National

કાનપુરની શાળામાં મિત્ર સાથેનો ઝઘડો લોહિયાળ બન્યો, ધો.10ના વિદ્યાર્થીની ચાકુ મારીને કરી હત્યા

કાનપુર : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરમાંથી (Kanpur) એક ચોકાવનારી ઘટના સામે આવી છે. કાનપુરની એક શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીની (student) તેનાજ ક્લાસમેટે (Classmate) ચાકુ મારીને હત્યા કરી હતી. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનીનું નામ નીલેન્દ્ર તિવારી છે, જેની ઉંમર 15 છે. નીલેન્દ્ર બિધાનું વિસ્તારના ન્યુ આઝાદ નગરમાં આવેલ પ્રયાગ વિદ્યા મંદિર ઇન્ટર કોલેજમાં (Prayag Vidya Mandir Inter College) અભ્યાસ કરતો હતો.

મળતી માહિતી અનુસાર નીલેન્દ્ર તિવારીની શનિવારે કોઈ વાતને લઈને તેનાજ ક્લાસમેટ સાથે ઝઘડો થયો હતો. જોકે તે પછી તેના અન્ય સાથી વિદ્યાર્થીઓએ મામલો શાંત પાડ્યો હતો. ઝગડો કરનાર વિર્ધાર્થીનુંં નામ રાજવીર છે. શનીવાર બાદ તે બંને વિદ્યાર્થીઓનો સોમવારે ફરી એકવાર ઝઘડો થયો હતો. રાજવીર પોતાની સાથે બેગમાં છરી લાવ્યો હતો. તેણે બેગમાંથી છરી કાઢીને નીલેન્દ્રના પેટ અને ગળા પર વાર કરવાનું શરુ કર્યું હતું. આ બનાવ બનતા હાજર વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી.

જોકે આ ઘટના બનતા શાળાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. શાળાના સ્ટાફે નીલેન્દ્ર તિવારીને લોહીથી લથપથ જમીન પર પડેલો જોય તેને તાત્કાલીન બિધાનુની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ ત્યાં તેની હાલત ગંભીર બનતા તેને હેલેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ સ્કૂલે પહોંચીને આરોપી રાજવીરની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી રાજવીર અને નીલેન્દ્ર વચ્ચે ત્રણ-ચાર દિવસ પહેલા ઝઘડો થયો હતો. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નીલેન્દ્રએ રાજવીરને મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે રાજવીર ખૂબ જ ડરી ગયો હતો. આ પછી રાજવીરે જ નીલેન્દ્રને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. તે ઘરેથી છરી લઈને શાળાએ પહોંચ્યો અને લંચ દરમિયાન નીલેન્દ્રને પકડીને જમીન પર પટકાર્યો હતો.

ત્યાર પછી રાજવીરે તેને ગરદન પર એટલો સખત માર માર્યો હતો કે નીલેન્દ્રનું ઘટના સ્થળે જ મોત થઈ હયું હતું. હોસ્પિટલમાં હાજર જણાવ્યું કે મૃતકનું મોત સ્વાસ નળી કપાવવાને કારણે થયું હતું. ગળામાં સ્વાસ નળીની આસપાસ છરીના પાંચ ગંભીર ઘા મળી આવ્યા હતા.

શાળાના સ્ટાફે ઘરે પહોંચીને પરિવારને આ સમગ્ર મામલાની જાણ કરી હતી. પરિવારના સભ્યો પહેલા CHC દોડી આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ નીલેન્દ્રને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. નીલેન્દ્ર તિવારી ઉર્ફે રાના પિતા જિતેન્દ્ર તિવારીએ જણાવ્યું કે તે ઝરીબ ચોકી સ્થિત એક ખાનગી પેઢીમાં કામ કરે છે. તેનો પુત્ર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ઘરમાં પત્ની નિધિ તિવારી અને એક દીકરી રાધિકા તિવારી છે. તેની પુત્રી પણ તેના ભાઈની શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી.

બિધાનુ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રદ્યુમન સિંહે જણાવ્યું હતું કે આરોપી વિદ્યાર્થી રાજવીર યાદવની ધરપકડ કરવામાં આવી છે. હત્યારાની ઉંમર માત્ર 13 વર્ષ છે. આરોપી વિદ્યાર્થી રાજવીર કોઈની સાથે લડાઈ કરવી તેના માટે સામાન્ય વાત છે. શાળામાં તેમજ તેના વિસ્તારમાં તેની ખ્યાતિ ખૂબ જ ખરાબ છે. હત્યાકાંડ બાદ શાળાના બાળકોને સલામત રીતે ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે વર્ગમાં કોઈ શિક્ષક હાજર ન હતા. પોલીસ શાળાના સીસીટીવી ચેક કરી રહી છે. આ સાથે સ્ટાફના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે.

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અરોપી અને નીલેન્દ્ર વચ્ચે સારી મિત્રતા હતી. તાજેતરમાં નીલેન્દ્રએ તેની સાથે ભણતી એક છોકરી સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. જે આરોપીને પસંદ ન હતું. આ કારણે આરોપી નીલેન્દ્ર પર ગુસ્સે હતો.

Most Popular

To Top