Comments

રાહુલ પક્ષને જે રીતે ફરી બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છે તે બીજેપી માટે ચિંતાનું કારણ

રાજકીય પક્ષોના ચૂંટણીઢંઢેરાની આજકાલ કોઈ કિંમત રહી નથી. આઝાદી પછીના પહેલા બે દાયકામાં ચૂંટણીઢંઢેરાનું મહત્ત્વ હતું. અખબારોમાં દિવસોના દિવસો સુધી ચર્ચા થતી. આવું જ આયોજનપંચના પંચવર્ષીય આયોજનના મુસદ્દાનું હતું. તેના વિષે પણ ગંભીર ચર્ચા થતી હતી. પણ એ દિવસો ગયા. આજકાલ રાજકીય પક્ષો માટે માત્ર અને માત્ર સત્તા કેન્દ્રમાં છે અને ચૂંટણીઢંઢેરા માત્ર એક ઔપચારિકતા છે. ચૂંટણીઢંઢેરામાં ઉલ્લેખ પણ કરવામાં ન આવ્યો હોય એવા મોટા નિર્ણયો સત્તાધારીઓ લે છે.

પણ કોંગ્રેસ પક્ષનો આ વખતનો ચૂંટણીઢંઢેરો નોંધ લેવી પડે એવો છે. ખુદ વડા પ્રધાને તેની નોંધ લીધી છે અને જેની ગોદી મિડિયાએ ઉપેક્ષા કરી હતી. તેમણે એ ચૂંટણીઢંઢેરાને ચર્ચામાં મૂકી દીધો છે. વડા પ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં પાનેપાને મુસ્લિમ લીગની છાપ નજરે પડે છે. એ કઈ રીતે એ વિષે તેમણે તેમની આદત મુજબ ફોડ પાડીને કાંઈ કહ્યું નથી. મુસ્લિમ લીગ? ભારતના રાજકારણમાં મુસ્લિમ લીગની પ્રાસંગિકતા તો એ દિવસે પૂરી થઈ ગઈ હતી, જે દિવસે ભારતનું વિભાજન થયું હતું.

એ પછીથી આજ સુધી મુસ્લિમ લીગને લોકસભામાં પાંચ બેઠક નથી મળી. ભારતનાં મુસલમાનોએ આઝાદી પછી નવા નામે નવા રાજકીય પક્ષો રચ્યા છે, પણ મુસ્લિમ લીગના નામનો ઉપયોગ કરતા નથી. ભારતનું વિભાજન કરનાર મુસ્લિમ લીગના નામથી પણ તેઓ દૂર રહે છે. પણ વડા પ્રધાનને મુસ્લિમ લીગની યાદ આવી. વાત એમ છે કે અપ્રાસંગિક મુસ્લિમ લીગની યાદ વડા પ્રધાને ખાસ હિંદુ કોમવાદીઓને અને ભક્તોને કરાવી છે, જેમને વિચાર અને સત્ય સાથે કાયમી દુશ્મની છે. લાલ કપડું બતાવો અને જેમ આખલો ભૂરાંટો થાય એમ મુસ્લિમ અને એમાં પણ મુસ્લિમ લીગ નામ પડતાં આ લોકો ધૂણવા લાગશે એની તેમને જાણ છે.

એમાં કોઈ શંકા નથી કે કોંગ્રેસનો ચૂંટણીઢંઢેરો નોંધ લેવી પડે એવો છે. શબ્દ ચોર્યા વિના સ્પષ્ટ ભાષામાં બીજેપી જે નીતિ અપનાવી રહી છે તેના સામેના છેડાની વાત કરી છે. બહુમતી કોમના માથાભારેપણાની જગ્યાએ દરેકને સમાન ન્યાય આપનારા જવાબદાર રાજ્યની વાત તેમાં કરવામાં આવી છે. ચૂંટણીઢંઢેરામાં મુસ્લિમ શબ્દ કોઈ જગ્યાએ નથી, પણ લઘુમતી કોમને સમાન અવસર અને ન્યાયની વાત શબ્દ ચોર્યા વિના કરવામાં આવી છે. આ સિવાય વિકાસલક્ષી સમાજને જે પ્રશ્નો સ્પર્શતા હોય તેની વાત કરવામાં આવી છે.

એટલે ચૂંટણીઢંઢેરાનું નામ પણ ન્યાયપત્ર આપવામાં આવ્યું છે. ખેતપેદાશ માટે ટેકાના ભાવ કાયદો ઘડીને કાયદાકીય રીતે આપવામાં આવશે, શાસકોની મરજી મુજબ નહીં. યુવાઓને કેન્દ્ર સરકારમાં સીધી અથવા કેન્દ્ર સરકારની મદદથી ચાલતી યોજનાઓમાં ૩૦ લાખ નવી નોકરીઓ આપવામાં આવશે. ગ્રેજ્યુએટ અને ડીપ્લોમા કોર્સ કર્યો હોય એવાં યુવાઓને એક વર્ષની તાલીમ એપ્રેન્ટિસશીપ માટે એક લાખ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય મહિલાઓને વધારે રોજગારી અને વધુ વેતન મળે એનું વચન આપવામાં આવ્યું છે.

સૌથી મહત્ત્વપૂર્ણ વચન સરકારી વહીવટી સંસ્થાઓના કરવામાં આવતા રાજકીય દુરુપયોગ વિશેનું છે. આ બધી સંસ્થાઓ કોઈ પણ પ્રકારના રાજકીય પ્રભાવ કે દબાવ વિના કામ કરી શકે એવી જોગવાઈ કરવામાં આવશે. સારી વાત છે. આવી માગણી સરકારી અને બિનસરકારી અભ્યાસોમાં, તપાસપંચોએ તેના અહેવાલોમાં અને નાગરિક સમાજે અનેક વાર કરી છે, દાયકાઓથી કરવામાં આવી રહી છે, પણ તેને કાને ધરવામાં આવી નહોતી. આ એ જ કોંગ્રેસ છે, જેના નેતાઓના બહેરા કાને આ વાત નહોતી પહોંચતી.

જો વહીવટીતંત્ર રાજકીય દખલગીરીથી મુક્ત સ્વતંત્ર હોત તો દેશમાં આજે જે બની રહ્યું છે એ ન બનતું હોત. કોંગ્રેસ આજે તેની સૌથી વધુ કિંમત ચૂકવી રહી છે. આ વાત રાંડ્યા પછીના ડહાપણ જેવી છે, પણ તેમાં ડહાપણ છે એટલે તેનું સ્વાગત કરવું જોઈએ. જો પહેલાં ડહાપણ બતાવ્યું હોત તો રંડાપો ન આવત. દરેક ચીજની કિંમત ચૂકવવી પડતી હોય છે. અત્યારે જે ચાલી રહ્યું છે એની કિંમત પણ એ કરનારાઓએ ચૂકવવી પડશે જે રીતે કોંગ્રેસ ચૂકવે છે. ગોધરાકાંડ પછી વડા પ્રધાને પોતે જ ત્યારે કહ્યું હતું કે એક્શન રીએક્શન પેદા કર્યા વિના નથી રહેતું. આજે કોંગ્રેસ ચૂકવી રહી છે, કાલે આજનાં શાસકો ચૂકવશે.

જો બંધારણમાં કલ્પેલું ભારત તેના આત્મા સાથે અસ્તિત્વમાં આવે તો ખેર નથી એ વડા પ્રધાન જાણે છે એટલે વડા પ્રધાને મુસ્લિમ લીગનો ડર બતાવ્યો છે. આ બાજુ કોંગ્રેસે દેશને એ દિશામાં લઈ જવાનું વિગતો સાથે વચન આપ્યું છે. બીજી અને તેનાથી પણ મોટી વાત. રાહુલ ગાંધી ચૂંટણીકીય હારજીતને પ્રાથમિકતા આપ્યા વિના, તેનાથી પ્રભાવિત થયા વિના, કુપ્રચાર અને બદનામીથી તૂટ્યા વિના જે રીતે પ્રજા સાથે, ખાસ કરીને યુવાઓ તેમ જ સ્ત્રીઓ સાથે સંપર્ક વધારી રહ્યા છે અને પક્ષ છોડીને જવા માંગતા નેતાઓને જવા દઈને અથવા તેમના ચાલ્યા જવા છતાં જે રીતે પક્ષને ફરી બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છે એ બીજેપી માટે ચિંતાનું કારણ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top