Gujarat Election - 2022

ગુજરાતમાં મફત વેક્સિનેશનના નામે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે: કોંગ્રેસ

અમદાવાદ: ગુજરાતની (Gujarat) અંદર મફત વેક્સિનેશનના (Vaccination) નામે ખુબ જ મોટું કૌભાંડ (SCAM) આચરવામાં આવ્યું છે. જેમાં વેક્સિનેશન મેળવેલા વ્યક્તિઓના નામ, જન્મ તારીખ, સિરીયલ નંબર, વોટર આઈ.ડી. અને વેક્સિનેશન સેન્ટર તથા મોબાઈલ નંબરનો ડેટા ઉપલબ્ધ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડેટામાં દર્શાવેલ નામો સામે એક સરખી સીરીઝના મોબાઈલ નંબર અને વણિક, મુસ્લિમ, દલિત અને અન્ય જ્ઞાતિના દરેક લાભાર્થીઓ સામે માત્ર એકસરખા મોબાઈલ નંબર દર્શાવવામાં આવેલા છે. (6000003625) આવા કૌભાંડનો ડેટા માત્ર એક પબ્લીક હેલ્થ સેન્ટરમાં નહીં પરંતુ અનેક પી.એસ.સી. સેન્ટરમાં દર્શાવાયેલા છે. ભાજપે મફત વેક્સિનેશનના નામે આખા ગુજરાતને બનાવ્યું (છેતર્યું) છે. આ વેક્સિનેશન કૌભાંડની હાઈકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસ કરવામાં આવે, તેવી કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે માગણી કરી હતી.

પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ કહે છે કે, ગુજરાત મેં બનાવ્યું છે, અંધભક્ત કહે છે કે મેં અને નરેન્દ્ર મોદીએ ગુજરાત બનાવ્યું છે. હકીકતમાં તો ગુજરાતની જનતા એમ કહે છે કે ભાજપવાળા ગુજરાતને ‘બનાવી’ ગયા. ભાજપે ગુજરાતને છેતર્યું છે અને કેવી રીતે બનાવ્યું છે તેને સાબિત કરવા માટે એક દાખલો અહી રજુ કરું છું. ભાજપ કહે છે કે અમે મફત વેક્સિનેશન આપ્યું અને વડાપ્રધાન તેમની દરેક સભાઓમાં વેક્સિનેશનની વાત કરી રહ્યાં છે. ગુજરાતની અંદર મફત વેક્સિનેશનના નામે ખુબ જ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સાથે નવ પાનાનો એક રેકર્ડ રજુ કર્યો હતો.

જે ડેટા પત્રકાર સમક્ષ રજુ કરવામાં આવ્યો છે તે ડેટા પણ હાલમાં લોક કરી દેવામાં આવેલા છે. આખા ગુજરાતમાં વેક્સિનેશનના નામે એક મોટુ કૌભાંડ આચરાયું છે. પ્રધાનમંત્રીની જન્મ તારીખે દેશમાં નંબર વન વેક્સિનેશન થાય એના માટે જે કર્મચારીઓ પર દબાણ કરવામાં આવ્યું હતું તેનું આ પરિણામ છે. વેક્સિનેશન અપાઈ નથી પરંતુ કરોડો રૂપિયા વેક્સિનેશનના સરકારે કંપનીઓને ચુકવી દીધા છે. જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો પરંતુ ભાજપે ભય મુક્ત ભ્રષ્ટાચાર કર્યો. ભરોસાની ભેંસના સ્લોગન માત્ર હોર્ડિંગ્સ ઉપર છે. ગુજરાતના લોકોએ સારો વહીવટ કરવા માટે જે ભેંસને ખુબ ઘાસ ખવડાવ્યું, માવજત કરી અને આ ભરોસાની ભેંસે પાડી આપવાના બદલે ભય, ભુખ અને ભ્રષ્ટાચારનો પાડો આપ્યો કે જેને ખેતીના કામમાં ન જોતરી શકાય, ના વેચી શકાય કે ના ગાડે જોડી શકાય.

કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે, આ વેક્સિનેશન કૌભાંડની હાઈકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસ કરવામાં આવે અને ગુજરાત અને દેશના દરેક લોકો પોતાનું વેક્સિનેશન ક્યારે થયું છે. તે ડેટા ઓનલાઈન જોઈ શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવે તે તમામ ડેટા પબ્લિક ડોમિનમાં મૂકે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે મેઘા પાટકર રાહુલ ગાંધીની યાત્રામાં જોડાય એ કોઈ મુદ્દો બને ખરો ? રાહુલ ગાંધી કોઈપણ રાજકારણ વિના “દલ કે હિત કે ઉપર દેશ કા હિત” ના સંકલ્પ સાથે કોઈપણ રાજકારણ વિના નાત, જાત, ધર્મ જોયા વિના ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે અને લાખો લોકો જોડાઈ રહ્યાં છે. હું આમંત્રણ આપુ છું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ આ યાત્રામાં જોડાય. આપ ખુદ વૈભવી થઈ ગયા છો એટલે રાહુલ ગાંધીની જેમ ૨૫ કિ.મી. નહી ચાલી શકો પરંતુ ૫ કિ.મી. ચાલવા ફરી એકવાર હું આમંત્રણ આપું છું.

Most Popular

To Top