Comments

ગુજરાતમાં ખેતીની વાસ્તવિક સ્થિતિનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાની જવાબદારી કોની?

ગુજરાતમાં કુલ ખેડૂત કેટલા? લગભગ પચાસ લાખ! હવે આમાં સીમાંત ખેડૂત 20 લાખ, 17 લાખ નાના ખેડૂત અને 11 લાખ સામાન્ય એટલે કે 48 લાખથી વધુ તો સાવ જ નબળી કે સામાન્ય આર્થિક સ્થિતિવાળા ખેડૂત થયા. 45 હજાર મધ્યમ અને 4 હજાર મોટા સંપન્ન ખેડૂત ગુજરાતમાં છે. હવે એક કુટુંબની સરેરાશ સંખ્યા ૫ ગણીએ તો અડતાલીસ લાખ ખેડૂત પરિવારોમાં  ત્રણ કરોડ ખેડૂત પરિવારો સાવ નબળી આર્થિક સ્થિતિમાં જીવે છે.

ગુજરાતનાં છ કરોડ લોકોમાંથી ત્રણ કરોડ લોકોનો રોજગારી અને આવકનો આધાર ખેતી છે. આપણા ઉદ્યોગ અને બજાર પણ ખેતીની આવક આધારિત છે ત્યારે આપણે એ જોવું જરૂરી છે કે ગુજરાત ખેતી માટે કેટલું સંવેદનશીલ છે? આપણા મુખ્ય પ્રસાર માધ્યમોમાં ક્યાંય ખેતીની ચર્ચા નથી. ખેતીની સમસ્યા આધારિત લેખમાળા કે સંશોધનપત્ર નથી. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે ખેતીની વાત એટલે માત્ર બિયારણ,વરસાદ,ઉત્પાદનની નથી.

ગુજરાતમાં ખેતીની જમીનોનું બિનખેતીમાં રૂપાંતર ,સિંચાઈની વ્યવસ્થા ખેત પેદાશોના ખરીદ વેચાણ અને પાક વીમા સહિતના મુદ્દાઓની સામાન્ય માનવી પર પડનારી અસરો ચર્ચવામાં આવતાં નથી. સરકાર ખેડૂત માટે પાકવીમાના પ્રીમીયમ પેટે હજારો કરોડ રૂપિયા વીમા કંપનીને ચૂકવે છે. આમાંથી વીમા કંપની ખેડૂતોને માત્ર સો કરોડ પણ ચૂકવતી નથી. પણ આ વીમા પ્રીમિયમની રકમ તો પ્રજાના ખિસ્સામાંથી જાય છે ને? ચૂંટણી સમયે મફતની ચર્ચા કરનારા અર્થશાસ્ત્રીઓ કદી આ વીમા કંપનીઓને થતા કરોડોના લાભ વિષે પોતાનું જ્ઞાન આપતા નથી.

ગુજરાતમાં પશુપાલકોના પ્રશ્નોની તો ક્યાંય ચર્ચા જ નથી.હા, હમણાં હમણાં શહેરોમાં રસ્તે રખડતાં ઢોરનો મુદ્દો અને  તેનાથી થતા આકસ્મિક મૃત્યુ ચર્ચાનો વિષય છે.પણ પશુપાલકોના પ્રશ્નો ક્યાં? શહેરમાં માણસ ગાડી લે તો પાર્ક કરે. રસ્તાઓ ગાડીઓથી ઉભરાય છે. વિચિત્રતા એ છે કે માણસે શહેરમાં રાત પડે સૂવા માટે નાનું મકાન પણ ખરીદવાનું થાય તો લાખો રૂપિયા ખર્ચવા પડે, જ્યારે ગાડીઓ મફત પાર્ક થાય અને જગ્યા રોકે! હવે તો શહેરોમાં ઘણી જગ્યાએ ગાડી રાખવાના પણ રૂપિયા સોસાયટી વસૂલે છે, પણ પ્રમાણ હજુ ઓછું છે. પશુ રાખનારને કોઈ મકાન આપતું નથી.પશુપાલકોએ શહેર કે ગામથી થોડે દૂર જ રહેવું પડે છે એટલે તેમનાં બાળકોને ભણવાથી માંડી યુવાનોને રોજગારી મેળવવા સુધી ફરજીયાત અપડાઉન કરવું પડે છે.

સતત એક જ પાર્ટીની સરકાર રહેવાની કેટલીક મર્યાદાઓ છે. ઔદ્યોગિકીકરણ અને આર્થિક વિકાસના ખોટા ખ્યાલોને કારણે અધિકારીઓ અને કોન્ટ્રાકટરો વચ્ચે એવી સાંઠગાંઠ થઇ છે કે ઘણા ગ્રામીણ વિસ્તારોમાં ખનીજ બાબતે ક્યાં ખોદકામ શરૂ થઇ જાય, ક્યાં ખેડૂતની ફળદ્રુપ જમીન ઉદ્યોગવાળા લઇ જાય તેની ખબર જ ના પડે. ગામડાનો ખેડૂત જાગે ત્યારે તો તેની જમીન બારોબાર વેચાઈ ગયાને સમય થયો હોય. સૌરાષ્ટ્રમાં આ મુદ્દે કનુભાઈ કલસરિયાએ વ્યાપક આંદોલનો કર્યા પણ જન-સમર્થન નહીંવત્ ! આપણે જળ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ ,જમીનનું પ્રદૂષણ જેવી બાબતો માટે બિલકુલ ચિંતિત નથી.

ગુજરાતમાં ખેતીની પ્રદેશગત ભિન્નતા છે. ચરોતરમાં પહેલેથી નહેર સિંચાઈની યોજના છે. બીજી યોજનામાં ખેતીના વિકાસની વ્યૂહરચના અમલમાં આવી અને ભારતમાં સિંચાઈ સુવિધાઓ વધારવા તરફ સત્તાવાળાનું ધ્યાન ગયું ત્યારે જ ગુજરાતમાં આ વિસ્તારમાં નહેરો બનાવવામાં આવી. વિકસિત ગુજરાતમાં છેલ્લાં વીસ વર્ષમાં નહેર દ્વારા સિંચાઈની શું સ્થિતિ છે તે સૌ એ તપાસી જવું. ખાસ તો નર્મદા બંધ બંધાયા બાદ શ્રી જયનારાયણ વ્યાસ હતા ત્યારે નહેરો,મુખ્ય કેનાલોનાં કામ થયા પછી તેમાં શું વૃદ્ધિ થઇ તે તપાસી જવું  અને કલ્પસર, સૌની , ખેતતલાવડી વગેરે યોજનાઓમાં હવે ક્યાં છીએ તે પણ જોઈ લેવું. પાણી તે ખેતીની પાયાની જરૂરિયાત છે. ગુજરાત એમાં નક્કર કામગીરી નથી કરી રહ્યું. તો મધ્ય ગુજરાતમાં એક તો સિંચાઈ નહેરથી અને પાક રોકડિયો તમાકુનો એટલે અહીં ખેડૂતો સમૃદ્ધ થયા.

ઉત્તર ગુજરાતમાં ઊંજા વિસ્તારમાં જીરું અને ઇસબગુલના પ્રતાપે ખેડૂતોની સ્થિતિ સુધારી. વળી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો જ્ઞાતિગત એકતા દ્વારા લાભ લેનારા સંપન્ન થયા. સૌરાષ્ટ્રમાં સદા પાણીની તકલીફ રહી.જુનાગઢ,અમરેલીમાં મગફળી ઊગે, પણ નફો તો તેલની મિલોવાળાને મળે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ પાણીનો પ્રશ્ન વિકટ. આમ ગુજરાતમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની સમસ્યા જુદી, ડાંગના ખેડૂતોની જુદી, ચરોતરના ખેડૂતોની જુદી અને ગુજરાત સરકાર પાસે આ વર્ગીકરણ દ્વારા આયોજન કરવાનો વૈજ્ઞાનિક અભિગમ જ નહિ. હવે તો ખેતીમાં કોઈને રસ જ નથી. સરકારને તો શહેરીકરણ અને મનોરંજનમાં રસ છે. તેને ફી વાળા પુલ બનવવામાં રસ છે એટલો ચેક ડેમ બનાવવામાં નથી.

સરકાર અને માધ્યમોની સતત ઉપેક્ષાના કારણે હવે ગુજરાતના ઉચ્ચ મધ્યમ વર્ગને પણ ખેતીમાં રસ નથી. આપણી ફિલ્મો, આપણાં નાટકો, આપણા સાહિત્ય, આપણા મનોરંજ્નમાં હવે ક્યાંય ખેડૂત કે ખેતર કે ખેતીની વાત નથી. મધ્યમ અને સંપન્ન વર્ગના ખેડૂતો પોતાનાં સંતાનોને ખેતીમાં રાખવા માંગતા નથી. ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં પંચમહાલ કે ડાંગના આદિવાસી યુવાનો ખેતી કરતા જોવા મળશે.ખેતર ઉધાર ખેડવા આપવાની યોજના ચાલુ થઇ છે. “ખેડે તેની જમીન”તે કાયદો ફરી અમલમાં આવે તો ઘણા ખેડૂતો જમીનમાલિકી ગુમાવે. ગુજરાતનો ખેડૂત ક્યારનો કોન્ટ્રાકટ ખેતી કરાવતો થઇ ગયો છે માટે જ ખેડૂત આંદોલનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ નહિવત્ હતું. આપણે ત્યાં ખેતી સાથે સંકલિત સહકારી માળખું પણ હવે કોમર્શીયલ ઉપયોગમાં જવા લાગ્યું છે. સહકારી આગેવાનોને આઘા હડસેલી રાજનેતાઓ સહકારી ક્ષેત્ર પર ચડી બેઠા છે એટલે આવનારા સમયમાં સહકારી ક્ષેત્ર પણ ગરીબ નાના વર્ગનાં હિતોને બદલે કોર્પોરેટ હિતો મુજબ કામ કરતું થઇ જવાનું છે

તો મુદ્દાની વાત આટલી જ છે કે યુવાનોમાં ખેતીનું ઘટતું આકર્ષણ, ઉદ્યોગો દ્વારા જમીનોનું હસ્તાંતરણ, પાણીની સુવિધાઓનો અભાવ તથા કૃષિ પેદાશોના ખરીદ વેચાણની વ્યવસ્થાઓમાં સ્થાપિત હિતનું પ્રભુત્વ આ બધાને સમજી ગુજરાતમાં ખેડૂત અને ખેતીના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી કોણ નિભાવશે? આ મુદ્દો સાવ નાખી દેવાનો નથી! રાજ્યની અડધોઅડધ પ્રજા આનાથી જોડાયેલી છે. ખેડૂતોની આવક બમણી કરવી હોય,ખેતી ક્ષેત્રે વસ્તીનો રસ ટકાવવો હોય ,આત્મહત્યાઓ ઘટાડવી હોય અને માત્ર મત માગવા પૂરતા ખેડૂતોને યાદ કરવાની વૃત્તિ ના હોય તો ગુજરાત સરકાર આ ઉનાળાની શરૂઆતમાં જ ખેતીના સર્વાંગી પ્રશ્નો સમજે. માવઠા ઉપર માવઠામાં જેમના પાક ધોવાયા તેમને ખરા અર્થમાં રાહત આપે અને આડેધડ લઇ લેવાતી ખેતીની જમીનો બચાવે.  
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top