Vadodara

માંજલપુરની ગુમ યુવતીની ખેતરમાંથી લાશ મળી

વડોદરા : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની 20 વર્ષીય યુવતી બે દિવસ અગાઉ ઘરેથી જતી રહી હતી. ગૂમ થયેલી યુવતીએ પિતરાઈ બહેનને વોટ્સએપ પર મેસેજ કરીને તે સંદીપ સાથે હોવાનું જણાવ્યું હતું.જોકે તિલકવાડાના ખેતરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે પ્રેમ પ્રકરણના કારણે મીરાની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. શહેરના માંજલપુર વિસ્તારની દરબાર ચોકડી પાસે આવેલા બળીયાદેવ મંદિર સામેના ખેતરમાં માતા–પિતા સાથે રહેતી અને તાજેતરમાં ધો.12ની પરીક્ષા આપનાર 20 વર્ષિય મીરા નિલેશભાઈ સોલંકી બે દિવસ અગાઉ ઘરેથી જતી રહી હતી. મોડી રાત સુધી મીરા પરત નહીં ફરતા પિતાએ માંજલપુર પોલીસ મથકમાં ગુમ થવા અંગેની અરજી આપી હતી. જ્યારે મીરાએ તેની પિતરાઈ બહેનને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે હું સંદીપ સાથે છું. ચિંતા કરશો નહીં. રવિવારે સાંજ સુધીમાં હું ઘરે પાછી આવી જઈશ.

નર્મદા જિલ્લાના તિલકવાડાના ખેતરમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવાની તજવીજ હાથ ધરતાં તે મીરા સોલંકીની હોવાનું સ્પષ્ટ થયું હતું. પ્રાથમિક તબક્કે ગળું દબાવીને તેમજ ડામ આપીને મીરાની હત્યા કરવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું છે. મીરાની હત્યા અંગેની ચોક્કસ જાણકારી મેળવવા માટે સયાજી હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટર્સ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.પોલીસે હાલના તબક્કે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મીરાનો ફોન હજી મળ્યો નથી. તેમજ સંદીપ મકવાણાનો કોઈ અત્તો પત્તો મળ્યો નથી. મીરાની હત્યા કરનારને વહેલી તકે ઝડપી પાડે તેવી પરિવારજનોએ માંગ કરી છે.

Most Popular

To Top