Comments

તાનાશાહીની વણઝાર જ ચાલતી હોય ત્યાં

1937માં એટલે કે ભારતની આઝાદીની સત્તાવાર જાહેરાત થઇ તેના એક દાયકા પહેલા ભારતમાં લોકોને એક પ્રકારનું સ્વશાસન મળ્યું હતું. જેમાં મર્યાદિત મતાધિકાર પર ચૂંટાયેલી સરકારો બ્રિટીશ રાજના જુદા જુદા પ્રાંતોમાં રચાઇ હતી. પૂર્ણ કક્ષાની પ્રતિક્રિયા સરકાર તરફના માર્ગ પર એક કદમ તરીકે આ ઘટના ને જોવામાં આવતી હતી. મદ્રાસ પ્રેસિડન્સીમાં એક કોંગ્રેસ સરકારે શપથ લીધા તેના થોડા જ સમયમાં એક તામિલ બૌદ્ધિકે નેતૃત્વ વિશે નોંધપાત્ર પ્રવચન કર્યું હતું અને તેના વિચાર આજની રાજકીય સંસ્કૃતિનો નોંધપાત્ર પડઘો પાડે છે.

અન્ના મલાઇ યુનિવર્સિટીમાં 1938માં પ્રેસિડન્સી કોલેજના સાહિત્યના પ્રાધ્યાપક કે. સ્વામીનાથને કહ્યું હતું કે બે પ્રકારના રાજકીય નેતાઓ છે : (1) જેઓ પોતાને અનિવાર્ય માને છે અને (2) નથી માનતા. બીજા પ્રકારના નેતામાં ગાંધીનો સમાવેશ થાય છે. તે પોતાના અનુગામીઓને તાલીમ આપવામાં છેલ્લા ચારેક વર્ષથી ગળાડૂબ છે. તેમની અંતિમ ઇચ્છા છે પોતાને અનિવાર્ય બનાવવાની. જવાહરલાલ નેહરુ કે રાજેન્દ્ર પ્રસાદ આજે જે કંઇ છે તે ગાંધી વગર ન હોત અને બેમાંથી એકેય જીહજૂરિયા નથી. સામાન્ય માટીના લોંદામાંથી ગાંધી શુરવીર પેંદા કરી શકે તો આ ધરતીના સોનામાંથી તે શું નહીં કરી શકે? પોતાની યાંત્રિક પ્રતિકૃતિ સિવાય બીજું કંઇ પણ કરી શકે.

સ્વામીનાથને આમ છતાં ચેતવણી આપી કે આમ છતાં બીજા પ્રકારના નેતાઓ એવા છે જે પોતાના અનુયાયીઓ પર વિશ્વાસ નથી મૂકતા. આપખુદ છે. આવા લોકો આમલીના ઝાડ જેવા છે, જે વિશાળ પ્રમાણમાં ઉપયોગી પણ છે પણ બીજાનો વિકાસ રૂંધે છે. તે આ મતભેદ સાંખી શકતા નથી. પોતાની બરોબરી કરે તેને ચલાવી નથી લેતા, જ્યાં જાય ત્યાં બધુ ઉજજડ કરે છે.

સ્વામીનાથને કહ્યું :  ‘આપણા દેશને આજે શેની જરૂર છે? આપણી હોસ્ટેલ શું પેદા કરી શકે તેમ છે? રાજકીય નેતાઓ દરેક જણ બીજાથી સ્હેજ ચડિયાતો, પણ આપણે સુપરમેનનું શું કરવું છે?’ સ્વામીનાથને 1938માં આ વાત કરી હતી, જે 2022માં આપણે જોઇ શકીએ છીએ. આપણી પાસે વ્યકિતપૂજાનો સંપ્રદાય પેદા કરનાર વડાપ્રધાન છે. તેમણે સરકારી ખર્ચે પોતાની તેજસ્વી આભા બનાવી છે અને તેમાં ગણતરીના માણસો જ જોડાઇ શકે છે. આના ગંભીર પરિણામોની અગાઉ હું ચર્ચા કરી ગયો છું. સત્તાના વૈયકિતકરણનું સ્વરૂપ માત્ર કેન્દ્ર સરકારમાં જ નહીં, રાજય સરકારોમાં પણ જોવા મળે છે. વિધાનસભાની ચૂંટણી હોય કે સંસદની, મમતા બેનરજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી હોય તો ય તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ જ વર્તે છે. તે તૃણમૂળ કોંગ્રેસ અને ખુદ બંગાળના લોકો પર છવાઇ જવા માંગતાં હોય છે અને નરેન્દ્ર મોદીની જેમ જ વર્તે છે.

સરખામણી અહીંથી જ અટકતી નથી. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો પોતે ભારતીય જનતા પક્ષના સંસદસભ્યોની જેમ મમતા બેનરજીની ખુશામત કરતા ફરે છે. મમતા પણ મોદીની જેમ પોતાના વફાદાર અમલદાર અને પોલીસ અમલદારો મારફતે કામ કરતા હોય છે. મોદીની જેમ મમતા પણ વાણી સ્વાતંત્રય અને સંસ્થાઓની સ્વાયત્તત્તાની મોઢાની લાપસી પીરસે છે, પણ હકીકતમાં તેનાથી વિરુધ્ધમાં જ વર્તે છે. જાણે આ સ્વાતંત્ર્ય તેમના શાસન માટે જોખમરૂપ હોય?

મમતા બંગાળમાં જે કરે છે તે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં કરે છે અને પિનારાય વિજયન ઓડિશામાં કરે છે. જગનમોહન રેડી આંધ્રમાં કરવા માંગે છે અને ચંદ્રશેખર રાવ તેલંગણામાં કરે છે અને અશોક ગેહલોત રાજસ્થાનમાં કરે છે. આ સાતે મુખ્યપ્રધાનો જુદા જુદા રાજયોમાં રાજ કરે છે અને તે તમામના રાજકીય પક્ષો અલગ છે, પણ મૂળભૂત રીતે એક સરખી શૈલીમાં વર્તે છે. મારી આ યાદી ખાલી ઉદાહરણરૂપ છે, સંપૂર્ણ નથી અને આવા બીજા કેટલાક મુખ્યપ્રધાન છે, જેઓ આપખુદ છે.

સ્વામીનાથને આ મુખ્યપ્રધાનોને જોવા હોત તો તેમણે કહ્યું હોત કે આ નેતાઓ મતભેદ સાંખી શકતા નથી અને મૈત્રીની ભાવનાથી કરાયેલી ટીકા પણ પચાવી શકતા નથી. પોતાના મુકત અને આત્મનિર્ભર કાર્યકરોને સ્થાને આપખુદી ઇચ્છે છે. તેઓ પોતાની જાતને અનિવાર્ય બનાવવા ઇચ્છે છે અને અનુગામીની તાલીમમાં તેમને કોઇ રસ નથી. તેઓ પોતાને સુપરમેનની કક્ષામાં મૂકે છે, જેનાથી અન્ય વામણાં લાગે છે. આ જુદા જુદા પ્રકારની આપખુદી છે, જેની જુદી જુદી જાતની અસર છે. રાષ્ટ્રીય સ્તરે મોદી અને દેશના સૌથી મોટા રાજય – ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ બહુમતીપણાના નામે ધાર્મિક લઘુમતીને પરેશાન કરે છે અને વાણી સ્વાતંતત્ર્ય અને જુદા મતને ડામી રહ્યા છે. આવું બધે જ ચાલે છે. સર્વોચ્ચ નેતાનો સંપ્રદાય આપખુદીમાં પરિણમે છે. પછી તે લશ્કરી તાનાશાહી હોય, ફાસીવાદી રાજયો હોય કે સામ્યવાદી શાસન કોઇ વ્યકિત સર્વોચ્ચ રાજકીય પદ પર પહોંચે તો તે લોકશાહીનું વિસર્જન કરી નાંખે.

આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં આપણે આપખુદોની લોકશાહીના યુગમાં પ્રવેશ્યા છીએ. આપણા શાસકો વિકાસ અને શાસનની રોજબરોજની જવાબદારીની અવગણના કરશે. નિર્ણય પ્રક્રિયાનું કેન્દ્રીકરણ કરી અન્યોના સશકિતકરણનો ઇન્કાર કરનારા નેતાઓ ભારતની વાત તો જવા દો પણ બંગાળ જેવા વિરાટ, વસ્તીસભર અને વૈવિધ્યસભર રાજયનું શાસન પણ નહીં કરી શકે. ચમચાઓથી ઘેરાયેલા શાસકો વધુ ખરાબ વડાપ્રધાન કે મુખ્યપ્રધાન બની રહે છે. તેમને બીજો અભિપ્રાય જાણવા જ નથી મળતો. આવા સંજોગોમાં આપણા દેશના આર્થિક વચનો નહીં પાળી શકાય કે સામાજિક સંવાદિતા નહીં સાધી શકાય. નવી દિલ્હીમાં સુપરમેનરાજ કરતો હશે તો રાષ્ટ્રીય સુરક્ષાનું શું થશે? આટલા બધા આપખુદ મુખ્યપ્રધાનો હશે તો રાષ્ટ્ર તરીકે આપણું શું થશે? વિરોધપક્ષો જ નહીં હોય કે વાણી સ્વાતંત્ર્ય જ નહીં હોય તો સંવાદ કંઇ રીતે સાધી શકાશે?
       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top