Business

PM મોદીએ બજેટને દેશનું ભવિષ્ય ઘડનારું ગણાવ્યું, વિપક્ષે કહ્યું, આ ભાજપનું ‘ફેરવેલ બજેટ’

નવી દિલ્હી: નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે એક કલાક કરતાં ઓછા સમયમાં નાણાકીય વર્ષ 2024-25 માટે મોદી સરકારનું (Modi Govt) બીજું વચગાળાનું બજેટ (Interim Budget) રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમને તેમના ભાષણમાં વિવિધ પહેલો, સરકારની યોજનાઓ, મહિલાઓ અને યુવાનોના સશક્તિકરણ અને અન્ય બાબતોની સાથે પ્રવાસન વિશે વાત કરી હતી.

નાણામંત્રીએ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તેમનો સંપૂર્ણ ભાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક ન્યાયી યોજનાઓ પર હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણા પ્રધાનના ભાષણના સમાપન પછી તેમની સરકારના વચગાળાના બજેટ પર પ્રતિક્રિયા આપતા, તેને દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ ગણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કહ્યું કે આજનું વચગાળાનું બજેટ માત્ર સમાવેશક નથી પણ નવીન પણ છે. આ બજેટમાં સાતત્યનો વિશ્વાસ છે. તેમણે કહ્યું, આ બજેટ વિકસિત ભારતના ચારેય સ્તંભોને સશક્ત બનાવશે જેમાં યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતોનો સમાવેશ થાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ બજેટ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે. આ બજેટ 2047ના વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની ખાતરી આપે છે. હું નાણામંત્રી અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પીએમ મોદીએ કહ્યું, અમે એક મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ, તેને હાંસલ કરીએ છીએ અને પછી પોતાના માટે પણ એક મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ. અમે ગામડાઓ અને શહેરોમાં ગરીબો માટે 4 કરોડથી વધુ ઘર બનાવ્યા છે અને હવે અમે 2 કરોડ વધુ મકાનો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

અમે 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું, હવે તેને વધારીને 3 કરોડ કરી દીધું છે. આજે જાહેર કરાયેલ નવી આવકવેરા યોજના મધ્યમ વર્ગના એક કરોડ લોકોને મોટી રાહત આપશે. અગાઉની સરકારોએ દાયકાઓ સુધી સામાન્ય માણસના માથા પર આ વિશાળ તલવાર લટકાવી રાખી હતી.

વડાપ્રધાને કહ્યું કે આ બજેટ યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. આજના બજેટમાં દેશમાં સંશોધન અને ઈનોવેશનને મજબૂત કરવા માટે ફંડ બનાવવા માટે 1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં મૂડી ખર્ચમાં 11,11,111 કરોડ રૂપિયાનો ઐતિહાસિક વધારો પણ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. રૂફટોપ સોલાર અભિયાનમાં 1 કરોડ પરિવારોને મફત વીજળી મળશે. સરકારને વધારાની વીજળી વેચીને લોકો વાર્ષિક 15-20 હજાર રૂપિયા કમાશે.

વિપક્ષી નેતાઓએ બજેટને જનવિરોધી ગણાવ્યું
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની બજેટ સ્પીચ પછી વિપક્ષી નેતાઓએ વચગાળાના બજેટ પર તેમની પ્રતિક્રિયાઓ ટ્વિટર પર શેર કરી હતી. બજેટ 2024 પર ટિપ્પણી કરતા કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું, આ બજેટ રેકોર્ડ કરાયેલા સૌથી ટૂંકા ભાષણોમાંનું એક હતું. આમાં વધુ વિગતો બહાર આવી નથી. હંમેશની જેમ પુષ્કળ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અમલ પર બહુ ઓછું કહેવામાં આવ્યું હતું.

સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વિટર પર લખ્યું, બજેટ વિકાસ માટે નથી, તે નકામું છે. ભાજપ સરકારે જનવિરોધી બજેટનો એક દાયકો પૂરો કરીને એક શરમજનક રેકોર્ડ સર્જ્યો છે જે ફરી ક્યારેય તૂટશે નહીં. કારણ કે હવે સકારાત્મક સરકાર આવવાનો સમય આવી ગયો છે. આ ભાજપનું ‘ફેરવેલ બજેટ’ છે.

Most Popular

To Top