SURAT

સુરતમાં તસ્કરોની હિમ્મત એટલી હદે વધી ગઈ કે ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીના ઘરમાં જ ચોરી કરી

સુરતઃ (Surat) શહેરમાં દિવાળી (Diwali) પછી થી તસ્કરોનો તરખાટ વધી જવા પામ્યો છે. આજે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં (Police Station) ઘરફોડ ચોરીની દાખલ થયેલી ફરિયાદોમાં ડિંડોલી ખાતે રહેતા ક્રાઈમ બ્રાંચના (Crime Branch) પોલીસ (Police) કર્મીના ઘરમાં પણ 1.64 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સલાબતપુરામાં પણ બે અલગ અલગ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.

  • શહેરમાં તસ્કરોનો તરખાટઃ ક્રાઈમ બ્રાંચના પોલીસ કર્મીના ઘરમાંથી 1.64 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી
  • સલાબતપુરા પોલીસની હદમાં બે લુમ્સ ખાતામાંથી રોકડા 1.20 લાખ અને 50 હજારની ચોરી

ડિંડોલી ખાતે રહેતા પંચદેવ સોસાયટીમાં રહેતા અને ક્રાઈમ બ્રાંચમાં નોકરી કરતા શિવાજીભાઈ આનંદરાવ ઠાકરેની પત્ની મનીષાબેન દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગત 20 તારીખે શિવાજીભાઈ પરિવાર સાથે વડોદરામાં તેમની બહેનના ઘરે વાસ્તુ પુજા તથા સિલ્વર વેડીંગ એનિવર્સરીના પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. 22 તારીકે સવારે તેમના પડોશીએ ફોન કરીને તેમના ઘરનું તાળુ તુટેલું હોવાની જાણ કરતા તેઓ સુરત આવી પહોંચ્યા હતા. દરવાજાને ઇન્ટરલોક તથા ચોર લોક માર્યુ હોવા છતાં તસ્કરોએ દરવાજાની ફ્રેમ તોડી નાખી હતી. અંદર જઈને જોતા સામાન વેરવિખેર હતો. કબાટનું લોક તુટેલુ હતુ. કબાટમાંથી સોનાની ચેઈન, પેન્ડલ, વીંટી, ચાંદીની લક્કી,, ચાંદીના સીક્કા મળીને કુલ 1.64 લાખની ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું. ડિંડોલી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આંજણા ફાર્મ પાસે ખાતામાંથી રોકડા 1.20 લાખની ચોરી
અલથાણ ખાતે સાંઈ કેજી બંગ્લામાં રહેતા 49 વર્ષીય રાકેશભાઈ પ્રવીણચંદ્ર ડોલી સલાબતપુરા આંજણા ફાર્મ જય ઇન્ડસ્ટ્રીયલમાં રાકેશ એન્ટરપ્રાઈઝ નામથી લુમ્સના ખાતા ધરાવે છે. ગત 6 ડિસેમ્બરે ઓફિસ બંધ કરીને ગયા હતા. બીજા દિવસે સવારે ઓફિસે આવતા શટરના નકુચા તુટેલા હતા. ઓફિસમાં સામાન વેરવિખેર હતો. ઓફિસના ટેબલમાં રાખેલા 1.20 લાખ રોકડા ગાયબ હતા. જેથી તેમના દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ભાઠેનામાં ખાતામાંથી રોકડા 50 હજારની ચોરી
ભાઠેના ખાતે રામદેવ રો હાઉસમાં રહેતા 35 વર્ષીય યોગેશ માધવલાલ પટેલ ભાઠેના ઉમિયા માતાના મંદિર પાસે શંકર ગુરૂ ટેક્ષટાઈલના નામે લુમ્સના ખાતા ધરાવે છે. ગત 23 નવેમ્બરે તેઓ ખાતામાં ત્રીજા માળે આવેલી ઓફિસને લોક મારીને ગયા હતા. બીજા દિવસે સવારે ઓફિસમાં આવ્યા ત્યારે લોખંડની જાળીના દરવાજાનું લોક તુટેલી હાલતમાં હતું. ઓફીસના લાકડાનો દરવાજાનુ લોક તોડી ઓફીસમાં પ્રવેશ કર્યો હતો. અને ઓફીસમાં રાખેલા લાકડાના ટેબલના ખાનાનુ લોક તોડી રોકડા 50 હજાર રૂપિયા ચોરી કર્યા હતા. સલાબતપુરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top