વતી બે પક્ષસભ્યો સાથે વાતચીત કરવાની છે. આવા સંદેશાઓ રૂઢિચુસ્ત પક્ષના મતદારોને જરાય પ્રભાવિત કરી શક્યા નહોતા. તેઓ ઈમેઈલ અને સોશિયલ મીડિયામાં આવતા સંદેશાઓ બહુ ગંભીરતાથી લેતા નથી. તેમના મનમાં છાપ ઊભી થઈ ગઈ કે ઋષિ સુનાક આપણા જેવા નથી. હાઈ-ટેક સોશિયલ મીડિયા કેમ્પેઇનને કારણે આ છાપ વધુ મજબૂત બની ગઈ હતી.

ઋષિ સુનાકે જે રીતે કેમ્પેઇન ચલાવી તેનાથી તદ્દન વિપરીત રીતે લિઝ ટ્રુસે પોતાની કેમ્પેઇન ચલાવી હતી. તેમણે પોતાના મતદારોને રૂબરૂ મળવાનું અને તેમની સાથે ફોન પર વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. અખબારોમાં અને ટીવીમાં આવતા તેમના ઇન્ટરવ્યૂ જોઈને રૂઢિચુસ્ત પક્ષના મતદારોમાં ધારણા બંધાઈ ગઈ કે આ નેતા આપણા જેવાં જ મધ્યમ વર્ગીય છે. લિઝ ટ્રુસને બીજો ફાયદો એ થયો કે વિદાય લઈ રહેલા વડા પ્રધાન બોરિસ જોનસને તેમને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. બોરિસ જોનસને ભલે રાજીનામું આપ્યું, પણ રૂઢિચુસ્ત પક્ષમાં તેમના ઘણા ટેકેદારો હતા. તેમને લાગ્યું કે ઋષિ સુનાકને કારણે તેમણે રાજીનામું આપ્યું છે, જેનો લાભ લિઝ ટ્રુસને મળ્યો હતો.

રૂઢિચુસ્ત પક્ષના મતદારોને યાદ હતું કે ઋષિ સુનાકનાં રાજીનામાંના પગલે બોરિસ જોનસને રાજીનામું આપવું પડ્યું હતું, જેને કારણે તેઓ નારાજ હતા. બીજી બાજુ લિઝ ટ્રુસ બોરિસ જોનસનને છેલ્લે સુધી વફાદાર રહ્યા હોવાથી બોરિસ જોનસનના સમર્થકોના મતો કુદરતી રીતે તેમને મળ્યા હતા. બોરિસ જોનસનના વફાદારો ઋષિ સુનાકને વડા પ્રધાનપદ તાસક પર ધરી દે તે શક્ય જ નહોતું. લિઝ ટ્રુસે આ લાગણીઓનો બરાબર લાભ ઉઠાવ્યો હતો. વળી તેઓ મહિલા હોવાને કારણે મહિલા મતદારોની સહાનુભૂતિ પણ તેમને મળી હતી. ઋષિ સુનાકને આ વાતનો ખ્યાલ આવતાં છેલ્લે છેલ્લે તેમણે બોરિસ જોનસન સાથે સમાધાન કરવાની કોશિષ કરી હતી, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. બોરિસ જોનસને તેમનો ફોન જ ઉપાડ્યો નહોતો. બોરિસ જોનસને બદલો લીધો હતો.

ઋષિ સુનાકની પત્ની અક્ષતા નારાયણ મૂર્તિની પુત્રી છે અને તે ભારતીય નાગરિક છે, તે બાબત પણ ઋષિને નડી હતી. અક્ષતા પાસે ઇન્ફોસિસના અબજ ડોલરના શેરો છે, તે સાંભળીને જ બ્રિટીશરોની આંખો પહોળી થઈ જતી હતી. બ્રિટનમાં વેલ્થ ટેક્સ ન ભરવો પડે તે માટે તેમણે બ્રિટનની નાગરિકતા સ્વીકારી નહોતી, તે વાત બ્રિટીશરોને હજમ થઈ નહોતી. ટેકનિકલી તેમાં કાંઈ ખોટું નહોતું, પણ બ્રિટીશરો માને છે કે દુનિયાના બધા દેશોની સંપત્તિ પર તેમનો હક્ક છે. તે હક્ક કોઈ ડૂબાડવા માગતું હોય તો બ્રિટીશરો તેમને માફ કરી શકતા નથી. ઋષિ સુનાકની છાપ પણ કોઈ આપબળે આગળ આવેલા સ્ટ્રગલર તરીકેની નથી. તેમનો પરિવાર કેનિયા છોડીને આવ્યો ત્યારે પણ તે ગર્ભશ્રીમંત હતો. તેમની માતા ફાર્મસીની માલિક હતી. ઋષિ સુનાકના પરિવાર પાસે જે અઢળક ધનદોલત છે તેને કારણે જ રૂઢિચુસ્ત મતદારો અને તેમના વચ્ચે દિવાલ ઊભી થઈ ગઈ હતી.

લિઝ ટ્રુસ ભલે વડાં પ્રધાન બની જશે, પણ તેમના માથે કાંટાળો તાજ મૂકવામાં આવ્યો છે. આજે બ્રિટન જે અપરંપાર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, તેમાંથી તેને બહાર લાવવામાં લિઝ ટ્રુસનું પાણી મપાઈ જવાનું છે. બ્રિટનમાં ફુગાવો ૪૦ વર્ષની ટોચ પર પહોંચ્યો છે. રશિયા દ્વારા બળતણના પુરવઠામાં કાપ મૂકવામાં આવ્યો હોવાથી બળતણના ભાવોમાં બેફામ વધારો થયો છે. બ્રિટનના સામાન્ય પરિવારના ઉર્જા ખર્ચમાં એક વર્ષમાં ૫૦ ટકા વધારો થયો છે. શિયાળો આવતાં પરિસ્થિતિ વધુ કથળવાની સંભાવના છે. ફુગાવો ત્યારે ૧૩.૩ ટકાની નવી ટોચ પર પહોંચી જશે. બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી ગયું તેને કારણે પેદા થયેલી સમસ્યાઓ હલ થઈ નથી. પાઉન્ડની કિંમત ઘટી રહી છે ત્યારે લિઝ ટ્રુસની અગ્નિપરીક્ષા થવાની છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top