SURAT

સુરતમાં મેટ્રો રેલ માટે કામગીરી શરૂ, લંબેહનુમાન રોડ પર બેરિકેડ લાગ્યા

સુરતને મેટ્રો સિટી બનાવવા માટે જરૂરી મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે. આજથી જીએમઆરસી દ્વારા સુરતના લંબેહનુમાન રોડ પર જીઓટેકનિકલ સરવે શરૂ કરવામાં આવ્યો છે. આ સરવેમાં જમીનની મજબુતાઈ ચકાસવામાં આવશે. જેના આધારે મેટ્રો રેલના ટ્રેકની ડિઝાઈન નક્કી કરવામાં આવશે. હાલમાં સરથાણાથી ડ્રીમ સિટી સુધીનો સરવે શરૂ કરવામાં આવ્યો છે. આ રૂટનો ટોપોગ્રાફી સરવે પુરો કરી દેવામાં આવ્યો છે. આશરે બેથી ત્રણ મહિના આ સરવે ચાલશે તેવું માનવામાં આવી રહ્યું છે.

સુરત માટે સપના સમાન મેટ્રો રેલની કામગીરી હવે ધીરેધીરે જોર પકડી રહી છે. મેટ્રો રેલ માટે હેવી સ્ટ્રકચર બનાવવાનું હોવાથી મેટ્રો રેલ દોડાવતાં પહેલા તેના હેવી સ્ટ્રકચરથી આસપાસની બિલ્ડિંગોને અસર નહીં થાય તે માટે સરવે કરવો જરૂરી હોય છે. મેટ્રો રેલ માટે ટેન્ડરો બહાર પાડી દેવામાં આવ્યા બાદ જીએમઆરસી દ્વારા મેટ્રો રેલના પ્રથમ સરથાણાથી ડ્રીમ સિટીના રૂટ માટે ટોપોગ્રાફી સરવે શરૂ કરવામાં આવ્યો હતો. ટોપોગ્રાફી સરવેમાં જે તે રોડનો મેપ તૈયાર કરાશે. જ્યાંથી રૂટ પસાર થાય છે ત્યાંની આસપાસ કેવી અને કેટલી બિલ્ડિંગો આવી છે? રોડનું લેવલ કેટલું છે? કેટલી સર્વિસિસ આવે છે તે સહિતનો સરવે કરાશે.

ટોપોગ્રાફી સરવે પુરો થઈ ગયો છે અને હવે મેટ્રો રેલની કામગીરી આજથી સુરત શહેરના રોડ પર દેખાવા માંડી છે. આજથી લંબેહનુમાન રોડ પર જીઓ ટેકનિકલ ઈન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઈન્વેસ્ટિગેશનમાં દર 200થી 250 મીટરના અંતરે માટીની ગુણવત્તા ચકાસવામાં આવશે. માટીની ગુણવત્તા અને જે રૂટમાં સ્ટ્રકચર તૈયાર થવાનું છે તેનો અભ્યાસ કરીને જે તે સ્ટ્રકચરની ડિઝાઈન પણ નક્કી કરવામાં આવશે.

જીએમઆરસીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હાલમાં ટોપોગ્રાફી સરવે અને જીઓટેકનિકલ ઈન્વેસ્ટિગેશનમાં સમય જશે. પરંતુ એક વખત ડીઝાઈન નક્કી થઈ ગયા બાદ મેટ્રો રેલ માટેની કામગીરી અતિ ઝડપી બનશે. મેટ્રો રેલમાં 95 ટકા જમીન સરકારી છે. જ્યારે 5 ટકા જ જમીન ખાનગી હોવાથી મેટ્રો રેલ માટે ઝડપથી કામગીરી કરી શકાશે. આગામી બે દિવસમાં સુરતમાં રોડ પર આડશો ઉભી કરીને મેટ્રો રેલ માટેની કામગીરી શરૂ થઈ જશે. લોકોને દેખાશે કે મેટ્રો રેલની કામગીરી શરૂ થઈ ગઈ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top