Comments

સંબંધની મહેક

એક કાકી નામ ઉષાબહેન.સ્વભાવ ગુસ્સાવાળો અને વાત વાતમાં કોઈની પણ જોડે ઝઘડો કરી બેસે એવો અને ગુસ્સો આવે એટલે કોઈના નહિ ..ન સામે કોણ છે તેનું ભાન રહે …ન તેઓ શું બોલે છે તેનો ખ્યાલ રહે અને ન તેઓ કયાં છે તે પણ વિચારે…તેમના આવા સ્વભાવને કારણે લગભગ બધા તેમનાથી દૂર ભાગે…ઘરમાં, સોસાયટીમાં , કુટુંબમાં બધા તેમની સાથે બહુ વાત ન કરે. એક દિવસ ઉષાબહેનની મોટીબહેન તેમના ઘરે આવ્યાં અને કોઈ જૂની વાત પર ઉષાબહેન ઊકળી પડ્યાં અને ઝઘડો કરવા લાગ્યાં.મોટીબહેન ગુસ્સે થયાં નહિ. થોડી વાર સુધી તેમણે ઉષાબહેનને બોલવા દીધાં. પછી એક જ વાક્ય બોલ્યાં, ‘ઉષા, તારા આવા સ્વભાવ અને આવી બોલવાની રીતને લીધે જ કોઈ તારી સાથે સંબંધ રાખતું નથી.’ આ વાત સાંભળી ઉષાબહેન વધુ ગુસ્સે થયાં અને જોરજોરથી રડવા લાગ્યાં, ‘હું જ ખરાબ છું …બધાને મારું જ બોલવાનું ખટકે છે ..સાચું કહું છું …એટલે સાંભળવું કોઈને ગમતું નથી.’

મોટીબહેન જરાય ઉશ્કેરાયા વિના બે કપ કોફી બનાવીને આવ્યાં અને ઉષાબહેનના ઘરના ટેરેસ ગાર્ડનમાં કોફી ટેબલ પર બે કપ કોફી મૂકી અને ઉષાબહેનને ત્યાં લઈને આવ્યાં અને બોલ્યાં, ‘ઉષા, શાંત થઇ જા… કોફી પી …અને મારી વાત શાંતિથી સાંભળ. જો તને બાગકામનો શોખ છે. ઘરની ટેરેસ પર તેં કેટલાં સરસ ફૂલછોડ ઉગાડયાં છે.  જમીન સારી હોય, ફળદ્રુપ હોય, તેમાં ખાતર પણ સારું જ નાખીએ, પણ જો પાણી ખારું હોય તો શું થાય?’

ઉષાબહેન બોલ્યાં, ‘પાણી ખારું હોય તો છોડ બરાબર વિકસે નહિ અને તેની પર ફૂલ ખીલે નહિ.’ મોટીબહેને વાતનો દોર સાંધતાં કહ્યું, ‘બરાબર વાત છે તારી અને જેમ ફૂલછોડની સાચી રીતે અને સારી રીતે માવજત કરીએ તો જ તે વિકસે અને ખીલે એવું જ સંબંધોનું છે. તારો ભાવ સારો હોય ..વાત સાચી હોય …તારો આશય અને કર્મ પણ સારાં જ હોય, પણ તારું વર્તન ખરાબ અને વાણી કડવી હોય તો સંબંધ તૂટી જાય …

ટકે નહિ …વિચાર તારા સારા જ છે તો વર્તન ખરાબ શું કામ કરે છે? કોઈ તારી જોડે જરાક ખરાબ રીતે બોલે કે ન બોલે તો પણ તું કાગનો વાઘ કરી કેટલું મોટું સ્વરૂપ આપી ખરાબ વર્તન કરે છે ..ન બોલવાનું બોલે છે એટલે તારા સંબંધ કોઈ સાથે ટકતા નથી.તું વિચાર કરી જો. તું નાની વાત પર ગુસ્સે થઈને જેટલું ખરાબ વર્તન કરે છે એવું કોઈ તારી સાથે કરે તો….જો તારી વાણી મધુર  હશે તો જ તારા સંબંધ બધા સાથે મહેકશે એટલું યાદ રાખજે.’ મોટીબહેને નાનીબહેનને તેની ભૂલ સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top