SURAT

NCC દ્વારા આયોજિત કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલોથોનમાં સુરતની 6 દીકરીઓ જોડાઈ

સુરત: આઝાદીના અમૃતકાળમાં એનસીસી કેડેટસ (NCC Cadets) દ્વારા કન્યાકુમારી (Kanyakumari) થી દિલ્હી (Delhi) સુધીની મેગા સાયકલ રેલીનું (Mega cycle Ralley) આયોજન કરાયું છે. ગત આઠમી ડીસેમ્બરે કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) દ્વારા સાયક્લોથોનને ફ્લેગઓફ કરવામાં આવી હતી. જે દક્ષિણના રાજ્યોમાંથી પસાર થઈ આવતીકાલે સુરત (Surat) આવી પહોંચશે.

સુરતમાં તેનું મેગા સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટસ, ઈન્ટરનેશનલ ટ્રાયથલીટ મિસ પૂજા ચૌરૂષી, હીરાઉધોગકાર અને આઇડીઆઇ(ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ)ના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત એનસીસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આઝાદીના અમૃતકાળમાં નવા ઉભરતા ભારતના નિર્માણમાં સહુકોઈનો ફાળો છે. વિશ્વની ટોપની ત્રણ આર્થિક મહાસત્તામાં સામેલ થવા ભારત દેશ ઝડપભેર આગળ વધી રહ્યો છે ત્યારે નેશનલ કેડેટ કોપર્સ (એનસીસી) નું વિશેષ યોગદાન છે. એનસીસી વિધાર્થીઓનું ઘડતર કરી વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપે છે. વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા એનસીસી દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. મેગા સાયક્લોથોનને મહિલાશક્તિ કા અભેદ સફર નામ આપવામાં આવ્યું છે.

ગત 8મી ડીસેમ્બરે કન્યાકુમારીથી આ યાત્રા નીકળી હતી. જે આવતીકાલે સુરત આવી પહોંચશે. ગુજરાત ડાયરેક્ટોરેટ દ્વારા આયોજિત કન્યાકુમારીથી દિલ્હી સુધીની યાત્રામાં સુરતની છ દિકરીઓએ પણ ભાગ લીધો છે. આ યાત્રા કન્યાકુમારીથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ-દીવ, ગુજરાત અને હરિયાણા થઈને આગામી ૨૮મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગઓફ કરાશે.

મેગા સાયક્લોથોનની 32 દિવસની લાંબી મુસાફરીમાં સાયકલ સવાર દિવસની એવરેજ 97 કિલોમીટર સાયકલ ચલાવે છે. રેલી પૂર્ણ થતાં સાયકલ સવાર કુલ 3232 કિલોમીટર સાયકલ ચલાવી માર્ગમાં આવતા જનસમૂહમાં જાગૃત્તા સાથે દેશના વિકાસ અને વૃદ્ધિનો સંદેશો આપશે.

Most Popular

To Top